Tuesday, 4 October 2016

[amdavadis4ever] ધ્યાન કરવું ક ે ધ્યાન રાખવું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'ગુડ મૉર્નિંગ'ની પહેલી સીઝન વખતે કોઈ એક લેખ વાંચીને, સન્મિત્ર બની ગયેલા વાચકનો મને ફોન આવ્યો. કહે કે, 'તમારે રોજ ધ્યાનમાં બેસવું જોઈએ. જીવનમાં ખૂબ ફાયદો થશે. લેખનમાં પણ ફાયદો થશે.'

મને ખબર કે તેઓ પોતે રોજ ખાસ્સો એવો સમય ધ્યાનમાં બેસે છે અને સુંદર જીવન જીવે છે. પણ મારી પ્રકૃતિ કંઈક જુદી એટલે મેં એમને કહ્યું કે, 'હું જે રોજેરોજ લખું છું ને તે મારા માટે ધ્યાનમાં બેસવા જેવું જ છે!'

આ જૂની વાત મને વૈષ્ણોદેવીની ગોદમાં આવેલા કટરા (જમ્મુ અને કાશ્મીર) ગામમાં આવીને પૂ. મોરારિબાપુની કથા સાંભળતાં સાંભળતાં યાદ આવી. બાપુએ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત લાલબાપુને યાદ કરીને એમને ટાંકતાં કહ્યું કે 

લાલબાપુ કહેતા કે, 'હું ધ્યાન કરતો નથી, ધ્યાન રાખું છું!'

મોરારિબાપુએ ટાંકેલા લાલબાપુના આ શબ્દો મને એટલા માટે ગમી ગયા કે હું માનું છું કે આસપાસની ગરીબી, ગુનાખોરી, રાજકારણીઓનાં કૌભાંડ, ઘોંઘાટ, કકળાટ- આ બધા તરફ દુર્લક્ષ સેવીને જે કામ હાથમાં લીધું હોય તેમાં મન પરોવીને તલ્લીનતાથી કામ કરવાની ટેવ પડે તો એ ધ્યાન છે, મેડિટેશન છે, એટલું જ નહીં ધ્યાનનો સર્વોત્તમ પ્રકાર છે.

જે કામ કરીએ તે કામ કરવામાં જ ધ્યાન રાખીએ, બીજા કશામાં જ નહીં એ મેડિટેશન છે. તમે કોઈ પણ મોટી હસ્તીને નિહાળો. એ અભિનેતા હોય, નેતા હોય, સંત હોય કે ઉદ્યોગપતિ. તેઓ બે મિનિટ માટે પણ તમારી સાથે વાત કરતા હશે તો તમને લાગશે કે તેઓ તમારી સાથેની વાતચીતમાં પૂરેપૂરા મગ્ન છે, એમની દુનિયાની કઈ પડી જ નથી, માત્ર તમે જ એમના સમગ્ર અસ્તિત્વનું કેન્દ્ર છો અને હકીકતમાં પણ એવું જ હોય છે. એ ક્ષણો દરમ્યાન તમે જ એમના માટે સર્વસ્વ હો છો. અને એટલા માટે જ બીજા નૉર્મલ માણસો સાથે ગાળેલા બબ્બે કલાકના સમય કરતાં એ બે મિનિટનો સમય તમારા માટે આખી જિંદગીની સોગાદ બની જાય છે.

આપણે સમાન્ય લોકો શું કરતા હોઈએ છીએ કે વાત તો સામેની વ્યક્તિ સાથે કરતા હોઈએ પણ આપણું મન ક્યાંક બીજે પરોવાયેલું હોય. આપણા શબ્દો અવિરત બોલાતા હોય પણ એ ઠાલા હોય, ન એમાં ઊંડાણ હોય, ન સચ્ચાઈ, ન નિષ્ઠા. આપણે સામેની વ્યક્તિને સાંભળવાનો માત્ર દેખાવ જ કરતા હોઈએ છીએ, એ શું કહેવા માગે છે તે જાણવાની કોઈ પડી નથી હોતી આપણને. આપણા કાન પર પડતા એમના શબ્દો સમજાય-ન સમજાય ત્યાં તો એના અર્થ વરાળ બનીને હવામાં ઊડી જાય, હૃદયમાં-મનમાં સંઘરાવાને બદલે. કારણ કે આપણે પોતે ફિઝિકલી એમની સામે બેઠા હોવા છતાં મેન્ટલી ક્યાંક બીજે જ હોઈએ છીએ: પેલાએ આપેલો ચેક પાસ થઈ ગયો કે નહીં, મેં આપેલો ચેક આજે બૅન્કમાં આવી જશે તો... એવું બધું.

મલ્ટી ટાસ્કિંગ નામની ટર્મનો અને એ ભાવનાનો મેં સતત વિરોધ કર્યો છે. મેનેજમેન્ટમાં આ ટર્મ બહુ ગાજેલી. વર્ષો સુધી મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટોએ મલ્ટી ટાસ્કિંગ શીખવાડવાના નામે કંપનીઓના એચ. આર. ડિપાર્ટમેન્ટ્સ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા અને હવે છેક રહી રહીને આ જ ક્ધસલ્ટન્ટ્સ કહેવા લાગ્યા છે કે હવે સિંગલ ટાસ્કિંગનો જમાનો આવ્યો છે, મલ્ટી ટાસ્કિંગથી કૉન્સન્ટ્રેશન નથી રહેતું અને કામની ગુણવત્તા પર અસર પડે છે!

મારા માટે મઝા આવવી એ એકાગ્રતાનું બીજું નામ છે. એકાગ્રતા અને મઝા એ એકબીજાનો પર્યાય છે- ભલે બંને શબ્દો સ્વતંત્ર રીતે વપરાય ત્યારે એ બંનેના અર્થ ઘણા જુદા-જુદા હોય. ગમે એટલું સારું પિક્ચર કે નાટક હશે પણ જો તમે એમાં ઓતપ્રોત નહીં થઈ જાઓ તો મઝા નહીં આવે. તમારી સાથે આવનારી વ્યક્તિ ટ્રાફિકમાં અટવાઈ ગઈ કે તમને પોતાને પાર્કિંગ માટે જે વેલેને ગાડી આપી તે તમારી નવી નક્કોર કારને ઘસરકો તો નહીં કરી નાખે ને એવી ચિંતા રહ્યા કરશે તો તમારું ધ્યાન સામે પડદા પર કે સ્ટેજ પર જે બની રહ્યું છે એના પર નહીં હોય. ફિલ્મ ગમે એટલી સુપર્બ હશે, નાટક પણ ગમે એટલું સુપરહિત હશે, તમને મઝા નહીં આવે. આવો મારો અનુભવ છે, તમારો પણ હશે. મારો અનુભવ તો એવો છે કે મિડિયોકર ફિલ્મ કે નાટક પણ ઓતપ્રોત થઈને જોઈએ, એકાગ્ર બનીને જોઈએ તો એમાં પણ મઝા આવતી હોય છે.

જે સમયે જે કામ કરતા હોઈએ તેમાં પૂરેપૂરા ડૂબી જઈએ તે જ ધ્યાન. જો કે, આ રીતે ધ્યાનપૂર્વક જોયેલા પિક્ચરમાંથી બહાર નીકળતા હો ને કોઈનો ફોન આવે તો એવું નહીં કહેવાનું કે હમણાં જ અઢી કલાકના ધ્યાનમાંથી બહાર આવ્યો છું. લોકો હસસે તમારા પર. પણ હકીકત એ છે કે તમે બે અઢી કલાક ધ્યાનમાં જ હતા. મહાન હસ્તીઓ તમારી સાથે બે મિનિટ વાત કરતી વખતે ધ્યાનમાં જ હોય છે. તેઓ તો એ પહેલાં અને એ પછીની મુલાકાતો, બોર્ડ મીટિંગો વગેરે દરમિયાન પણ ધ્યાનમાં જ હોય છે. તેઓ આ રીતે ધ્યાન ન રાખે તો આટલાં બધાં અને આટલા મોટાં કામો કરી જ ન શકે.

આપણા કામોમાં ભલીવાર ન આવતો હોય એવું લાગે ત્યારે સમજવાનું કે આપણે એ કામ કરતી વખતે ધ્યાન નથી રાખતા હોતા, એકાગ્ર નથી હોતા, આપણું મન વેરવિખર થઈ જવા દઈએ છીએ, મનમાં ધસમસતા વિચારોને ચારે બાજુ વહી જવા દઈએ છીએ, કોઈ એક ચોક્કસ દિશામાં વાળવાને બદલે.

કહેવાય છે કે ધ્યાન એટલે નિર્વિચાર મન. જેમણે આવું કહ્યું અને જેમણે આવું સ્વીકાર્યું તે સૌને પ્રણામ. પણ નિર્વિચાર મન જેવું કંઈ હોઈ શકે જ નહીં. 'નિર્વિચાર મન'ની ક્ધસેપ્ટ એક છલના છે. મન એટલે શું? મન એટલે બીજું કંઈ નહીં આપણા દિમાગમાં વહેતા વિચારોનો પ્રવાહ. ગઈ કાલના પ્રવાહમાં આજનો પ્રવાહ ભળે અને આજના પ્રવાહમાં આવતી કાલનો પ્રવાહ ભળશે. આમ વિચારો એટલે જ મન. તો પછી નિર્વિચારની અવસ્થા હોઈ શકે જ કેવી રીતે? જેની પાસે મન ન હોય એવી કોઈ વ્યક્તિ હોય? માટે ધ્યાનમાં બેસીને નિર્વિચાર મન માટે મથામણ કરવાને બદલે ધ્યાનમાં બેસ્યા વગર જે કામ કરતા હોઈએ તે કામ તરફ વિચારોનો પ્રવાહ વાળીએ છીએ ત્યારે તેનું પરિણામ ધ્યાનમાં બેસવાથી મળતા અગડમ્બગડમ્ પ્રકારના પરિણામથી ઘણું જુદું, ઘણું ઊંચું અને ઘણું ઉપયોગી મળતું હોય છે.

વૈષ્ણોદેવી ત્રણ માતાઓનું પ્રતીક છે- કાલી માતા, લક્ષ્મી માતા અને સરસ્વતી માતા. એક નહીં ત્રણત્રણ માતાઓના ખોળામાં બેસીને લખતા હોઈએ ત્યારે સારું જ લખાવાનું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment