Saturday 30 April 2016

[amdavadis4ever] આશ્રમો લેભાગ ુઓ માટે જાહેરજ ીવનના સ્ટેપિંગ સ્ટોન બની ગયા

 


ગાંધીજીના આશ્રમો લેભાગુઓ માટે જાહેરજીવનના સ્ટેપિંગ સ્ટોન બની ગયા

 

 


પુસ્તકમાં દલપતભાઇ લખે છે:

 

'ખંધા સેવકોની મેલી રમતને કારણે હરિજન આશ્રમમાં જુદાં જુદાં ટ્રસ્ટોને નામે અનેક ટ્રસ્ટો અસ્તિત્વમાં આવ્યાં. સૂબાઓ સ્વતંત્ર થયાં, સત્યાગ્રહ આશ્રમમાંથી હરિજન આશ્રમનું જ એક ટ્રસ્ટ ગાંધીજીએ બનાવેલું હતું. તે દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલતી હતી,ં પણ આંટીઘૂંટી અને કાવાદાવામાં પાવરધા ખેલાડી વ્યવસ્થાપકોને તે ફાવ્યું નહીં એટલે જુદી જુદી પ્રવૃત્તિઓને નામે અલગ અલગ ટ્રસ્ટો કરી સંપૂર્ણ સ્વાયત્તતા અમલી બનાવી. જેમ એક બાપ તેના દીકરાઓને મઝિયારું વહેંચી આપે, તેમ આ પેટા ટ્રસ્ટોને મિલકતની વહેંચણી કરી આપી. ટ્રસ્ટીઓએ આશ્રમના ભાગલા કર્યા. મહાત્માજીના વિલનો મનમાન્યો શબ્દાર્થ કરી ગાંધીજીનો વિશ્ર્વાસઘાત કર્યો, એથીય આગળ વધીને કહીએ તો મહાત્માજીના એ અંતેવાસીઓએ પોતાના હીન સ્વાર્થ ખાતર બાપુના પવિત્ર દેહના ટુકડા કર્યા. ગોડસેએ તો ગોળીથી એમના પાર્થિવ દેહને હણ્યો, પરંતુ બાપુના આ અંતેવાસી હત્યારાઓએ તો ગાંધીજીની અંતિમ ઇચ્છા અને આકાંક્ષાઓનું હનન કર્યું.'

આ પુસ્તક વિશે લખતાં પત્રકાર મિત્રએ નોંધ્યું છે કે : શું કરવું

 

'ગાંધીજીએ 'કાગડા-કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું 'એવી ભીષ્મ પ્રતિજ્ઞા લઇને ૧૯૩૦માં અમદાવાદનો સાબરમતી આશ્રમ છોડ્યો. એ પછી ગાંધીજી મૃત્યુ પર્યંત આ આશ્રમમાં આવ્યા નથી. ડૉ.દલપત શ્રીમાળીનું પુસ્તક 'ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો' વાંચતાં તો એવું જ લાગે કે માની લો કે ગાંધીજીએ આવી પ્રતિજ્ઞા ન લીધી હોત તો? તો અનર્થ સર્જાયો હોત. ગાંધીજીએ આશ્રમ છોડ્યો એ સાથે જ અહીં ભ્રષ્ટાચાર, કાવાદાવા, હત્યા, બહેન-દીકરીઓનાં શિયળ લૂંટવા, વેરઝેર અને પૂર્વગ્રહોએ એવી માઝા મૂકી કે મહાત્માજી જો આશ્રમમાં પાછા આવ્યા હોત તો આશ્રમની દશા જોઇને એમણે સાબરમતી નદીમાં પડી આપઘાત કરી લીધો હોત.'

ગાંધીજીના વિરાટ વ્યક્તિત્વને કારણે તેમ જ એમના વૈચારિક પ્રભાવને લીધે અનેક વ્યક્તિ એમના તરફ આકર્ષાતી, અને એમના વિચારોથી રંગાઇ જતી. સમય વીતતો જતો એમ આ અનુયાયીઓને સમજ પડતી કે વ્યવહારમા ગાંધીવિચારોનો અમલ કરવાનું કામ કેટલું કપરું છે.
હૃદયના સાચા ત્યાગ વિના ગાંધીજીના પગલે ચાલવું અશક્ય છે એવું સમજાતાં આ અનુયાયીઓ ગાંધીજીથી દૂર થઇ જતા અથવા ગાંધીજીની સાથે જ રહીને અંદરખાને પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એવી પ્રવૃત્તિ કરતા. વીસમી સદીના ભારતનો સામાજિક જીવનનો સૌથી મોટો રોગ આ રીતે જન્મ્યો. એ રોગનું નામ હતું: ગાંધીવાદી દંભ

છેક ૧૯૪૦ની આસપાસનાં વર્ષોની વાત. ગાંધીજીએ તો દાયકા પહેલાં જ અમદાવાદના સાબરમતી આશ્રમને છોડી દીધો હતો. ગાંધીજીએ આશ્રમ છોડ્યો એ પછી જુદી જુદી પ્રકૃતિના માણસો સેવાના નામે એમાં ભરાયા એવું જણાવીને દલપત શ્રીમાળીએ 'ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો' નામના પુસ્તકમાં નામ દઈને નોંધ્યું છે કે આશ્રમની વ્યવસ્થાના કામમાં શ્રી લક્ષ્મીદાસ આસર કે જેઓ 'દાદા'ના નામે પ્રખ્યાત હતા તે મુખ્ય કર્તાહર્તા ગણાતા. ઉપરાંત ખાદીવણાટ અને સરંજામ કાર્યાલયનુું કામ પણ તેઓ જ સંભાળતા. 'આવા કામમાં આર્થિક રીતે ગરીબ પણ સુગઠિત દેહલાલિત્યવાળાં શ્રમજીવીઓ કામ કરતાં. એમની ગરીબી અને મજબૂરીનો લાભ લેવાનું એ સેવકો કદી ચૂકતા નહીં,' એટલું લખીને દલપતભાઈ ઉમેરે છે, 'દુનિયાની નજરે દેખાતા એ બધા મોટા માણસો શું 'એવા' હોય- એમ માનીને એમના પતનની વાત કોઈ માનવા તૈયાર નહીં. આને પરિણામે કેટલીય નિર્દોષ બહેનોના શિયળ આશ્રમના ભેખધારીઓએ ચૂંથ્યાં હશે.'

દલપત શ્રીમાળી એક દાખલો આપે છે: આશ્રમમાં રહેતા એક મહારાષ્ટ્રિયન ભાઈને સંસ્થાના કામને બહાને બહારગામ મોકલી તેના ઘરની એકલતાનો લાભ શ્રી લક્ષ્મીદાસ આસરે લીધો હતો. 'દાદા'ના નામે ઓળખાતા આ સેવકે કેવી માયાજાળ પાથરેલી તેની વિગતો મહારાષ્ટ્રિયન ભાઈ શ્રી કોંડકરે તેમના મિત્ર પર ૧૯ માર્ચ, ૧૯૪૦ના રોજ લખેલા પત્ર પરથી જણાશે.

આવા પત્રો ઉપરાંત આશ્રમમાં ચાલતાં આર્થિક કૌભાંડો વગેરેને લગતી બીજી અનેક સાબિતીઓ 'ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો' પુસ્તકમાં છે.

ગાંધીજીના નામને વટાવી ખાનારા કરોડો કૉન્ગ્રેસીજનો અને ગાંધીવાદીઓનો ઘણો મોટો ફાલ સાબરમતી આશ્રમમાં ઉછર્યો. ગાંધીજીની વિચારધારા સાથે ત્યાગની ભાવના એકરૂપ થઈ ગઈ હતી. ભારતીય સમાજ માટે આ કોઈ નવો વિચાર નથી. ઈશોપનિષદ્ના તેન ત્યકતેન ભૂંજિથા: શબ્દોને સમજ્યા વિના વિદ્વાનોએ અને એમનું જોઈને સામાન્ય લોકોએ ત્યાગની ખોટી ક્ધસેપ્ટ પ્રચલિત કરી. ઘરમાં નવી વાનગી બની હોય ત્યારે એ તમામ ખાદ્યસામગ્રીને પતિ, છોકરાં કે મહેમાનોને પીરસી દેતી ગૃહિણીનો 'ત્યાગ' જોઈને લોકો એને માથે ચડાવતા હોય છે, કારણ કે ભોળા લોકોને મન આ જ ત્યાગ છે- પોતાના હક્કનું બીજાને આપી દેવું.

તેન ત્યકતેન ભૂંજિથા: દ્વારા તો કહેવાયું કે તેને છોડીને (અર્થાત્ તેના માટે ફાળવીને) ખાવું. એટલે કે વહેંચીને ખાવું, એકલપેટા ન બનવું, સ્વાર્થી બનીને બધું પોતે જ ઝાપટી ન જવું. બધું એટલે માત્ર ખાવાનું જ નહીં, પૈસો યા સંપત્તિ અથવા તો જિંદગીમાં જે કંઈ સિદ્ધિ કે પ્રાપ્તિ મળે તે બધું જ ભોગવતી વખતે એના સર્જનમાં જેમનો ફાળો છે એ સૌની સાથે વહેંચીને એનો આનંદ માણવો. પોતાના હક્કનું બીજાને આપી દેવું એ ત્યાગ નથી. બીજાના હક્ક પર તરાપ ન મારવી એ ત્યાગ છે. વિશેષ વાનગી જેમની થાળીમાં ઠાલવી દઈને પત્નીઓ કે માતાઓ આનંદિત થઈ જતી હોય છે એ પતિ કે સંતાનો ઘરમાં પોતાનું એકાંત માણતા હોય ત્યારે 'કહું છું, સાંભળો છો' કહીને એમને ખલેલ ન પહોંચાડવામાં ખરો ત્યાગ રહેલો છે એવું આપણી ગૃહિણીઓને કોણ સમજાવે?

માબાપ છોકરાઓ માટે અનેક સુવિધાઓ વસાવે છે, આ ત્યાગ નથી, તમે તમારા માટે એક શર્ટ ન ખરીદીને તમારા બાળક માટે રમકડું લઈ આવો છો ત્યારે તમે ત્યાગ નથી કરતા. તમને એવું કરવામાં સાત્વિક આનંદ આવે છે અથવા સંતાન પ્રત્યેની તમારી ફરજ નિભાવ્યાનો અહમ્ સંતોષાય છે. અથવા ક્યારેક એમાં બાળકની જીદને કારણે તમારી મજબૂરી હોય છે. એને 'ત્યાગ'નું લેબલ ન આપી શકીએ. આવા અનેક 'ત્યાગ' પછી માબાપો સંતાનો પ્રત્યે આશા રાખતાં થઈ જાય છે કે ઘડપણમાં છોકરાઓ એનો સારો બદલો વાળશે. આ આશા ભાગ્યે જ ફળીભૂત થાય છે, કારણ કે આવો કોઈ ત્યાગ સંતાનોનાં દિલ-દિમાગ સુધી પહોંચ્યો જ નથી હોતો.

વાડીલાલ ડગલી 'શિયાળાની સવારનો તડકો'ના નિબંધકાર તરીકે જાણીતા છે. ગાંધીવાદી અને આદર્શવાદી પત્રકાર હતા. અમદાવાદની એક જાહેર સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં વાડીલાલ ડગલી અને વૈકુંઠભાઈ મહેતા ટ્રસ્ટી હતા. ટ્રસ્ટની એક મીટિંગમાં હાજરી આપવા બંને મુંબઈથી વિમાનમાં સાથે અમદાવાદ ગયા. મીટિંગ પૂરી થયા પછી મુંબઈ પાછા ફરવાની તૈયારી થતી હતી ત્યારે સંસ્થાના સંચાલકોએ વાડીભાઈને એમના તથા વૈકુંઠભાઈના વિમાનભાડાંનાં બે કવર આપ્યાં.

વાડીલાલ ડગલીએ વૈકુંઠભાઈને એમનું કવર આપ્યું ત્યારે એમણે વાડીભાઈને કહ્યું: 'હું ભાડાના પૈસા કદી લેતો નથી, આ કવર પાછું આપી દેજો.' વાડીભાઈએ થોડો વિચાર કરીને કહ્યું, 'આપેે ત્યાગ કર્યો તે તમારા સ્વભાવનું લક્ષણ છે. પણ આને કારણે મારી સ્થિતિ વિચિત્ર થઈ જાય છે. હું ભાડાનું કવર લઉં તો મારા કોઈ પણ દોષ વિના લોભી દેખાવાનો છું. વિમાન દ્વારા ન આવું તો મારા વ્યવસાયને કારણે ટ્રસ્ટીમંડળની સભામાં હાજરી આપવા જેટલો સમય હું ફાળવી ન શકું. અને મારી કૌટુંબિક જવાબદારીને કારણે વિમાનભાડું મને પોસાતું નથી. આ સંજોગોમાં હું ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દઉં એ જ સારું.'

વૈકુંઠભાઈ એ ટ્રસ્ટના પ્રમુખ હતા. થોડીવાર પછી ફરી મળ્યા ત્યારે એમણે વાડીભાઈને પૂછયું, 'તમે પેલું કવર પાછું આપી દીધું?' વાડીભાઈએ કહ્યું, 'હવે આપીશ.' વૈકુંઠભાઈ બોલ્યા, 'તો હવે એ પાછું નહીં આપતા.' વૈકુંઠભાઈએ કવર સ્વીકારી લીધું અને વાડીભાઈની મૂંઝવણ ટળી.

વાડીલાલ ડગલીએ 'શિયાળાની સવારનો તડકો' નિબંધ સંગ્રહમાં 'ત્યાગની ટોપી' નામના નિબંધમાં આ કિસ્સો લખ્યોે છે. વાડીભાઈ અને યશવંત દોશીએ સ્થાપેલા પરિચય ટ્રસ્ટ તરફથી 'ગ્રંથ' નામનું બુકરિવ્યુનું માસિક પ્રગટ થતું ત્યારે મેં એમાં કારકિર્દીની પ્રથમ નોકરી કરી. પખવાડિક પરિચય પુસ્તિકાઓ તો હજુય પ્રગટ થાય છે. વાડીભાઈએ એમનો આ પ્રથમ નિબંધસંગ્રહ હસ્તાક્ષર કરીને મારા લગ્ન પ્રસંગે ભેટ આપ્યો હતો.

ત્યાગ અને સ્વાર્થ વચ્ચેની ભેદરેખા સાવ પાતળી થઈ જતી આ કિસ્સામાં દેખાઈ. સ્વાર્થ વિશે ઓશો રજનીશે એક વાર સરસ વાત કહી હતી કે, આપણને શિખવાડવામાં આવ્યું છે કે આપણે બીજાનું ભલું કરવું જોઈએ. બીજો માણસ ત્રીજાનું ભલું કરશે અને ત્રીજો ચોથાનું. આ જ રીતે ચેઈન રિએક્શનથી આખી દુનિયાનું ભલું થશે. રજનીશજી કહે છે કે આવી ગૂંચવણભરી વ્યવસ્થાને બદલે દરેક જણ પોતાનું જ ભલું કરે એવું સ્વીકારવામાં આવે તો દુનિયાના વહેવારો કેટલા બધા સરળ થઈ જાય.

આ વાંચીને ગાંધી આશ્રમના ભ્રષ્ટ અંતેવાસીઓ કહી ઊઠશે કે અમે એ જ તો કરી રહ્યા હતા. અમે પોતે જ અમારું ભલું કરી રહ્યા હતા.

ભલી થાય તમારી! સદ્વિચારોનો ખીમો કેવી રીતે બનાવવો તે આવા લોકો પાસેથી કોઈ શીખે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment