Sunday 31 January 2016

[amdavadis4ever] ચિતાના અંગા રા ઠારવા જો ઈએ-એના પર ભ ાખરી ન શેકાય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચ.ડી.નો ઉચ્ચ અભ્યાસ કરવા માટે સંશોધન કરી રહેલો એક યુવાન અને તેજસ્વી વિદ્યાર્થી આત્મહત્યા કરીને મૃત્યુ પામે એ ઘટના કોઈ પણ સંવેદનશીલ સમજદાર ભારતીય માટે કમકમાટી પેદા કરે એવી ગણાવી જોઈએ. યુવાન વિદ્યાર્થીઓની આત્મહત્યા આપણે ત્યાં હવે જાણે કે સામાન્ય ઘટના બની ગઈ હોય એમ આપણને સ્પર્શતી નથી. ૨૦૧૪માં અત્મહત્યા કરીને મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની સંખ્યા સરકારી દફતરે ૨૪૦૩ની છે. હૈદરાબાદ યુનિવર્સિટીનો વિદ્યાર્થી દલિત કોમનો હતો એને આપણે અકસ્માત ગણવો જોઈએ. કોઈ પણ વિદ્યાર્થી સંઘર્ષો સામે ટકીને જીવન ઊજળું બનાવે એવું શિક્ષણ આપવામાં આપણે નિષ્ફળ ગયા છીએ એનો જ આ પુરાવો ગણાવો જોઈએ. દર વરસે જો અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓ આ રીતે આત્મહત્યા કરતા હોય તો એના કોમવાર આંકડા કાઢીને દરેક લાગતીવળગતી કોમ મેદાને પડી જાય અને એ મૃત વિદ્યાર્થીનાં અસ્થિ ઉપર જળ રેડવાને બદલે એની ચિતાના અંગારા ઉપર રાજકારણીઓ જ્યારે પોતાની ભાખરી શેકવા માંડે ત્યારે આ અપમૃત્યુ કરતાંય વધારે ઘૃણાસ્પદ કમકમાટી પેદા થાય છે. 

બન્યું છે એવું કે આ વિદ્યાર્થીની આત્મહત્યા પછી બીજા જ અઠવાડિયે તામિલનાડુના સાલેમ શહેરની નજીક આવેલી એક શિક્ષણ સંસ્થાની ત્રણ યુવાન વિદ્યાર્થિનીઓએ પરસ્પરના ગળા ફરતા દુપટ્ટા વીંટીને, એક કૂવામાં પડીને આત્મહત્યા કરી હોવાની દુર્ઘટના જાહેર થઈ છે. આ શિક્ષણ સંસ્થાએ જે વધારાની ફી ચૂકવવા માટે આ ક્ધયાઓ ઉપર દબાણ કર્યું એ આ ક્ધયાઓ જીરવી શકી નહીં, એમના પરિવાર પાસે આર્થિક ગોઠવણ નહોતી. આ પરિસ્થિતિ પણ આપણને ધ્રુજાવી મૂકે એવી છે અને આમ છતાં તેઓ દલિત નહીં હોવાને કારણે જ કદાચ રાજકારણીઓએ, પ્રસારમાધ્યમોએ અને ન બોલવાનું બોલીને કાગારવ કરતા બિનસાંપ્રદાયિકોએ આ મુદ્દે મૌન સેવ્યું છે. 

કોલેજ છાત્રાલયોમાં રેગિંગની પ્રથા હવે પ્રમાણમાં ઘણી ઓછી થઈ ગઈ છે અને આમ છતાં રેેગિંગના કારણે જ ઘણા વિદ્યાર્થીઓએ કાં તો અભ્યાસ છોડી દીધો હોય અથવા આત્મહત્યા કરી હોય એવા દાખલા નોંધાયા છે. આમાં મૂળભૂત સવાલ પ્રવર્તમાન સિસ્ટમનો છે. સિસ્ટમ તરીકે ઓળખાતું આ માળખું જડમૂળથી બદલવું જોઈએ એવો આક્રોશ કરવાને બદલે મૃતક કઈ કોમનો છે એને જ્યારે મહત્ત્વ આપવામાં આવે ત્યારે આપણે ઊણા ઊતરીએ છીએ.

થોડાં વરસો પહેલાં, એક ખ્રિસ્તી સાધ્વી ઉપર બળાત્કાર થયો ત્યારે ખ્રિસ્તીઓએ ઊહાપોહ કર્યો અને બળાત્કારની જઘન્ય ઘટનાને બદલે પેલી સાધ્વીનું ખ્રિસ્તી હોવું એ જ જાણે મહત્ત્વનું હોય એમ શોરબકોર મચાવી દીધો. આ ઘટના જાણે ખ્રિસ્તીઓ ઉપરનો અત્યાચાર હોય એવી રીતે પ્રસારમાધ્યમોએ અને પેલા કાગારવ મચાવવામાં માહેર બિનસાંપ્રદાયિકોએ ખેલ પાડ્યો હતો.

જૂના મદ્રાસ રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન એમ.જી. રામચંદ્રન મૃત્યુ પામ્યા ત્યારે બેબાકળા થઈ ગયેલા એમના સંખ્યાબંધ અનુયાયીઓએ આત્મહત્યા કરી હતી. એમનાં અનુગામી મુખ્ય પ્રધાન જયલલિતાને જ્યારે અદાલતે ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવીને કારાવાસમાં મોકલ્યાં ત્યારે પણ મોટી સંખ્યામાં એમના અનુયાયીઓએ આત્મહત્યા કરી હતી. પોતાના નેતા પાછળ બુદ્ધિ ગિરવે મૂકીને આ રીતે આત્મહત્યા કરનારાઓની માનસિકતા તપાસવી જોઈએ અને આ માનસિકતાનો પ્રસાર ન થાય એવાં શૈક્ષણિક પગલાં સરકારે ભરવાં જોઈએ. આ આત્મહત્યા કરનારાઓમાં પણ કેટલાક દલિતો હશે અને કેટલાક અદલિતો હશે. સરકારે આ બધાને આત્મહત્યા કરવા બદલ ઈનામ ચૂકવ્યું હતું. હજારો રૂપિયાનાં વળતર એમને આપવામાં આવ્યાં હતાં. 

હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીના અકાળ મૃત્યુથી જે નુકસાન થયું છે એ આખા દેશનું છે. દેશે આવતી કાલનો એક તેજસ્વી સંશોધક ખોયો છે, દેશે અડસઠ વરસના સ્વાતંત્ર્યોત્તર કાળ પછી પણ વિદ્યાર્થીને સંઘર્ષ સામે લડવાની કેળવણી આપી નથી. સંઘર્ષ કોઈનાય જીવનમાં એક યા બીજા પ્રકારે આવ્યા વિના રહે જ નહીં. મહારાષ્ટ્રના ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા હજારો ઉપર જાય છે. આ બધા ખેડૂતો માત્ર ખેતીવાડીની નિષ્ફળતાને કારણે કે દેવાના બોજા હેઠળ દબાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા છે એવું નથી. આ ખેડૂતો કોઈ એક ચોક્કસ કામના હશે એવું પણ નથી. ખેતી એ વ્યવસાય છે, કોમ નથી. આમ છતાં આ ખેડૂતોની આત્મહત્યાના મુદ્દા ઉપર કોઈના પેટનું પાણી પણ હલતું નથી. માત્ર આંકડા જાહેર થાય છે અને વળતરની રકમ જાણે પોતે ભલાઈ કરી રહ્યા હોય એવા ઢોંગ સાથે સત્તાવાળાઓ જાહેર કરે છે. 

ઉત્તર પ્રદેશના દાદરી ગામે ગોમાંસ ખાવાના મુદ્દા ઉપર એક પ્રૌઢ મુસલમાનને અકારણ કેટલાક કટ્ટરવાદીઓએ મારી નાખ્યો. કોઈ નિર્દોષની હત્યા થઈ હોય એવો આ પહેલો પ્રસંગ નહોતો. આ પ્રકારની કોઈ પણ હત્યાનો વિરોધ થવો જોઈએ અને અપરાધિને નશ્યત થવી જ જોઈએ એમાં બેમત નથી, પણ દાદરીની ઘટનાનાં ઢોલત્રાંસાં વગાડનારા સહુએ એ ભૂલવું ન જોઈએ કે કોમવાદી કારણોસર દેશમાં સેંકડો રમખાણો થયાં છે. આ રમખાણોમાં હજારો માણસો રહેંસાઈ ગયા છે અને આ બધા મોટા ભાગે નિર્દોષ જ હતા. 

આવું કંઈ પણ બને છે ત્યારે સરકારને દોષિત ઠરાવી દેવામાં આપણને એક મિનિટનીય વાર લાગતી નથી. સરકારનો બચાવ કરવાનો કોઈ ઈરાદો નથી, પણ આપણે થોડુંક બુદ્ધિપૂર્વક વિચારવું જોઈએ કે કોઈ પણ સરકાર દેશના એકેએક નાગરિકનો બચાવ કરવા પૂરતું પોલીસ દળની ગોઠવણ કરી શકે નહીં. આપણું નાગરિકત્વ, આપણી બૌદ્ધિકતા, આપણી સજાગતા અને આપણી નિષ્ઠા આ બધાં તત્ત્વો સાથે મળે તો જે જાગરૂકતા પેદા થાય એનાથી આવી દુર્ઘટનાઓ ઓછી કરી શકાય. કોઈ પણ અણગમતી સરકાર કે એ સરકારના વડાને કોઈ પણ નાની નાની ઘટના સાથે સાંકળીને દોષિત ઠરાવી દેવા એમાં શાણપણ નથી. ઈન્દિરા ગાંધી જ્યારે વડાં પ્રધાન હતાં ત્યારે કેટલોક સમય એક એવો વાયરો ફૂંકાયો હતો કે દેશની કોઈ પણ દુર્ઘટના માટે જાણે ઈન્દિરા જ જવાબદાર હોય એમ એમની સામે આંગળી ચીંધવામાં આવતી. એ સમયે ઈન્દિરાજીએ સામે એવી વળતી ટકોર કરી હતી કે દેશમાં ક્યાંક અતિવૃષ્ટિ થાય અથવા ક્યાંક અનાવૃષ્ટિ થાય ત્યારે લોકોને તત્કાળ રાહત પહોંચાડવી એ સરકારનું કામ છે એ કબૂલ પણ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ માટે પણ પ્રધાનમંત્રી જ જવાબદાર છે એવું દોષારોપણ કરીને એમના નામના છાજિયા લેવા એ તો ગાંડપણ છે. 

હૈદરાબાદ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી એ વિશે ચિત્કાર કરવાને બદલે એના નામથી સુખડી ખાનારાઓએ એક વાત યાદ રાખવી જોઈએ. આ વિદ્યાર્થીને એ દલિત હોવા છતાં સંશોધન અર્થે છાત્ર વૃત્તિ મળી હતી. કદાચ દલિત હોવાને કારણે જ એ મળી હતી. આંબેડકરે દલિત હોવાને કારણે ભારે સંઘર્ષો વેઠ્યા હતા. એમને અનેક વાર અન્યાયો પણ થયા હતા એ વાત પણ સાચી અને આમ છતાં એમને વિદેશ અભ્યાસ માટે છાત્રવૃત્તિ આપનારા અને એ પછી પોતાના રાજ્યમાં ઊંચા પગારની નોકરી આપનારા વડોદરાના ગાયકવાડ હતા અને આ ગાયકવાડી રાજ્ય દલિત નહોતું, અદલિત હતું. યાદ રહે કે આપણે અહીં દલિત વિરુદ્ધ અદલિતનો વિવાદ નથી કરવો. આ વિવાદ આપણને બધાને, જે પરિણામ અભિપ્રેત છે એ પરિણામ તરફ નહીં દોરી જાય. આપણને પરિણામ સાથે સંબંધ હોવો જોઈએ નહીં કે પેલા કામચલાઉ ભાખરી શેકવાના ઉદ્યમ સાથે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment