Sunday 30 October 2016

[amdavadis4ever] ધર્મ પાસે છે મૂંઝવણનો ઉકેલ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બૉસ્ટનથી લંડન જતી ફલાઈટમાં મારી બાજુની સીટમાં બેઠેલા સહપ્રવાસીએ મારા પર્સને બાંધેલી રક્ષાપોટલી જોઈને પૂછ્યું, "જૈન?

મેં હા કહી, પણ મને નવાઈ લાગી કે રક્ષાપોટલી જૈન પાસે જ હોય, એવી આ વિદેશીને કેવી રીતે ખબર પડી? હા, મારી સાડી જોઈને કેટલાક વિદેશીઓ મને એવું પૂછે છે કે ઈન્ડિયન? વિદેશીઓ રસપૂર્વક પાલવ અને કિનારનું નકશીકામ જોતાં હોય છે. પહેરવાની રીત માટે આશ્ર્ચર્ય પ્રગટ કરતાં હોય છે.

પણ આ રક્ષાપોટલી જૈનોની શ્રદ્ધાનું પ્રતીક છે. સાધુમહારાજના આશીર્વાદ પામેલી લાલ નાડાછડીવાળી રક્ષાપોટલી જૈનો જમણા હાથના કાંડે બાંધતા હોય છે, મનમાં શ્રદ્ધા હોય છે કે દરેક દૂરિત સામે રક્ષાપોટલી રક્ષણ કરે.

હું રક્ષાપોટલી હાથે નથી બાંધતી પણ મારું પર્સ જેમાં પાસપોર્ટ, ટિકિટ, પૈસા અને બીજી મહત્ત્વની ચીજો હોય એ પર્સને બાંધુ છું, અને પર્સની તફડંચી તો નહિ થાય ને એવી શંકા, કુશંકા, ચિંતાથી મુક્ત રહું છું.

આપણા ભારતના બીજા લોકો આ રક્ષાપોટલી વિશે જાણે છે, પરંતુ આ વિદેશી પણ રક્ષાપોટલી વિશે જાણે?

મારા મનમાં ઊઠેલી જિજ્ઞાસા હું વ્યક્ત કરું એ પહેલાં એ બોલ્યો: 'ણ્મો અરિહન્તાણમ્' હું ચમકી ગઈ, મારું આશ્ર્ચર્ય શમે એ પહેલા એ બોલ્યો. 'મિચ્છામિ દુક્કડમ્'.

હું હસી. અમારી વચ્ચેનો અપરિચિતતાનો પડદો હટી ગયો. હું હજી કંઈ બોલું એ પહેલાં એ બોલ્યો હું આર્થર, તમે? હું બોલી, 'અવંતિકા'.

મને આશ્ર્ચર્યચક્તિ કરતાં એ બોલ્યો, 'ઓહ પ્રાચીન નગર અવંતિકા'.

આર્થર ખૂબ વાતોડિયો, આનંદી અને મળતાવડો લાગ્યો. એ કહે, હું ઈતિહાસનો પ્રોફેસર છું. પુસ્તકો થકી હું બીજા દેશો અને સંસ્કૃતિનો પરિચય મેળવું છું, પણ એનાથી મારી જિજ્ઞાસા એટલી વધી જાય છે કે પ્રાચીન સંસ્કૃતિ હજી જ્યાં જીવંત છે એવા દેશોમાં જવું અને એવા લોકોને હું મળું છું. મળવું બહુ ગમે છે.

એટલે હું જે દેશમાં જાઉં એ દેશનું અર્વાચીન અને પ્રાચીન સાહિત્ય, ઈતિહાસ, ધર્મો અને રીતરિવાજો વિશે શક્ય એટલું વાંચું છું મને ભારતમાં બહુ રસ પડે છે. તમારે ત્યાં કેટલી બધી વિવિધતા છે! કેટલા બધા ધર્મો છે! બધા ધર્મોેની વિશેષતાની ચર્ચા કરતાં આર્થર કહે, ધર્મના અભ્યાસથી આપણને માણસ અને જીવન વિશે કેટલું બધું જાણવા મળે છે.

જીવન આનંદપૂર્વક, તનાવરહિત અને સૌહાર્દપૂર્ણ ઢંગથી જીવવું હોય તો માણસે શ્રદ્ધાળું બનવું જ પડે. કર્મકાંડ કે અંધશ્રદ્ધા નહિ પણ આ બ્રહ્માંડમાં સદ્તત્ત્વ છે એનામાં શ્રદ્ધા. "પ્રજ્ઞાયુક્ત શ્રદ્ધા.

એક વિદેશીના મોંએ બ્રહ્માંડ શબ્દ સાંભળીને હું તો ચકિત થઈ ગઈ, પણ એ સાચો વિદ્વાન હતો, પ્રકાંડ અભ્યાસી હતો, આવી રીતે ઊંચ સ્તરે એ ચર્ચા ન કરે તો આપણને નવાઈ લાગે. એની સાથે વાતો કરવાની મઝા પડી, રસ પડ્યો.

હસતાં હસતાં એ કહે, "તમે તમારા પર્સની જાળવણીનું કામ ચોતરફ ઘૂમી રહેલાં સદ્તત્ત્વને સોંપી દીધું છે ને! અજબ છે આ શ્રદ્ધા! તમે તમારું આ પર્સ મને સોંપીને દૂર જઈ શકો?

એનો આ વિચિત્ર સવાલ સાંભળીને હું તાજ્જુબ થઈ ગઈ. શું જવાબ આપવો આ માણસને! મેં કહ્યું, "શ્રદ્ધાનો અર્થ એવો નહિ કે હું બેદરકાર કે ગાફેલ રહું, હું મારી શક્ય એટલી સૂઝબૂઝથી આ પર્સ સાચવું પણ ક્યાંક ચૂક રહી જાય તો એ શુભતત્ત્વ સંભાળી લે! આર્થરે ભારપૂર્વક પૂછ્યું, "પણ, હું પૂછું છું કે તમે મને આપો કે નહિ?

હું બોલી, "અમારો ધર્મ કહે છે, અજાણ્યું પાણી પીવું નહિ, અજાણ્યું ફળ ખાવું નહિ, અજાણ્યા માણસનો વિશ્ર્વાસ કરવો નહિ.

આર્થર ખડખડાટ હસી પડ્યો: બોલ્યો, 'તમે શ્રદ્ધાનું તરણું પકડવા જાઓ છો, પણ તમારી શ્રદ્ધા કાચી છે. આ દોરો કેટલી શ્રદ્ધાથી બાંધ્યો છે, પણ મન હજી ડગમગે છે, તેથી તમે નફિકરા નથી બન્યા.' હું કંઈ બોલી નહિ, એ આગળ બોલ્યો, "સોરી, માફ કરજો મેં તમને કાચા નથી કહ્યા. તમે શ્રદ્ધાવાન છો એવું સ્વીકારી લઉં છું.

હું હસી. પ્રવાસના પાંચ સાત કલાક આમ ગપ્પા મારવામાં જ પસાર થયા. આર્થર બોલ્યો, "મને જૈન ધર્મની અનેકાંતદૃષ્ટિ અને સ્યાદ્વાદની ફિલોસોફી બહુ ગમે છે, એકની એક વાતને તમે અનેક રીતે તપાસો છો. મારી જ વાત ખરી છે, એવો આગ્રહ નહિ, આમ પણ હોઈ શકે, અને તમે કહો છો એમ પણ હોઈ શકે. કયાંય ટકરાવ જ નહિ. ઝઘડા કરવાનું કારણ જ ન મળે, વાદવિવાદ નહિ એટલે મનદુ:ખ નહિ. "હોય પણ ખરું અને ના પણ હોય! હોય પણ અને ના હોય. આવું વિચારવા માટે કેટલું ખુલ્લું મન જોઈએ, નમ્રતા જોઈએ! કોઈ પણ વિષયનો બધી દૃષ્ટિએ વિચાર કર્યા પછી પણ મને બધું સમજાઈ ગયું છે એવો ભાવ નહિ, સત્યશોધક માટે આવો અભિગમ કેટલો જરૂરી છે.

આપણી આ સૃષ્ટિમાં રહસ્યોનો પાર નથી. સૌથી મોટા જ્ઞાની માણસનું જ્ઞાન પણ ક્યારેક કૂવામાંના દેડકાના જ્ઞાન જેટલું સિદ્ધ થાય છે.

મેં કહ્યું, "સ્યાદ્વાદ અને અનેકાન્તવાદ અન્યોન્યના પૂરક છે. સ્યાદ્વાદમાં બધી જ શક્યતાઓનો તર્કપૂર્ણ સ્વીકાર છે, અનેકાંતમાં ખુલ્લા મનથી બધી રીતે પૃથ્થકરણ કરવાની વાત છે.

આર્થર એક ચિંતક અને મનનશીલ વિદ્વાન છે, એણે કહ્યું, "આવી દૃષ્ટિ હોય તો માણસમાં ખોટી જીદ ના રહે, ગુમાન ના રહે, સમભાવ રહે. બીજાના અભિપ્રાય માટે આદર રહે. આપણે કોઈને તારી વાત ખોટી છે, એવું કહીએ તો એ દુભાય, આપણી પર ગુસ્સો કરે, એ હિંસક બને, અને એમાં કેટલું બધું નષ્ટ થઈ જાય?

પણ આપણે જો જૈન ફિલોસોફીમાં માનીએ તો આપણે કેટલા ઉદાર અને પ્રેમાળ બની શકીએ! આ તનાવભરી જિંદગીમાં આવી જ ફિલોસોફી પ્રમાણે જીવવું પડશે, અને માણસ જો નહિ ચેતે તો રોગી અને દુ:ખી થશે, મનોચિકિત્સક પાસે જવું પડશે. મને તો લાગે છે, આધુનિક માણસ જ્યાં જ્યાં ગૂંચવાયો છે, એ બધી ગૂંચનો ઉકેલ એને પ્રાચીન ધર્મ પાસેથી મળશે. બાળકને નાનપણથી ધર્મની ફિલોસોફી તો સમજાવવી જોઈએ. તો જ એનામાં જીવવાનું બળ આવશે, એ કદી હારશે નહિ, થાકશે નહિ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment