Tuesday, 26 April 2016

[amdavadis4ever] હમ હોંગે કામિયાબ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મન હોય તો માળવે જવાય એ કહેવત ૩૮ વર્ષના યુવાન, મહેનતુ અને કર્તવ્યનિષ્ઠ સરકારી અધિકારી રામદાસ કોકરેને બરોબર લાગુ પડે છે. કોઈ પણ કામને પૂરા કરવાનો એક વખત નિશ્ર્ચય કરી લીધો તો પછી એને દુનિયાની કોઈ તાકાત અટકાવી શકતી નથી. બસ તમારે ફકત તમારા ઉદ્ેશ્યને પૂરા કરવા પર અટલ રહેવું જોઈએ. જો એટલું કરી શકો તો આપોઆપ તમારે રસ્તે આડા આવનારા તમામ વિધ્નો દૂર થઈ જાય છે એવોજ કંઈક રામદાસ કોકરેની લાઈફનો ફંડા છે.

રામદાસ કોકરે મહારાષ્ટ્રના કોંકણ જીલ્લાના પર્યટનસ્થળ તરીકે લોકોમાં જાણીતા બનેલા વેંર્ગુલા શહેરના નગરપરિષદના ચીફ એક્ઝિકયુટિવ ઑફિસર છે. તેમના પ્લાસ્ટિક નિર્મૂલન અભિયાન, કચરા નાબૂદી અભિયાન અને તમામ ડમ્પિંગ ગ્રાઉન્ડને દૂર કરવાના અભિયાનને કારણે તેઓ ફકત કોંકણમાં જ નહીં પણ મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં જાણીતા બની ગયા છે. રાજયની તમામ મોટા જીલ્લાઓની મહાપાલિકાઓ તેમને કમિશનર બનાવવા તત્પર છે અને હાલમાં જ તેમની આ કામગીરીને કારણે થાણે મહાનગરપાલિકા અને કલ્યાણ-ડોંબીવલી મહાનગરપાલિકાના નગરસેવકોએ રામદાસ કોકરેની ટ્રાન્સફર તેમને ત્યાં કરાવવાની માગણી કરી હતી. સરકારી અધિકારીથી લોકો દૂર ભાગતા હોય છે, પણ આ અધિકારી એવો છે જેને પોતાને ત્યાં બોલાવવા લોકો ઉત્સુક છે.

કોઈ પણ જાતની પબ્લિસિટી સ્ટંટ કરવાને બદલે ચૂપચાપ દિવસરાત પોતાના કામમાં વ્યસ્ત રહેનારા આ યુવાન અધિકારીની કામગીરીની નોંધ હાલમાં ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી છે. તેમની કચરાના નિકાલ માટે અપનાવેલી વેંગુર્લા પેટર્નને રાજયભરમાં અમલમાં લાવવા બાબતે પણ સરકાર વિચારાધીન હોવાનું હાલમાં જ રાજયના ચીફ જનરલ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રિયએ કહ્યું હતું. મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જો તેમની કચરાના નિકાલ માટેની વેંગુર્લા પેટર્ન સફળ થાય તો ભવિષ્યમાં દેશના અન્ય રાજયમાં પણ તે ઉપયોગી સાબિત થઈ શકે છે.

રામદાસ કોકરેએ જે પધ્ધતિએ વેંર્ગુલા શહેરને શૂન્ય કચરામુકત અને ડમ્પિંગગ્રાઉન્ડમુકત કરીને કચરામાંથી નગરપરિષદને આવક ઊભી કરી આપી છે તેની નોંધ લઈને મુખ્ય પ્રધાને હાલમાં જ તેમનું સન્માન પણ કર્યું હતું. તો હાલમાં જ તેમને વસુંધરા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા. સંત ગાડગે બાબા સ્વચ્છતા અભિયાન અતંર્ગત તેમના કાર્યની નોંધ લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 

મૂળ સોલાપુરના કર્નાલા તાલુકાના રીતેવાડી ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા રામદાસનો પરિવાર ખેતીવાડી સાથે સંકળાયેલો હોવાને કારણે નાનપણથી તેમને ગ્રીનરી અને પર્યાવરણ માટે ખાસ લાગણી રહી છે. નાનપણમાં ભણવામાં હોશિયાર પણ ખોબલા જેવા ગામડામાં રહેલી પ્રાથમિક શાળાની ઈમારત ખખડી ગયેલી હોવાને કારણે સ્કૂલમાં એડમિશન લીધા બાદ પણ ભણવા માટે સ્કૂલમાં જગ્યા નહીં હોવાને કારણે પહેલા ધોરણને બદલે તેમને સીધા બીજા ધોરણમાં બેસાડી દેવામાં આવ્યાં હતા. ચોથા ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ આ સ્કૂલમાં જ લીધા બાદ બાજુના ગામમાં રહેલી શાળામાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો અને મૂળ તો ખેડૂત પરિવારના હોવાને કારણે દસમાની બોર્ડની પરીક્ષા પાસ કરીને પૂણેની એગ્રીકલ્ચર કોલેજમાં એડમિશન લીધું હતું. કોલેજના અભ્યાસ દરમિયાન જ સરકારી નોકરીમાં જોડાઈને પોતાના ગામના અન્ય યુવાનોની માફક દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. ગ્રેજ્યુએશન કરીને એગ્રીકલ્ચરમાં એમએસસી કર્યા બાદ તેમણે સરકારી નોકરી માટે પરીક્ષા આપી હતી અને પહેલી નોકરી તેમણે પોલીસ ઈન્સ્પેકટર તરીકે કરી હતી. 

પોલીસ ઈન્સ્પેકટર તરીકે કામગીરી તો કરી પણ કામનો ખરો આનંદ તેમને આવતો નહોતો. પહેલેથી જ પર્યાવરણ માટે ખાસ લાગણી ધરાવતા રામદાસનું મન કંઈક અલગ કરવા તત્પર રહેતું હતું. પોલીસ ખાતાની નોકરીમાં મન નહોતું લાગતું. એ દરમિયાન તેમણે અન્ય સિવિલ પરીક્ષા આપવાની ચાલુ જ રાખી હતી અને એમાં પાસ થતા તેમને કોંકણ જિલ્લાના દાપોલી ગામના નગરપાલિકાના ચીફ ઍક્ઝિક્યુટિવની પોસ્ટ મળી હતી. આ પોસ્ટ એટલે ભાવતું હતું અને વૈદ્યે કીધું જેવુ તેમને માટે થઈ ગયું હતું. વર્ષોથી પર્યાવરણના જતન માટે શું કરી શકાય તેની યોજનાઓ બનાવી રહ્યાં હતા તેને દાપોલીમાં અમલમાં લાવવા માટેના તેમના પ્રયાસ શરૂ થઈ ગયા હતા. પ્લાસ્ટિકમુકત, કચરામુકત તેમની યોજનાઓ પર તેમણે કામ શરૂ કરી દીધું હતું પણ પોતાની યોજના પૂર્ણ રીતે અમલમાં લાવે એ પહેલાં જ તેમની ટ્રાન્સફર વેંર્ગુલા નગરપરિષદના ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે થઈ ગઈ હતી. 

મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશભરમાં પર્યાવરણ માટે લોકોને જાગૃત કરવાનો નેક ઈરાદો રાખનારા રામદાસ કોકરે જે કામ દાપોલીમાં કરી શકયા નહીં તે તેમણે વેંર્ગુલામાં કરી બતાવાની ચેલેન્જ સ્વીકારી લીધી હતી, જેમાં અડચણો તો ઘણી આવી પણ પોતાની ઈચ્છાશક્તિ અને સ્થાનિક નાગરિકોના સહકારથી વર્ષનું માત્ર ને માત્ર ૧૬ કરોડ રૂપિયાનું આર્થિક બજેટ ધરાવતા વેંર્ગુલા શહેરને માત્ર ચાર મહિનાની અંદર શૂન્ય કચરામુકત, પ્લાસ્ટિકમુકત અને ડમ્પિંગગ્રાઉન્ડમુકત કરીને મહારાષ્ટ્રની અન્ય મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક આદર્શ ઉદારણ પૂરું પાડયું છે. 

શું છે વેંર્ગુલા પેટર્ન ?

દેશના એક રાજયના આર્થિક બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા માટે પણ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવો માથાનો દુખાવો બની ગયો છે ત્યારે રામદાસ કોકરેએ વેંગુર્લા શહેરને કચરામુકત કરીને એ કચરામાંથી જ વીજનું અને કોલાસાનું ઉત્પાદન કરીને નગરપાલિકાને આવક તો ઊભી કરી આપી પણ સાથે જ કચરામાં રહેલાં પ્લાસ્ટિકનો ઉપયોગ વેંર્ગુલાના રસ્તા બનાવવા માટે કર્યો છે.

વેંર્ગુલા પેટર્ન કઈ રીતે કામ કરે છે?

પહેલા તો કચરાના વર્ગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નગરસેવકોને અને જનતાને વિશ્ર્વાસમાં લીધા. લોકો સાથે મીટિંગ કરીને જનજાગૃતિ અભિયાન ચલાવ્યું. રોજ જમા થતા કચરાનું વર્ગીકરણ કેટલું મહત્ત્વનું છે તે લોકોના ગળે વાત ઉતારી. તે મુજબ સૂકો અને ભીનો કચરો અલગ, પ્લાસ્ટિકનો અલગ અને કાચ તથા અન્ય ધાતુ એમ ચાર પ્રકારે વર્ગીકરણ કરવાનું હાઉસિંગ સોસાયટીઓને માટે ફરજિયાત બનાવ્યું. આ કાર્યપધ્ધતિ અમલમાં લાવવા 'ગુડ મોર્નિંગ ટીમ'ની સ્થાપના કરી અને એના દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવી. પ્રત્યેક વોર્ડમાં નગરસેવક અને એક અધિકારી અને અન્ય કર્મચારી એમ પંદર જણની ટીમ બનાવી અને તેમના પર વેંગુર્લાના નગરઅધ્યક્ષ અને ખુદ રામદાસ કોકરે ધ્યાન આપતા હતા. કચરાનું વર્ગીકરણ કર્યું ન હોય તેમનો કચરો લેવો નહંીં અને તેમને દંડ ફટકારવો એવો સખત કાયદો બનાવ્યો. નવી સોસાયટી બનાવતા સમયે કચરાનું વર્ગીકરણની શરત ફરજિયાત રાખવામાં આવી અને બેદરકારી જણાઈ આવે તો સબંધિત બિલ્ડર, સોસાયટીઓને ઓકયુપેશન સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. લગભગ એક વર્ષથી ચાલતી આ કામગીરી દરમિયાન રામદાસ કોકર અને તેમના અધિકારીઓએ આખા વર્ષ દરમિયાન એક દિવસની પણ રજા લીધી નહોતી. વર્ષના ૩૬૫ દિવસ સવારના ૭ થી સાંજના ૮ વાગ્યા સુધી આ જ કામમાં રચ્યા પચ્યા રહેતા હતા.

કચરામાંથી આવક ઊભી કરી

આખા વેંગુર્લામાં કચરાનું ચાર પ્રકારણે વર્ગીકરણ કરીને તેને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લાવવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેનું વર્ગીકરણ કરીને રાખવામાં આવે છે. જેમાં ધાતુ, કાચની બાટલીઓ, પ્લાસ્ટિકની વસ્તુઓને ભંગારમાં વેચી દેવાતા પૈસાની આવક થાય છે. પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકના કાગળ વગેરેને ક્રશર મશીનમાં નાખીને ક્રશ કરીને ૨૦ રૂપિયે કિલો વેચવામાં આવે છે અને તેનો જ ઉપયોગ રસ્તો બનાવવામાં માટે કરવામાં આવે છે. રસ્તો બનાવવા માટે ડામરમાં આઠ ટકા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાને કારણેે રસ્તાની લાઈફ પાંચ ટકા વધી ગઈ હોવાનું કહેવાય છે. સૂકા કચરામાંથી કોલસો બનાવવામાં માટે ખાસ મશીન લેવામાં આવ્યું છે અને તેમાંથી કોલસો બને છે જે અનેક કંપનીઓ અને કારખાનાઓ ખરીદી કરે છે. એટલું જ નહીં પણ કચરામાંથી બાયોગેસ પ્રોજેકટ પણ ચલાવવામાં આવે છે. ભીના કચરામાંથી મિથેન વાયુ ભેગો કરીને જનરેટરના માધ્યમથી વેંર્ગુલા નગરપરિષદની ઓફિસ માટે વીજનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેંર્ગુલાની સ્ટ્રીટ લાઈટ પર આ વીજળીના ઉપયોગથી જ ચાલે છે. સરકારી અધિકારીનું નામ પડતા લોકોના નાકનું ટેરવું ચડી જતું હોય છે, પણ રામદાસ કોકરે એમાં અપવાદ છે. આ એવો અધિકારી છે જેના ઉજળા કામ લોકોના જીવનમાં ઉજાસ લાવી દે છે અને સરકારની પ્રતિમા ઉજળી બનાવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment