Sunday 31 January 2016

[amdavadis4ever] ગમે એટલા ચાલાક મ ાણસને તેની પ્રકૃ તિ ક્યારેક થાપ ખ વડાવી દેતી હોય છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે એક પ્રાચીન કથા વાચકો સાથે શેર કરવી છે.

એક ખ્યાતનામ શિલ્પકારની મુલાકાત એક વિખ્યાત નજૂમી સાથે થઈ. નજૂમી તે શિલ્પકારનો ચાહક હતો. તેણે શિલ્પકારની મોકળા મને પ્રશંસા કરી.

શિલ્પકાર પોતાની પ્રશંસા સાંભળીને સ્વાભાવિક રીતે પ્રસન્ન થઈ ગયો, પણ એ પછી થોડી વાતો બાદ નજૂમીએ તેને કહ્યું કે મને અફસોસ થઈ રહ્યો છે કે તમારા જેવા મહાન શિલ્પકારના જીવનનો અંત બહુ નજીક આવી ગયો છે.

નજૂમીની એ વાત સાંભળીને શિલ્પકાર ધ્રૂજી ઊઠ્યો. તેણે સાંભળ્યું હતું કે આ નજૂમી ભવિષ્યનો ભેદ સચોટ રીતે જાણી શકે છે અને આજ સુધી તેણે જે પણ ભાખ્યું છે એ ક્યારેય ખોટું પડ્યું નથી.

શિલ્પકારે કહ્યું, 'તમારી કોઈ ભૂલ તો નથી થઈ રહીને?'

નજૂમીએ કહ્યું, 'સવાલ જ નથી. મેં આજ સુધી ભવિષ્ય ભાખવામાં ક્યારેય થાપ ખાધી નથી.'

શિલ્પકારનો ચહેરો ઊતરી ગયો. તેણે નજૂમીને કહ્યું, 'તમે તો આટલા મોટા નજૂમી છો. મને મૃત્યુથી બચાવવાનો કોઈ રસ્તો તો તમારી પાસે હશે જ ને?'

નજૂમીએ ફિક્કું હાસ્ય કરતાં કહ્યું, 'હું માત્ર ભવિષ્યમાં શું બનવાનું છે એ કહી શકું છું, પણ કોઈને બચાવવાનું, કોઈનું જીવન લંબાવી આપવાનું કામ તો અશક્ય છે. એમાં તો માત્ર ઈશ્ર્વરનું જ ચાલી શકે.'

શિલ્પકારે કહ્યું, 'બીજો કોઈ જ રસ્તો નથી?'

નજૂમીએ કહ્યું, 'ના પણ કરોડોમાં કોઈ એકાદ કિસ્સો એવો બને છે કે યમદૂત ખાપ થાઈ જાય અને કોઈ માણસને બદલે બીજા માણસનો જીવ લઈ જાય, પણ એવું તો ભાગ્યે જ બને છે. મેં આવું મારા પૂર્વજો પાસેથી સાંભળ્યું છે, પણ મેં જાતે આવો કિસ્સો જોયો નથી.'

નજૂમીના શબ્દો સાંભળીને શિલ્પકારની ઊંઘ હરામ થઈ ગઈ. તે ઘરે આવ્યો અને નિરાશ થઈને બેસી પડ્યો.

પેલા નજૂમીએ તેને એક મહિનાનો સમય આપ્યો હતો. તેણે આ મૃત્યુનો ચોક્કસ દિવસ અને ચોક્કસ સમય પણ કહી દીધો હતો.

મૃત્યુના ડરને કારણે શિલ્પકાર પાગલ જેવો બની ગયો. તેણે પોતે બનાવેલાં શિલ્પો જોયાં. તેમાં ઘણાં શિલ્પો આબેહૂબ માનવીઓની પ્રતિકૃતિ જેવાં હતાં. શિલ્પકારને થયું કે હજી તો ઘણાં શિલ્પો બનાવવાનું પોતાનું સપનું હતું, એ સપનું અધૂરું જ રહી જશે.

પોતાનાં બનાવેલાં શિલ્પો જોતાં જોતાં તે શિલ્પકારની નજર એક સાધકની પ્રતિમા પર પડી. શિલ્પકાર તે સાધકને મળ્યો હતો એ વખતે તેણે તેમને વિનંતી કરીને તેમની પ્રતિમા બનાવવા માટે પરવાનગી માગી હતી. તે સાધક દુનિયાથી અલિપ્ત હતા, પણ શિલ્પકારનો ઉમળકો જોઈને તેમણે પરવાનગી આપી હતી અને શિલ્પકારે તે સાધક સાધનામાં લીન હોય એવી આબેહૂબ પ્રતિમા બનાવી હતી. શિલ્પકારે તે સાધકને તે પ્રતિમા અર્પણ કરવાની કોશિશ કરી હતી, પણ સાધકે એ પ્રતિમા સ્વીકારવાની ના પાડી હતી અને તેમની સાથેની મુલાકાતની યાદ રૂપે એ પ્રતિમા શિલ્પકારને તેના પોતાના ઘરે લઈ જવા માટે કહ્યું હતું.

શિલ્પકાર તે સાધકની પ્રતિમા જ્યારે જ્યારે જોતો એ વખતે તેને તે સાધક યાદ આવી જતા હતા. અત્યારે પણ તેને તે સાધક યાદ આવી ગયા. એ સાથે જ તેના મનમાં એક વિચાર ઝબકી ગયો. તે એ સાધકને મળવા માટે ઊપડ્યો. તે સાધક એક પર્વત પર એક ગુફામાં રહેતા હતા.

શિલ્પકારે તે સાધક પાસે જઈને કહ્યું કે, 'મને નજૂમીએ કહ્યું છે કે એક મહિના પછી મારું મૃત્યુ નિશ્ર્ચિત છે, પણ હું મરવા નથી ઈચ્છતો. મને મૃત્યુથી બચવાનો કોઈ માર્ગ બતાવો.'

સાધકે તેને કહ્યું, 'તારે મૃત્યુથી શા માટે બચવું છે? દરેક માણસનો જન્મ થાય ત્યારે જ તેના મૃત્યુનો સમય પણ નિશ્ર્ચિત થઈ જતો હોય છે.'

શિલ્પકારે કહ્યું, 'મને પેલા નજૂમીએ કહ્યું છે કે ક્યારેક યમદૂત થાપ ખાઈ જાય એવું બને છે.'

સાધક હસ્યા. તેમણે કહ્યું, 'ઈશ્ર્વર બે એકસરખા માણસ બનાવતો જ નથી. એટલે એ શક્ય નથી.'

સાધકની એ વાત સાંભળીને શિલ્પકારના મનમાં એક વિચાર ઝબકી ગયો. તે સાધક સાથે વાત પડતી મૂકીને પોતાના ઘર તરફ દોડ્યો. ઘરે પહોંચીને તેણે નવ મૂર્તિઓ બનાવવા માંડી. થોડા દિવસોમાં તેણે એ મૂર્તિઓ બનાવી નાખી. એ તમામ મૂર્તિઓ આબેહૂબ તેના જેવી જ હતી. તેણે સંતોષ સાથે એ બધી પ્રતિમાઓ એક લાઈનમાં ગોઠવી અને એ પ્રતિમાઓ વચ્ચે એક પ્રતિમાની જગ્યા ખાલી રાખી.

નજૂમીએ શિલ્પકારને તેના મૃત્યુનો નિશ્ર્ચિત સમય કહ્યો હતો. એ સમયથી પહેલાં શિલ્પકાર પેલી નવ પ્રતિમાઓ વચ્ચે ઊભો રહી ગયો.

નિશ્ર્ચિત સમય થયો એટલે યમદૂત શિલ્પકારને લેવા આવી પહોંચ્યો. તેણે શિલ્પકારના ઘરમાં 

આવીને જોયું અને તે અચંબામાં પડી ગયો. એકને બદલે દસ શિલ્પકાર લાઈનમાં ઊભા હતા. યમદૂતને શિલ્પકારની ચાલાકી સમજાઈ ગઈ, પણ તેણે શ્ર્વાસનો અવાજ સાંભળવાની કોશિશ કરી, પણ પેલો શિલ્પકાર પોતાનો શ્ર્વાસ રોકીને પ્રતિમાઓની વચ્ચે અત્યંત સ્થિર બનીને ઊભો હતો.

યમદૂતે બારીકાઈથી નિરીક્ષણ કર્યું, પણ એ દસે દસ પ્રતિમાઓ એકસરખી જ હતી. એમાંથી શિલ્પકાર કોણ છે એ પારખવું મુશ્કેલ હતું. શિલ્પકારે પોતાનું તમામ કૌશલ્ય પોતાના જેવી આબેહૂબ પ્રતિમાઓ બનાવવામાં ઠાલવી દીધું હતું.

યમદૂત શિલ્પકારને નજરથી ઓળખવામાં નિષ્ફળ રહ્યો એટલે ફરી વાર તેણે પ્રતિમાઓનું નિરીક્ષણ કરવાનો ડોળ કર્યો અને પછી તે સ્વગત બોલ્યો: 'અદ્ભુત કળા છે, પણ આ પ્રતિમાઓમાં એક વાતની કચાશ રહી ગઈ છે.'

યમદૂતના એ શબ્દો સાંભળીને શિલ્પકારથી રહેવાયું નહીં. એ બોલી ઊઠ્યો: 'શું ભૂલ રહી ગઈ છે?'

યમદૂત હસ્યા: 'ભૂલ પ્રતિમામાં નથી રહી ગઈ. ભૂલ તેં કરી છે. તેં તારા જેવી આબેહૂબ પ્રતિમાઓ બનાવી હતી એથી હું ખરેખર થાપ ખાઈ ગયો હતો, પણ તું તારી પ્રકૃતિને વશ થઈને બોલી ઊઠ્યો એટલે ઝડપાઈ ગયો!'

માણસ ગમે એટલો હોશિયાર હોય પોતાની પ્રકૃતિથી મજબૂર બની જતો હોય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment