Thursday 30 June 2016

[amdavadis4ever] સત્તાવાન આગેવાન પાસે સત્તા જમાવી શકે એવા લોકોની અછત છે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
વહેંતિયાઓ વિરાટ બની જાય ત્યારે...

'ઠીંગણાઓના પડછાયા જ્યારે લાંબા દેખાય, ત્યારે સમજી લેવું કે, સુર્યાસ્ત નજીક છે.'
થોમસ કાર્લાઈલનું આ ક્વોટ સેન્સર બોર્ડના લાજ નેવે મૂકીને છબરડા કરતા ચીફ પહેલાજ નિહલાનીને પરફેક્ટ ફિટ થાય છે. ડ્રગ્સના બેકગ્રાઉન્ટમાં ગોવા બતાવી શકાય (ગો ગોવા ગોન, દમ મારો દમ, રોકી હેન્ડસમ) તો પંજાબ કેમ નહિ એવું રોકડું પરખાવીને જ્યારે મુંબઈ હાઈકોર્ટે સેન્સર બોર્ડનું ફજેતો કરીને નાક વાઢી લીધું, ત્યારે સંસ્કૃતિના રખેવાળોની અસલી ઔકાત દેખાઈ આવી. પરાજય પસંદ ન થતા નાલાયકી પર ઉતરી આવી પાછલા બારણેથી સેન્સર માટે આવેલી ઉડતા પંજાબ ફિલ્મની પાઈરેટેડ કોપી રિલિઝ પહેલા વહેતી મૂકી દેવાઈ!

બ્લાઈન્ડ ફેઈથ લીડસ યુ ટુવર્ડસ એક્સિડેન્ટસ. અમુક ક્લાસિકલ રૃઢિચુસ્ત ઝોક ધરાવતા મિત્રો હજુ ય એવી દલીલો કરશે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની પણ મર્યાદા હોય ને! એગ્રી. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો અર્થ જગતભરમાં વાણીસ્વાતંત્ર્ય થાય છે, બકવાસ સ્વાતંત્ર્ય નહિ. પણ એ મર્યાદા નક્કી કરવા માટે બંધારણ અને અદાલત છે. લોકશાહીમાં કોર્ટ ઓફ લોનું અસ્તિત્વ આ માટે તો હોય છે. પાંચ-પંદર સરકારી મહેરબાનીથી ગોઠવાઈ ગયેલા ચમચાબ્રાન્ડ નમૂનાઓ કરોડો નાગરિકોની પસંદગી પર ચપ્પટ બેસીને પોતાના પિપૂડા ધરાર વગાડી ના જ શકે.
એસ્પેશ્યલી સિનેમા, આર્ટ, સ્ટોરી જેવા કળાના ફિલ્ડમાં. આમ પણ સેન્સરશિપની કાતર ટીવી- સિનેેમાં પર જ ચાલે છે. બૂક, નાટક, ચિત્રમાં તો વિવાદ થાય તો ખબર પડે. બાકી પહેલા ક્યાં કોઈ પંચાતીયા પંચાયત એના નિર્ણય લેવા બેઠી હોય છે, કે એપ્રુવલ લેવા જવું પડે? ફોરજી ઈન્ટરનેટના હાકલા પડકારા વાગી રહ્યા છે, અને રિલાયન્સ જીયો જેવા મોબાઈલમાં એચડી સહિત સવા ત્રણસો ચેનલો લઈને આવી રહ્યા હોય, ત્યારે તન્મય કે ઉડતા પંજાબના વિવાદો કરનારા અર્ધ બેવકૂફ, અર્ધબદમાશ એવા 'બદકૂફ' પ્રજાતિના વાનરજોકર લાગે છે.

અંગ્રેજોએ ગુલામ પ્રજા ક્રાંતિની વાતો ન કરે અને પોતાના વિક્ટોરિયન મરજાદી માપદંડો ટકી રહે એ માટે આપણે ત્યાં ફિલ્મ સેન્સર બોર્ડનું સાંઠીકડું ઘાલી દીધું છે. બાકી, વર્ષોથી સમજદાર જાણકારો કહે એમ એનું કામ ફિલ્મના કન્ટેન્ટ મુજબ સર્ટિફિકેશનનું છે. કાપકૂપનું નથી જ નથી. પહેલાજના રાજમાં તો ભારતમાં કદી નહોતા બનતા એમ અંગ્રેજી ફિલ્મોમાં પણ અગત્યના દ્રશ્યો અને સંવાદો કપાઈ/મ્યુટ થઈ જાય છે. જાણે સ્કોચ વ્હીસ્કીનો પેગ પીનારાને પરાણે ગૌમૂત્ર પીવડાવો એવો મોં-માથા વગરનો ઘાટ ઘડાય છે.

એની વે,  મેઈન પોઈન્ટ એ છે કે, સંઘ-ભાજપ પાસે હિન્દુત્વની વિચારધારા છે, બૌદ્ધિક ચિંતનશિબિરો છે. પણ આધુનિક વિશ્વ સાથે કામ પાર પાડી શકે, એવું 'ટેલન્ટ પુલ' નથી. જેમ ડેનિસ લીલી અને શેખરે ફાસ્ટ બોલિંગની એકેડેમી શરૃ કરેલી, તો આખી એક જનરેશન ફાસ્ટ બોલર્સની આવી. એક જમાનામાં દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી શ્રેષ્ઠતમ કલાકારોનો ગંજ ખડકાયેલો. 'બાપ્સ' સ્વામીનારાયણ સંસ્થામાં આખો ફાલ છે દેશ-વિદેશમાં મંદિરોનું મેનેજમેન્ટ સંભાળતા હાઈટેક યુવાસાધુઓનો. ગુલશનકુમારે આનંદ-મિલિંદ, નદીમ-શ્રવણ, કુમાર સાનુ, ઉદિત નારાયણ, બાબુલ સુપ્રિયો, અનુરાધા પૌડવાલ, અરૃણ પૌડવાલ, અનુ મલિક, નિખિલ-વિનય જેવા ગાયકો સંગીતકારોની આખી ફોજ રાખેલી જે વન બાય વન હિટ આલ્બમ આપ્યા જ કરતી હતી!

આને ટેલન્ટ પુલ કહેવાય. બેસ્ટ ક્વોલિટીની એ ગ્રેડની પ્રતિભાઓ પોતાની દેખરેખ નીચે, શ્રેષ્ઠ સુવિધાઓ આપીને વિકસાવવાની. એક કોઈ કારણથી માંદો પડે કે ન હોય તો ય બીજા એનું ખબર પણ ન પડે એમ રિપ્લેસમેન્ટ કરી નાખે. પશ્ચિમના આ લોહીમાં છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ એનું ઉદાહરણ છે. સુપર હીરો કે ડાયનોસોર- ડિઝાસ્ટરની ફિલ્મોમાં ડાયરેકટર્સ ફરી જાય, તો ય બેઝિક ક્વોલિટી એવી જ રહે. આપણે ત્યાં વિલાયત ભણી આવેલા ગાંધીજીએ આ દાખલો આબાદ ગણેલો.

ગાંધીજીના એકલા હાથે આઝાદી આવી નથી, પણ ગાંધીજી થકી આઝાદી આપણે ત્યાં ટકી ગઈ, અને પાકિસ્તાન જેવી હાલત ન થઈ. પોતાની વિચારધારા નહિ, પણ અંગત મૂલ્યનિષ્ઠા અને પ્રામાણિકતા, ઈન્ટેગ્રિટી એન્ડ કમિટમેન્ટના જોરે ગાંધીજીએ ભારતમાં ઉપલબ્ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટેલન્ટ ભેગી કરેલી. ટાગોર- મુનશી- મેઘાણી- સ્વામી આનંદ જેવા સાહિત્યકારો, સરદાર- પંત- મોરારજીભાઈ- ઢેબરભાઈ- રાજેન્દ્ર બાબુ- રાજગોપાલાચારી જેવા વહીવટકર્તાઓ, નેહરૃ- બિરલા- ટાટા- કસ્તૂરભાઈ- સારાભાઈ જેવા એરિસ્ટોક્રેટસ બધા જ પ્રકારના વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ ગણાતા લોકો એકે-એક રાજ્ય, ધર્મ-કોમ-જ્ઞાાતિ- વર્ગમાંથી ગાંધી જોડે પોતાના કામધંધા મૂકીને જોડાયેલા રહ્યા. એટલે વર્ષોથી ગુલામ ભારતને લોકશાહીમાં આરંભમાં જ સ્થિર સરકારો મળી. અંગ્રેજો હતા ત્યારની કાબેલ કેબિનેટ રેડી હતી!

ડાબેરી સ્યુડો સેક્યુલારિઝમનાં યોગ્ય રીતે જ પ્રખર ટીકાકાર અને એના એકાંગી તુષ્ટિકરણ સામે ધીરે ધીરે રાષ્ટ્રવ્યાપી સંતુલન ઉભું કરનાર રાજકીય હિન્દુત્વવાદીઓએ એમના કટ્ટર હરીફો પાસેથી આ શીખવાનું છે. જ્યારે ને ત્યારે કોરસમાં બધા કાગારોળ કરે છે કે અંગ્રેજી મીડિયાનું ડાબેરી બુદ્ધિજીવીઓએ બ્રેઈનવોશ કરી નાખ્યું છે. પણ એ દેખાતું નથી કે આટલી હદે આધુનિક સેફિસ્ટિકેટેડ અંગ્રેજી માધ્યમની જનરેશન પર પરોક્ષ પ્રભાવ પાથરી એમના મનમાં મૂલ્યો રોપવા માટે ડાબેરીઓ પાસે કે  લિબરલ્સ પાસે હાઈલી એજ્યુકેટેડ, સોફટ સ્પોકન, આર્ટિક્યુલેટ અને લોજીક સાથે ચીસાચીસ કર્યા વિના શાંતિથી મુદ્દાસર વાત મૂકી શકે, એવા વિદ્વાનો અઢળક છે. કંઈક અંશે પરિવારવાદમાં ધોવાઈ ગયેલી કોંગ્રેસ પાસે પણ. કળારસિક કવિજીવ વાજપેયી પાસે ય અડવાણી- જોશી - મહાજન - ફર્નાન્ડીઝ- જશવંતસિંહ- યશવંતસિંહા- સિકંદર બખ્ત- વિનોદ ખન્ના જેવી ટીમ તો હતી જ.

ફરક ક્વોન્ટીટીનો જ નહિ, ક્વોલિટીનો પણ પડે છે. દેખીતું ઉદાહરણ છે કે એક તબક્કે વારંવાર પૂરી બહુમતીથી ચૂંટાતી ગુજરાત સરકાર પાસે અંગ્રેજીમાં મીડિયા સાથે વાત કરી શકે એવા ત્રણ જ મંત્રી હતા. જયનારાયણ વ્યાસ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભ પટેલ. અલબત્ત, મોદીસાહેબ એકે હજારા હતા અને ભણેલા અધિકારીઓ ઘણીખરી જવાબદારી નિભાવી લેતા.

  આપણા જાહેરજીવનમાં ઘણાં પ્રકારના લોકોને 'સાચવી' લેવાની એક રાજકીય મજબૂરી હોય છે. પક્ષ ચલાવવા માટે સંગઠ્ઠન ટકાવવું પડે અને એ માટે બધાને લાભ અપાવવો ય પડે. આ પ્રેકટિકલ રિયાલિટી છે.
પણ એનો અર્થ એવો ય નથી કે બધા ડેમોક્રેટિક ઈન્સ્ટિટયુશનમાં તળિયા વગરના લોટા જેવા બાયોડેટા વગરના વામણાઓ જ ભરી દેવા. આમાં તો જે યુવા વર્ગની લોકપ્રિયતાથી સત્તા મેળવી, એમની જ શ્રદ્ધા ઘટી જાય!

એફટીટીઆઈ નકસલી માનસિકતા કે ડ્રગ એડિક્ટનો અડ્ડો થઈ ગયો છે, એ અલગ વાત છે, પણ એટલે ગજેન્દ્ર ચૌહાણ જેવાને ત્યાં નીમીને સામે ચાલીને હાસ્યાસ્પદ કેમ બનવું? આ તો નાક કપાવી નામના મેળવવા જેવો ઘાટ થયો!

એવું નથી કે વર્તમાન ચૂંટાયેલી સરકાર પાસે ગજેન્દ્ર ચૌહાણો અને પહેલાજ નિહલાનીઓ જ હોય. વિનોદ ખન્ના, પરેશ રાવલ, અનુપમ ખેર, મનોજ જોશી, મિહિર ભૂતા, ડો. ચંદ્રપ્રકાશ, શત્રુઘ્ન સિંહા, વિવેક અગ્નિહોત્રી પણ છે જ ને! અને વધુ લોકો ભૂતકાળ ભૂલીને જોડાતા જાય, એવું સાર્થક વાતાવરણ રચવું જોઈએ. ખોટા નિર્ણયોમાં યુ ટર્ન ન મારવાની જીદ રાખ્યા સિવાય! ચાણક્ય પાસેથી શીખવાનું એ જ છે કે ધનનંદને મરાવ્યા પછી મગધના રાજકાજમાં ઉપયોગી એવા અમાત્ય રાક્ષસને ચંદ્રગુપ્તની ઉપરવટ જઈને પ્રજાહિતમાં ચાણક્યે ખુદ આમંત્રણ આપેલું!

આમાં બે વાસી અને વાહિયાત દલીલો ચાલે નહિ. એક, અગાઉની સરકારો/કોંગ્રેસ/ બીજા પક્ષોએ આમ જ કરેલું. એમણે વહેંતિયા પિગ્મીઓ નીમ્યા, એટલે આપણે ય એવું જ કરવાનું? તો પછી કામગીરીની ગુણવત્તા અને પરિણામો ય અગાઉની સરકારો જેવા જ આવે ને? અચ્છે દિન ત્યારે જ આવે જ્યારે સત્તાપરિવર્તન નહિ, પણ વ્યવસ્થા પરિવર્તન થાય. આગલાવાળાએ ભૂલો કરી તો પબ્લિકે એને ય જાકારો દીધો. આપણે એનું પુનરાવર્તન જાણીજોઈને શા માટે કરવું? હરીફોનો વિકલ્પ (ઓપ્શન) બને, એ વિજેતા થાય, નકલ (કોપી) કરે એ લૂઝર થતા જાય. બીજાની લીટી ભૂંસી કાઢવાથી  બોર્ડ કોરું થઈ જશે, ખરો રસ્તો તો પોતાની લીટી દોરવાનો છે, એને લાંબી કરવાનો છે.

બીજું, ફલાણો ટેલેન્ટેડ માણસ તો અગાઉ આપણી ફેવરમાં નહોતો, હવે લાગ જોઈને આવી ગયો છે- માટે એનો ભરોસો ન કરાય. કબૂલ, કેટલાક લુચ્ચા સ્યુડો સેક્યુલર લેફરીસ્ટ માત્ર પર્સનલી એલર્જી રાખીને એકધારી ટીકા જ કર્યા કરે છે, તો એવા પાટલીબદલૂ થવા જાય રાતોરાત તો ફગાવી દેવાના હોય. એવા જ ઓપોર્ચ્યુનિસ્ટ માત્ર ખુશામતખોરી જ કર્યા કરનારાઓની પણ એ જ કારણથી ઉપેક્ષા કરવાની હોય.
પણ ચેતન ભગત જેવા લેખકો કે નસીરુદ્દીન શાહ જેવા કલાકારો બે અણગમતી વાત કરે, તો ય સાંભળવી જોઈએ. કારણ કે, સોશ્યલ ઓબ્ઝર્વરનું કામ ફેક્ટ બેઝડ રાઈટ ઓપિનિયન કોઈ અનુગ્રહ-પૂર્વગ્રહ વિના કારણો સાથે આપવાનું છે. એમની વફાદારી વ્યક્તિ નહિ, પણ નીતિ સાથે હોવાની. અંગત રીતે કોઈ ફિલ્મસ્ટાર ગમે, એટલે એની બધી જ ફિલ્મો વખાણવાલાયક થઈ જતી નથી. ને એ જ કારણથી ફિલ્મસ્ટાર ગમતો હોય તો ગમતો બંધ થઈ જતો નથી. સેમ ગોઝ ટુ પોલિટિકલ લીડર્સ. વાત કેવળ ફિલ્મી નથી. જેએનયુ જેવા કેમ્પસની ખોટી દેશવિરોધી હરકતોની ટીકા તો કરીએ જ. પણ સામે પક્ષે ભારતના ભવ્ય દિવ્ય ગૌરવશાળી વારસાનું મહાત્મય સમજાય, અને એ બિલકુલ બોરિંગ ઉપદેશ કે ધાર્મિક આગ્રહો વિના એવી હિન્દુત્વની ગ્લેમરસ, વર્લ્ડ ક્લાસ  ભાષા અને અભિગમ ધરાવતી મુક્ત આઝાદ યુનિવર્સિટીઝ કેમ ન બને? ડો. દક્ષેશ ઠાકર જો વીર નર્મદ યુનિ.ની કાયાપલટ કરી શકે કે કનુભાઈ માવાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિકલ બદલાવી નાખે તો એવી પ્રતિભા ધરાવતા સારસ્વતોને જ શિક્ષણમાં આગળ લઈ આવી શકાય. જેથી નેગેટિવ છાપ વગર પ્રચારે આપોઆપ પોઝિટિવ થતી જાય!

મોટા ભાગે હિન્દુત્વની વાતો કરનારા રાડિયાચીડિયા, સતત પશ્ચિમ કે મલ્ટીનેશલ્સને વખોડતા (અને ખાનગીમાં એનો જ ઉપયોગ કરતા!), લાલચોળ મોઢે પ્રેમ કે ખ્રિસ્તી-મુસ્લિમ ધર્મ કે આધુનિક આનંદપ્રમોદને અને સેક્સને ભાંડતા અરસિક, ક્રોધી,   ચર્ચા કરો તો તર્ક કે તથ્યના અભ્યાસ વિનાના કેવળ આક્રોશથી દોરવાયેલા અભ્યાસહીન અને યાંત્રિક જ દેખાય છે. ટીવી પર કે સભામાં. રામ માધવની જેમ ઠરેલ ચિત્તે, હસતા મોંએ, શાંત અવાજે, પરિવર્તનની ખોટી ટીકાઓ કરવાને બદલે સમતાપૂર્વકનો ભવિષ્યવાદી અભિગમ રાખનારા બહુ ઓછા જોવા મળે છે! એટલે જ માત્ર ચૂંટણી જીતવાની ક્ષમતા સિવાય પણ ટેલેન્ટ પુલ ક્રિએટ કરવાની તાતી જરૃરિયાત છે.

તો પછી રઘુરામ રાજન જેવા સક્ષમ રિઝર્વ બેન્કના ગવર્નરને બદલવાનો એજેન્ડા નક્કી પણ થાય, તો વિવાદ ન થાય. એવી જ કક્ષાના એટલા જ ગ્લોબલ અને અનુભવી આર્થિક નિષ્ણાતો વિશ્વાસુ તરીકે હાજરાહજૂર હોય. આજે તો સરકાર પાસે ઢંગના અર્થશાસ્ત્રીઓ જ આંગળીને વેઢે ગણાય તેવા છે. સ્વદેશીની નારાબાજી કર્યા કરતા ક્રિએટિવ ઈકોનોમિસ્ટસને એકઠાં કરવા પર ધ્યાન અપાવું જોઈએ. સત્તા મળ્યા પછી અમુક બાબતોમાં એક્સપર્ટ લોકો છે જ નહિ, તો રાતોરાત શોધવા ક્યાંથી? શોધો તો ભરોસો કેમ થાય? એમાં પહેલાજ જેવા ફાવી જતા હોય છે, સચીનનું સ્થાન વિરાટ લે તો કોઈ હોબાળો ન થાય. પણ સ્ટુઅર્ટ બિન્ની લે તો વિરોધ થવાનો જ.

લેટેસ્ટ ઉદાહરણ ફેશનના ક્ષેત્રે બેસાડી દેવાયેલ એકસ ક્રિકેટર ચેતન ચૌહાણનું છે. વિરાટો છે નહિ, એટલે વહેંતિયાઓને પરાણે ફુલાવી ફુલાવીને ગોઠવવા પડે છે. ફુગ્ગો ફુલાવો તો હવા વધુ ભરાય, પણ સપાટી પાતળી થતાં મજબૂતાઈ ઘટે! અરૃણ શૌરી જેવા સાથે ધારો કે, મતભેદ થયા તો એ કક્ષાના બીજા દસ-વીસ સાથે કેમ નથી? એ બધા સેક્યુલર ડાબેરીઓથી અંજાયેલા છે, એવી દલીલ ન ચાલે. યુરોપનું આયાતી અને એ ય અધુરિયું સેક્યુલરિઝમ જો આટલા બધા ઈન્ટેલીજન્ટ માણસોને એકસાથે પ્રભાવિત કરી શકે, તો પ્રાચીન અને આદર્શો-ચિંતન-માનવતા-સદાચારમાં શ્રેષ્ઠત્તમ એવું હિન્દુત્વ કેમ ન કરી શકે?

એટલે નથી થતું કારણ કે એનું બદલાતા સમય સાથે પેકેજીંગ ફેરવતા આવડતું નથી. જમાનો ઝપાટાબંધ બદલાઈ રહ્યો છે. બ્રિટન- ફ્રાન્સ- કેનેડાની ચૂંટણીઓમાં ઉદારમતવાદીઓ જીત્યા છે. નવી પેઢીને જૂના  ઓર્થોડોક્સ પરંપરામાં ઓછો રસ પડે છે. મોદીસાહેબ અંદરથી આ વાત સમજી ગયા છે, માટે વડાપ્રધાન છે. વક્તાઓ તો આદિત્યનાથો પણ છે. પણ એમનો એપ્રોચ જડસુ છે. વાજપેયી અને મોદી, સંઘમાંથી બે જ વડાપ્રધાનો આવ્યા છે, અને બે ય સર્વસમાવેશક,
સુધારાવાદી અને ઈન્ટરનેશનલ બ્રાન્ડિંગમાં મોડર્ન   છે. આક્રમક હિન્દુત્વ દિલ્હી-બિહારમાં ચાલ્યુ નહિ, પણ શિક્ષણ- સેવા- સમાજને બેઠો કરવાના પાયાના પોઝિટિવ કામ આરએસએસએ આસામમાં કર્યા તો એના મીઠાં ફળ પ્રાચી-સાક્ષીઓની હો-હા વિના મળ્યા. આજે અરૃણ જેટલીએ સરકારના બિનસત્તાવાર પ્રવક્તા બનવું પડે છે, કારણ કે જેટલી સૌમ્ય છે. લિબરલ છે. દુનિયા ફરેલા છે અને ફ્લેક્સીબલ છે. જો એ જોડાઈ શકે લિબરલ હિન્દુત્વ સાથે, તો બીજા કેમ નહિ?

સંગઠ્ઠન આવશ્યક છે. લોકો સુધી પહોંચવા માટે અને  પોલિટિકલ નેટવર્ક ગોઠવવા માટે. પણ અસરકારક પરિણામો તો કસાયેલા ખેલાડીઓ જ લઈ આવી શકે. વર્લ્ડ કપની ટીમમાં વિકેટકીપર ધોની હોય, પાર્થિવ  પટેલ નહિ. પાનસિંહ તોમર બનાવવું હોય તો ઈરફાનખાન જોઈએ, ઈમરાન ખાન નહિ. સ્ટ્રોંગ પાવરફુલ ઈનોવેટિવ ગ્લોબલ લોકોની જ થિન્ક ટેન્ક બનાવવી પડે. કોમવાદી, સંકુચિત ગપ્પાષ્ટકને જ પ્રોત્સાહન આપો, તો હાલત એવી થાય કે ૧૦૦ સક્ષમ માણસો સરકાર પાસે ન મળે.

બનારસ હિન્દુ યુનિવર્સિટી પંડિત મદનમોહન માલવીયાએ સ્થાપી, પણ હિન્દુત્વના આંતરવિરોધની નબળાઈને લીધે એનો સર્વમાન્ય અભ્યાસક્રમ બન્યો નહિ. આમ પણ એનું સ્ટ્રકચર જ અંગ્રેજીની પધ્ધતિનું હતું. અને એ સિવાય છૂટકો પણ નહોતો. ગુરૃકૂળોની વાતો સાંભળવામાં સારી લાગે, બાકી એ ય હાઈટેક કરી નાખવા પડે. મોબાઈલની એપ કેવી રીતે  બનાવવી એ વાતો
વેદ-પુરાણ- ઉપનિષદમાં નથી. આજના બાળકોને તો એ ય શીખવું હોય.

અને જે છે, એને દુનિયા સામે મૂકવામાં આપણે કાચા એટલે પડીએ છીએ કે હિન્દુત્વને સમજવાનો આપણો અભિગમ કેવળ ધાર્મિક છે. સાંસ્કૃતિક કે આધ્યાત્મિક કે સામાજીક કે વૈજ્ઞાાનિક નથી. ભગવદગીતામાં રહેલા મોટિવેશન કે ડેમોક્રસીને આપણે જગત સામે મુકતા નથી. કાલિદાસ- વાત્સ્યાયનના શૃંગારની સરખામણી એ  આપણે બાઘા લાગીએ છીએ. વ્યાસના મહાભારતમાં મોડર્ન
ફિલ્મના સુપરહીરો  જેવા ડાર્ક શેડસના કેરેકટર્સ છે, એ એંગલ આપણામાં આવતો નથી. મોરારિબાપુ આપણી પાસે એક જ છે. કમ સે કમ એવા હજાર જોઈએ. પણ બાબાઓ બિઝનેસમેન બની ગયા છે. અને એમાં ય દંભ કરે છે, ખુલીને,  કોર્પોરેટ મેન્ટાલિટી છે- ઈવેન્ટ મેનેજમેન્ટ ફિક્સ છે એવું સ્વીકારતા નથી!

એટલે ધુરંધર શાસ્ત્રાર્થ કરતા આદિ શંકરાચાર્યો ને બદલે આજે રામવૃક્ષ યાદવ જેવા અર્ધપાગલ બાવાના નામે મરવા-મારવાવાળી ફોજ છે! એ ગાંડિયો એના પ્રવચનમાં સાવ જૂઠી બેસિરપૈરની વાતો કરતો હતો. આપણી વસતિમાં કોઈ પણ લલ્લુને પાછળ ચાલનારા લાખેક ઉલ્લુ મળી જાય. સમજ્યા વિના શહીદી, ક્રાંતિ, અને વીરતાના
આડેધડ ઈન્જેકશન પાયા, એનું રિએકશન હવે આવું  આવે છે.

ટૂંકમાં, મિડિયોક્રિટી આજના સમયમાં વૈશ્ચિક રોગ બનતી જાય છે. પહેલા ચંદ્રકાંત બક્ષી જેવા સજ્જ લોકો લેખક થતા, આજે મફત મળેલા પરદેશી સોશ્યલ નેટવર્કમાં ગમે તે ચક્કરબત્તી પાંચપંદર લીટી ટાઈપ કરી લેખક હોવાનો ફાંકો રાખે છે. અપવાદો છે, પણ ડિજીટલ યુગમાં ય આવા વામણાઓ મીડિયાનો ઘૂઘરો હાથમાં આવી જાય છે, માટે વિરાટ થતા જાય છે! વોટસએપના ફોરવર્ડેડ મેસેજીઝમાંથી જીવનનું જ્ઞાાન મેળવતા સમાજમાં સમજ કેટલી હોય?

યોગ્ય સ્થાને સુપાત્ર વ્યક્તિઓ નહિ હોય તો પેરેલાઈઝડ બોડી જેવી હાલત આપણી થાય. બ્રેઈન સાબૂત હોય પણ અંગ ઉપાંગ કાબૂમાં ન રહેતા નિષ્ક્રિય થાય, અને એક ડગલું આગળ ભરી ન શકાય!

ફાસ્ટ ફોરવર્ડ
'લોકોને સચ્ચાઈમાં નહિ, માન્યતાઓમાં રસ છે.' ('હેઈલ સીઝર' ફિલ્મનો સંવાદ)

__._,_.___

Posted by: =?UTF-8?B?4oiC0L3OsdGP0LzRlM63?= <ag.dharmen@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment