Sunday, 26 June 2016

[amdavadis4ever] અચ્છે દિન આય ેંગે કહાં સે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છેલ્લાં બે વરસથી એક શબ્દગુચ્છ આમથી તેમ ફંગોળાઇ રહ્યો છે. પાનવાળાના ગલ્લાથી માંડીને સંસદ ભવન સુધી સહુ કોઇ આ શબ્દગુચ્છથી રમી રહ્યા છે અને બીજાને રમાડી રહ્યા છે. આ રમતમાં કોઇ આઉટ થતું નથી, કોઇ દાવ દેતું નથી બધા દાવ લઇ જ રહ્યા છે. આ શબ્દગુચ્છનું નામ છે - 'અચ્છે દિન'.

અચ્છે દિન શબ્દ કંઇ નવા નથી. ગુજરાતીમાં આપણે એને સારા દિવસો કહીએ છીએ. આપણે ત્યાં આ બંને શબ્દો સાથે મળે ત્યારે એનો એક ખાસ અર્થ થાય છે. ઘરમાં પરિણીત પુત્રી કે પુત્રવધૂ જયારે સગર્ભા થાય ત્યારે આપણે એને સારા દિવસો રહ્યા છે એમ કહીએ છીએ. વાતેય સાચી છે. ઘરમાં બાળારાજાનું આગમન થવાનું છે એમાં વધામણાં એટલે સારા દિવસો.

પણ આવા અચ્છે દિનની આગાહી થાય કે તરત જ બાળારાજાનો જન્મ થતો નથી. એને માટે નવ મહિનાનો સમય જોઇએ છે. એટલું જ નહી, આ નવ મહિના સુધી સગર્ભા માતાથી માંડીને ઘરના સહુ કોઇએ એની સંભાળ લેવી પડે છે. માતાની ખાણીપીણી, એની પ્રકૃતિ અનુસાર બદલાઇ જાય છે. એના હરવાફરવા ઉપર પણ નિશ્ર્ચિત મર્યાદા ઘેરાઇ જાય છે. એની ઇચ્છાઓ પણ બદલાતી જાય છે અને આ ઇચ્છાઓ પૂરી કરવી એ બાળારાજાના આગમન માટે જરૂરી હોય છે. આ કામ સગર્ભાના સસરાથી માંડીને પતિ, નણંદ, સાસુ, દેરાણી કે જેઠાણી અને દિયર સુધ્ધાં સહુએ કરવા પડે છે.

લોકસભાની ચૂંટણી ટાણે જે હાકોટાપડકારા થાય છે એ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીએ દેશની પ્રજાને વચન આપ્યું હતું. -'અચ્છે દિન આયેંગે'. અચ્છે દિન કોને ન ગમે? પણ આ અચ્છે દિન એટલે શું એની જાણકારી જાણે કોઇને નથી. સરકાર ઈંધણ ગેસના બાટલાની સબ્સિડી, ગેસધારકને સીધેસીધી એના ખાતામાં જમા કરાવે તો એનાથી જે લોકોને નુકસાન થાય છે તેમને માટે આ અચ્છે દિન નથી. જેમને ફાયદો થાય છે તેઓ આ પુનર્વ્યવસ્થાને અચ્છે દિન કહે છે. બે લાખ રૂપિયા કરતાં વધારે રકમનું સોનું ખરીદનારે પેન નંબર આપવો પડે એવો સરકારી કાયદો કાળું નાણું પકડવા માટે સારો છે, પણ જેમની પાસે પુષ્કળ કાળું નાણું છે એમના માટે અને સોનાચાંદીના વેપારીઓ માટે આ અચ્છે દિન નથી.

સાચી વાત તો એ છે કે કોઇ દિન અચ્છે કે કોઇ દિન બૂરો હોતો જ નથી. દરેક વ્યક્તિ, પરિવાર, સમૂહ કે પક્ષો પોતપોતાનાં હિતોને લક્ષમાં રાખીને કોઇપણ પરિવર્તનને અચ્છે દિન કે બૂરે દિન કહેતા હોય છે. વિદેશથી કાળું નાણું દેશમાં પાછું ફરે તો એને આપણે અચ્છે દિન કહીએ પણ આપણે પોતે જ પોતપોતાના ગજા પ્રમાણે કેટલાં કાળાં નાણાંની ટોપલીઓ ભરી છે એ મનોમન ગણી લેવા જેવું છે. બાળારાજાના આગમન પહેલાં ઘરના સહુ કોઇએ સગર્ભાને સહાય કરવી પડે છે. ગર્ભમાં રહેલું બાળક તેજસ્વી, તંદુરસ્ત અને સ્વસ્થ બને એ માટે સહુકોઇએ યોગદાન આપવું પડે છે. આપણે સહુ અચ્છે દિનની રાહ જોઇએ છીએ ખરા, અચ્છે દિન માટે દાઢમાંથી બોલીને મહેણાંટોણાં પણ મારીએ છીએ પણ આવા અચ્છે દિન માટે આપણે પોતે શું કર્યું એનો કયારેય વિચાર કર્યો છે ખરો?

મુંબઇ જેવા મહાનગરોમાં લાખો માણસો, ઉપર આભ અને નીચે ધરતી એમ રસ્તા ઉપર રઝળે છે. એ સાથે જ બિલ્ડરો અને ઇન્વેસ્ટરો કહેવાતા સેંકડો માણસો પાસે હજારો ફલેટ સાવ ખાલી પડયા છે. નરેન્દ્રભાઇ જેમની મારફતે અચ્છે દિન લાવવા માગે છે એવા એમના નાતીલ્યઓ એટલ કે-ભાજપી સુધ્ધાં-રાજકારણીઓ આવા સેંકડો ખાલી ફલેટો પોતાના પગ તળે દબાવીને બેઠા છે પછી અચ્છે દિન કહાં સે આયે?

એટલું જ નહીં, સરકારી કહેવાતી યોજના મ્હાડાના સેંકડો ફલેટો અંદરોઅંદર સગેવગે કરીને ભાડાં ઉપજાવનારાઓ કોણ છે? આ બધા અચ્છે દિનની વાત કયા મોઢે કરે છે? મ્હાડાના ફલેટોના ભાવતાલ બજાર ભાવથી ભાગ્યે જ ઓછા હોય છે. આવા ભાડે અપાયેલા અથવા ખાલી પડેલા ફલેટો સરકાર ધારે તો હાથવગા કરી શકે અને પછી રસ્તે રઝળતાઓને છાપરું આપી શકે. એ માટે ૨૦૨૦ સુધી રાહ જોવાની જરૂર નથી. પણ આવું નહી થાય, કેમ કે કાયદામાં આવો ફેરફાર કરવો પેલા અચ્છે દિનનાળાઓેને પરવડે એમ નથી.

આજકાલ ટામેટાંના ભાવ વિશે ભારે ઊહાપોહ કરીએ છીએ. સાચી વાત છે. ૧૦૦ રૂા. કિલો મળતાં ટામેટાં મોંઘાં જ કહેવાય. ટામેટાનું વાર્ષિક ઉત્પાદન ગયા વરસ કરતાં આ વરસે વધુ થયું છે એવા સરકારી આંકડા છે. જો આમ હોય તો ટામેટાં સોંઘાં થવાં જોઇએ એને બદલે મોંઘાં કેમ થયાં? આનો અર્થ એવો થયો કે ટામેટાંના ઉત્પાદકો, વિક્રેતાઓ, સરકારી એજન્સીઓ, માર્કેટ યાર્ડો અને વેપારીઓ આ પૈકી કોઇકે કયાંક કશીક ચાલબાજી કરી છે. આ ભાવ સાચા નથી, પણ વધારાનો નફો રળી લેવા માટે કોઇકે કયાંક ગઠબંધન કર્યું છે. આ ગઠબંધન કરનાર કોઇ વિદેશી સરકાર તો નહી જ હોય! અહીં આપણે જ છીએ અને આપણામાંથી જ કોઇકે આ ચાલબાજી કરી છે. જો આપણે જ આમ કરતા રહીશું તો ફિર અચ્છે દિન કહાં સે આયેંગે? આપણને સહુને અચ્છે દિન જોઇએ છે પણ આ અચ્છે દિન આપણને ફાયદાકારક હોય એ રીતે બીજું કોઇક લાવી આપે એવું આપણને અપેક્ષિત છે.

સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓ અચ્છે દિનની વાતો તો કરે છે પણ આ અચ્છે દિન લાવવા માટે તેઓ સમયસર પોતાના કાઉન્ટર ઉપર ગોઠવાયેલા હોય છે ખરા? સરકારી લખાપટ્ટીથી અજાણ એવો કોઇ અરજદાર આવે તો એને યોગ્ય માર્ગદર્શન આપવાને બદલે બીજા કોઇક ટેબલ ઉપર હકાલી કાઢવાની કામગીરી તમે સફળતાપૂર્વક કરો છો. આટલું કર્યા પછી લંચ અવર અર્ધો કલાકનો હોવા છતાં એક કલાક સુધી કેન્ટીનમાં બેસીને તમે અચ્છે દિન ક્યારે આવશે એની રાહ જુઓ છો. વીસ કે ત્રીસ વરસની નોકરી પછી પણ, રોજેરોજ અર્ધો કલાક મોડા આવીને અર્ધો કલાક વહેલા જવાની પ્રથાને તમે પૈતૃક વારસો ગણ્યો હોવા છતાં, એક દિવસ એક કલાક તમારા લાભાર્થે જ જો ઑફિસ સમય પૂરો થયા પછી વિશેષ વ્યાખ્યાન યોજાય તો તમે એને ઓવરટાઇમ ગણીને હાજર રહેવાની ના પાડો છો. આ સંજોગોમાં અચ્છે દિન શું કોઇ વાદળમાંથી વરસવાના છે?

શહેરના કોઇક માર્ગ ઉપરથી તમારી ગાડી સડસડાટ જઇ રહી છે. તમે સિગ્નલ તોડો છો, ટ્રાફિક પોલીસ તમને રોકે છે, તમે એને એક બાજુ લઇ જઇને ૧૦૦ રૂપિયાની નોટ ધરી દો છો. એ પણ રાજી થઇ જાય છે અને તમે પણ રાજી થઇ જાઓ છો. આ જાતના રાજીપા વચ્ચે અચ્છે દિન કહાં સે આયેંગે?

શિક્ષણ ક્ષેત્ર અને તબીબી ક્ષેત્ર આ બંને સેવા ક્ષેત્રો છે. એને આપણે ધમધોકાર ઉદ્યોગોમાં પરિવર્તિત કરી નાખ્યાં છે. શિક્ષક હવે બિચારો નથી. એ માસ્તર નથી. હવે હજારો રૂપિયાનો માસિક દરમાયો મેળવતો એ અધ્યાપક છે અને છતાં એેને નવી પાંગરતી પેઢીને સારા નાગરિક બનાવવા કરતાં કોર્સ પૂરો કરાવીને ટયૂશન કલાસ ચલાવવામાં રસ છે. દર્દીને જરૂર હોય કે ન હોય તો પણ બાયપાસથી માંડીને એમ.આર.આઇ. સુધીની લંગાર એને ગળે વળગાડી દેવામાં ફાઇવ સ્ટાર હૉસ્પિટલો અને ડૉક્ટરોને રસ છે. આ પ્રક્રિયામાંથી લગભગ સહુને પસાર થવું પડે છે. આ સંજોગોમાં અચ્છે દિન કૌન લાયેગા ઔર કહાં સે આયેગા?

મને કીડી કરડે તો એ સાપ કહેવાય અને તમને જો સાપ કરડે તો કીડી કહેવાય એવા વલણ સાથે નરી જાહેરખબરો અને પેઇડ ન્યૂઝથી તમારાં પ્રસાર માધ્યમો ઊભરાય છે. સચ્ચાઇ લોકો સુધી પહોંચાડવાને બદલે લુચ્ચાઇની લીલાલહેર કરવામાં આવે છે. રુઝાઇ જતો કોઇપણ ડંખ વલૂરી વલૂરીને તાજો કરવામાં રેટિંગ મળે છે. આ રેટિંગ સાથે તમારાં ખિસ્સાં સંકળાયેલાં છે. અખબારો, લોકોનું ઘડતર કરવાને બદલે પોતાના અખબારી ઉદ્યોગનું જ ઘડતર કરે છે. આવું થાય ત્યારે અચ્છે દિન કહાં સે આયેંગે?

અચ્છે દિન આપણે સહુએ સાથે મળીને લાવવા પડશે. રસ્તા ઉપર પાનની પિચકારી મારનારો, 'દેશમાં ગંદકી બહુ છે', એવું કહે ત્યારે એલિઝાબેથ ટેલર સીતાને સતીત્વના પાઠ શીખવતી હોય એવી કરુણાંતિકા સર્જાય છે.

આપણા કવિ ઉમાશંકર જોશીએ દેશની સ્વાતંત્ર્યપ્રાપ્તિ વિશે એક કાવ્યપંક્તિ લખી છે- 

'દેશ તો આઝાદ થાતાં થઇ ગયો

તેં શું કર્યું?'

આપણે સહુએ અચ્છે દિનની વાતો કરતી વેળાએ આ પંક્તિ યાદ રાખવી જોઇએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment