Saturday 30 January 2016

[amdavadis4ever] બાપુનો સંદેશ: કલ ભી, આજ ભી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે સમગ્ર વિશ્ર્વ ભારતને એક નવી દૃષ્ટિથી જુએ છે તેમાં મહાત્મા ગાંધીની વિચારધારા અને સિદ્ધાંત મહત્ત્વના છે અને તેનું યોગદાન પણ ઘણું છે. ભારતનું ભવિષ્ય સુધારવાની અને બગાડવાની જવાબદારી આજે નાગરિકો પર છે. સત્યનું બળ કેટલું હોય છે તે ગાંધીજીએ પુરવાર કરી બતાવ્યું છે. આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે તેમના વિચારો આજે પણ કેટલા પ્રસ્તુત છે એની વાત કરીએ. 

વિશ્ર્વના ૯૨ રાષ્ટ્રોમાં મહાત્મા ગાંધીના નામના રસ્તા- ચોક કે વિસ્તાર છે અને ૧૫૫ રાષ્ટ્રોએ તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પાડી છે. મહાત્મા ગાંધીજીના વિચારોનો અનુવાદ વિશ્ર્વની લગભગ તમામ ભાષામાં થયો છે. સંઘર્ષ- હિંસા અને લડાઇથી કોઇ જ સમસ્યાનું નિવારણ થયું નથી તેવે વખતે સંવાદ અને વૈચારિક આદાન-પ્રદાનથી જ પ્રશ્ર્નો ઉકેલવાના રહે છે.

મહાત્મા ગાંધીએ બે સમાચાર પત્ર દ્વારા જનજાગૃતિ લાવવા તનતોડ પ્રયત્ન કર્યા હતાં જે વખતે શિક્ષણ- વાંચન- ઓછા હતાં. ટેકનૉલોજી પણ મર્યાદિત હતી તે વખતે ગુજરાતી ભાષામાં નવજીવન અને અંગ્રેજીમાં યંગ ઈન્ડિયામાં પ્રસંગોપાત લેખ અને વિચાર દ્વારા વ્યાપક સામાજિક જાગૃતિ લાવવામાં આવી હતી. આર. કે. પ્રભુએ 'મારા સ્વપ્નનું ભારત' પુસ્તકમાં તેનું સંકલન પ્રસિદ્ધ કર્યું છે.

તેમાં લોકશાહી, વર્ગવિગ્રહ, અહિંસક આર્થિકવ્યવસ્થા- ગ્રામ સ્વરાજ સર્વોદય- ગામડા તરફ પાછા વળીએ, ગ્રામોદ્યોગ- શહેરોની સ્વચ્છતા, વર્ણાશ્રમ પ્રથા, સાધન શુદ્ધિ, કેળવણી વગેરે સહિતના પ્રવર્તમાન સમાજ સમક્ષના પડકાર કહી શકાય તેવા પ્રશ્ર્નોની સમીક્ષા મહાત્મા ગાંધીએ લોકભોગ્ય રીતે કરી છે. શરીરશ્રમ કે જે આજે સાવ ઉપેક્ષિત બાબત છે તેને ૮૦- ૯૦ વર્ષ અગાઉ વિશ્ર્લેષણમાં લેવામાં આવી હતી.

શરીર શુદ્ધિ અને મનની શુદ્ધિ માટે ઉપવાસ ક્યારે થાય? આ બાબતે સ્વના અનુભવ પરથી ૧૦ મુદ્દાનો કાર્યક્રમ તેમણે આપ્યો હતો. 

૧. જો કબજિયાત થઇ હોય તો ઉપવાસ કરવા.

૨. જો લોહી ઘટી ગયું હોય તો ઉપવાસ કરવા.

૩. જો તાવ જેવું લાગતું હોય તો ઉપવાસ કરવા.

૪. જો અર્જીણ થયું હોય તો ઉપવાસ કરવા

૫. જો માથું દુ:ખતું હોય તો ઉપવાસ કરવા.

૬. જો વા થયો હોય તો ઉપવાસ કરવા.

૭. જો સંધિવા થયો હોય તો ઉપવાસ કરવા.

૮. જો ખૂબ ક્રોધ ચડયો હોય તો ઉપવાસ કરવા.

૯. જો મન વ્યગ્ર હોય તો ઉપવાસ કરવા.

૧૦. જો ખૂબ આનંદ થયો હોય તો પણ ઉપવાસ કરવા.

ગાંધીજીએ વર્ષો પહેલા કહ્યું હતું કે ખાદીના કપડાં પહેરવાથી ગ્રામ્ય ભારતમાં લાખો લોકોને રોજગારી મળશે અને તેમને પેટ પૂરતું ખાવાનું તેમના જ ગામમાં મળી રહેશે. આજે વણકરોને જો રોજગારી મળી રહેશે તો શહેરો તરફનો ધસારો ઓછો થઇ જશે. શહેરી વિસ્તારનાં શિક્ષિતો જો પ્રત્યેક એક જોડી હાથવણાટ અને ખાદીના કપડાંની ખરીદી કરે તો હજારો વણકરોને આવક મળી રહે.

એક મીટર મીલનું કાપડ બનાવવામાં ૫૦ લિટર પાણી વપરાય છે, જયારે એક મીટર ખાદી કે હાથવણાટના કાપડમાં ત્રણ લિટર પાણી વપરાય છે. કઇ રીતે કોણ પર્યાવરણને અનુકૂળ છે તેનો નિર્ણય પ્રબુદ્ધ નાગરિકાએે કરવાનો રહે છે. આજે વિશ્ર્વમાં ગરમી- તાપમાન અને હવામાનના ફેરફાર જેવા પડકાર ઊભા થયાં છે તે ગંભીર છે અને ઉકેલ ગાંધી વિચારધારામાં છે.

ગૌરક્ષા અંગે તેમણે જણાવ્યું છે કે ગાય એ દયાધર્મની મૂર્તિમંત કવિતા છે. કરોડો મનુષ્યને ઉછેરનારી ગૌમાતા છે. પશુ સૃષ્ટિની અરજ મૂંગી છે. ગૌરક્ષા એ આર્ય સંસ્કૃતિએ વિશ્ર્વને આપેલી અપ્રતિમ ભેટ છે. આજે ગાયની દુર્દશા થઇ તેમાં આપણી જ ઉપેક્ષા જવાબદાર છે, પરંતુ હવે તેમાં વિશ્ર્લેષણ કરવાને બદલે તન-મન-ધનથી ગૌશાળાને મજબૂત કરીએ અને ગૌસંવર્ધન કરીએ તે જ પ્રશ્ર્નનો ઉકેલ છે.

ગામડાને મજબૂત બનાવવાથી જ ભારત મજબુત બનવાનું છે તેવો દૃઢ વિચાર માત્ર મહાત્મા ગાંધીજીનો જ હતો. આજે પણ તે વિચાર પ્રસ્તુત છે. શહેરો- અસ્વચ્છ- ખરાબ પર્યાવરણ, કથળેલી કાયદો વ્યવસ્થા, ગીચતાને કારણે હવે ખરાબ હાલતમાં છે. તેને બદલે આપણું ગામ જ આપણું હિલ સ્ટેશન એ રીતે ફરીથી વર્ષે એકાદ-બે વખત બાપદાદાના વિસ્તારમાં જવાનું રાખવાની જરૂર છે.

શરીરશ્રમ વગર જીવન પાંગળું છે. કોઇપણ વ્યક્તિએ દૈનિક લઘુતમ શરીરશ્રમ કરવો જોઇએ. તેમાં ચાલવાનું- ઘરકામ- સાફસફાઇ- બાગ-બગીચામાં કામ કરવું. આંગણની સફાઇ કરવી, પાણી ભરવું, જરૂરત ન હોય તો વાહનનો ઉપયોગ ટાળવો. આવી બાબત દૈનિક જીવનનો ભાગ હોવા જ જોઇએ. અન્યથા બેઠાડું શરીરમાં જ તમામ રોગ પ્રવેશે છે. મેદસ્વી શરીર એટલે બીમારીને આમંત્રણ બરાબર છે. 

આજના આધુનિક યુગમાં ૭૦ થી ૮૦ ટકા બાળકોના શરીર મેદસ્વી બની ગયા છે. તેમનામાં શારીરિક ચપળતા રહી નથી તેવે વખતે ગાંધીજીએ વ્યકત કરેલા વિચાર આજે પણ યથાર્થ છે. થઇ શકે તેટલું કાર્ય શરીરશ્રમ દ્વારા જ થવું જોઇએ. તેમાં અન્ય કોઇની મદદ બને ત્યાં સુધી લેવી નહીં જોઇએ.

શહેરોમાં સુખી વર્ગની મહિલાઓ કેટલું ગૃહકાર્ય કરે છે? આ પેચીદો પ્રશ્ર્ન છે, પરંતુ સમાજમાં તેની ચર્ચા થતી નથી. શરીરની ચપળતા ત્યારે જ શક્ય છે કે જ્યારે તમામ પ્રકારનું ગૃહકાર્ય મહિલા દ્વારા સ્વયં થતું હોય. પરસેવો પાડવો તે તંદુરસ્તીની નિશાની છે. રોજી-રોટી મેળવવામાં પણ પરસેવો અનિવાર્ય છે. ઘરમાં પરસેવા વગર આવતું નાણું અનેક અનિષ્ટ લાવે છે.

સ્વદેશી ભાવના આત્મસન્માનને પ્રજવલિત કરે છે. સ્વદેશી ચળવળની જેટલી જરૂરત, વિદેશી શાસકો હતા તે વખતે હતી તેટલી જ આજે છે. તેનું મહત્ત્વ કોઇપણ યુગમાં ઓછું થવાનું નથી. આજે આર્થિક અસમાનતા- સામાજિક અસંતોષ, અનામત પ્રથાની દેખાદેખી વધતી જ જાય છે. તેવે વખતે મહાત્મા ગાંધીના વિચારમાં કેટલીક સમસ્યાના ઉકેલ અવશ્ય દેખાય છે.

ભારતનો આધ્યાત્મિક વારસો- પ્રજામાં પ્રવર્તમાન મૂલ્યોનું માળખું એ બંનેનો સમન્વય કરીને એક એવા ભારતનું નિર્માણ કરવું રહ્યું કે જ્યાં સદાચાર- અહિંસા- પૂર્ણ રોજગારી અને આર્થિક ધોરણે સમાનતા- સમરસતા હોય, શાંતિ અને અહિંસા થકી જ ભારતનું ભવિષ્ય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment