Sunday, 5 June 2016

[amdavadis4ever] જે પોતાને નીર સ બનાવી દે છે એને બીજાઓમાં ક ોઈ રસ પડતો નથી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નવી વ્યક્તિઓ અજાણી ન લાગે અને પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થતું રહે એ માટે શું કરવું જોઈએ?

બેઉ જુદા મુદ્દા છે. વારાફરતી લઈએ.

જેમની સાથે અગાઉ ક્યારેય મુલાકાત કે ઈમેલ/ફોન/વૉટ્સઍપ વ્યવહાર ન થયાં હોય એવી વ્યક્તિને પહેલવહેલીવાર મળતાં ખચકાટ થાય છે. જો કોઈ કામ માટે જતા હો તો કામ કરી આપશે કે નહીં, ચાહક તરીકે મળતા હો તો તોરીલો વર્તાવ કરશે કે હૂંફથી મળશે, મિત્ર બનાવવા માગતા હો તો મિત્ર તરીકેની લાયકાતો એમનામાં હશે કે નહીં એવો ઉચાટ અંદરખાને રહેવાનો. પ્રથમ વાર મળવાના બાહ્ય ઉશ્કેરાટ હેઠળ આ ઉચાટ પોતાના મન સમક્ષ પ્રગટ ન થાય એવું બને. નવી વ્યક્તિની ઓળખાણ સાથે એ વ્યક્તિની આસપાસના સમગ્ર માહોલનો પરિચય થાય છે. વ્યક્તિ ગમે, પરંતુ એ વાતાવરણ ન ગમે એવુંય બને. અને ક્યારેક એથી ઊંધુંય બને. પાર્ટી કે જાહેર સમારંભ કે નાટક, લગ્ન, મેળાવડાઓમાં થતી રહેતી નવી ઓળખાણોમાંથી દરેક ઓળખાણ માત્ર ઔપચારિકતાના સ્તર પર રહી શકતી નથી. કેટલાક પરિચયો વિઝિટિંગ કાર્ડ્ઝની આપલેની ફોર્માલિટી વટાવીને ખૂબ આગળ જઈ શકતા હોય છે. 

નાનકડા વર્તુળમાં, ઘરમાં, ઑફિસમાં કે પછી ટ્રેન-પ્લેન જેવી જાહેર જગ્યાઓએ માત્ર એકાદ બે ઓળખીતી વ્યક્તિઓની જ હાજરીમાં કે એમનીય હાજરી વિના થતા પરિચયોમાં નિરાંતે પ્રસ્તાવના બાંધવાની મોકળાશ મળે છે. વ્યક્તિ એટલે માત્ર એના કાર્ડ પરનું નામ કે એ હોદ્દો નહીં, પરંતુ એથી વિશેષ એની પ્રતીતિ આવા નિરાંતના પરિચયો દરમિયાન થાય છે. આવા પરિચયોમાં ભવિષ્યમાં અપોઈન્ટમેન્ટ વિનાના સંબંધો પાંગરવાની શક્યતા હોય છે. 

એક વખત મળ્યા પછી ક્યારેય ન મળતા હોય એવા ચહેરાઓની યાદી ઘણી લાંબી હોય છે. ક્યારેક આમાંના કોઈ ચહેરા નજર સામે ઝબકીને તરત ઓગળી જાય છે.-એમની સાથેની મુલાકાતનું સ્થળ, એ સમય, વાતાવરણ યાદ કરો તે પહેલાં જ ધુમ્મસમાં વિલીન થઈ જાય છે. બાકી રહી જાય છે એને ફરી મળવાની ઝંખના પ્રથમ પરિચય પછી જેઓ નિયમિતરૂપે કે અવારનવાર મળતા રહે છે. એમાંથી કોને કેટલાં વર્ષોથી તમે ઓળખો છો? એમની સાથેની પ્રથમ મુલાકાત તમને યાદ છે? કેટલાકની સાથેની ચોક્કસ યાદ હશે. કેટલાક નજીક હોવા છતાં એટલા દૂર નીકળી ગયા હશે કે એમની સાથેની પ્રથમ તો શું છેલ્લામાં છેલ્લી મુલાકાત પણ યાદ નહીં હોય. 

નવી વ્યક્તિને મળતી વખતે કેટલાક લોકો પોતાના સુરક્ષા કવચમાંથી બહાર આવતાં ડરેે છે. બખ્તર દૂર થતાં જ પોતાની વલ્નરેબિલિટી ઉઘાડી પડી જશે એવો ડર એમને સતાવે છે. અજાણી વ્યક્તિઓને પણ મળવું જોઈએ, એમાંથી કોણ મિત્ર બની શકે, કહી ન શકાય. અત્યારે જે મિત્રો છે તેઓ પણ કોઈ એક સમયે અમારાથી અજાણ્યા હતા. કમનસીબી એ છે કે જે મિત્રો હતા તેમાંના કેટલાક આજે અજાણ્યા થઈ ગયા છે. પરિચય આગળ વધતાં વધતાં ક્યારેક એવા મોડ પર આવીને ઊભો રહે છે જ્યારે તમે એમની સાથે નથી જઈ શકતા અને એ માર્ગ બદલીને કોઈ જુદી દિશાએ જવા માગે છે. પછી પરિસ્થિતિમાંથી અ-પરિચિત થવાની પ્રક્રિયા ચાલે છે જે ઘણી લાંબી હોય છે, થોડીક દર્દનાક પણ.

છૂટી ગયેલા ચહેરાઓ છેવટે ભુલાઈ જાય છે અથવા તો એ ભુલાઈ ગયા છે એવું સાંત્વન જાતને આપવામાં આવે છે. અત્યારની પરિચિત વ્યક્તિઓના ચહેરામાં ક્યારેક એ ભુલાઈ ગયેલા ચહેરાને જોવાની કોશિશ કરો છો અને બેઉનેય, તમારા સહિત ત્રણેયને, અન્યાય કરી બેસો છો. 

કુટુંબમાં, સમાજમાં, મિત્રવર્તુળમાં અને પરિચિતોમાં એવા કેટલાય છે જેમની સાથેની ઓળખાણ પર વર્ષોની ધૂળ બાઝી ગઈ હોય. લાગણીઓ સ્થગિત થઈ જાય ત્યારે આવું બનતું હશે. ઉમળકામાં, હૂંફમાં કે આવેશમાં વધારો ન થાય, ઘટાડો પણ ન થાય એ સ્થિતિ સંબંધો માટે જોખમી છે. આવા સપાટ સંબંધો પર અવાવરું જમીનની જેમ ઘણું બધું ખડ ઊગી નીકળે જેને કારણે આશ્ર્ચર્યોની કૂંપળો ફૂટી શકતી નથી. સંબંધો સ્થિર થઈને બંધિયાર ન બની જાય એ માટે જ કદાચ લાંબા ગાળાના ઘનિષ્ઠ સંબંધોમાં તંદુરસ્તી જાળવવા ઝઘડા અનિવાર્ય ગણાતા હશે. મનમાં જામી ગયેલો કચરો વલોવાય છે ત્યારે જ નજીકની વ્યક્તિઓ સાથે ઝઘડાની પરિસ્થિતિ સર્જાય છે. તળિયે બાઝેલો કચરો ઉપર આવી જાય એટલે એન તારવીને ફેંકી દેવાનો હોય. દુનિયાદારીની ભાષામાં આ તારવવાની ક્રિયાને રિસામણાં-મનામણાં-સમજાવટ કહે છે. આ ક્રિયા જો મોડી શરૂ થાય કે લાંબી ચાલે તો પ્રવાહી, ફરી પાછું હતું એવું ને એવું થઈ જવાનો ભય રહે છે. 

પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થાય એ માટે જાતને રોજ માંજીને ચકચકિત રાખવી પડે. આખરે તો જેને તમે મળો છો એના વ્યક્તિત્ત્વનું પ્રતિબિંબ ઝીલવાનું જ કામ તમે કરતા હો છો. પોતાને નીરસ બનાવી દેનારી વ્યક્તિને ક્યારેય બીજાઓના જીવનમાં રસ પડતો નથી. નવા પ્રવાહો, નવા વિચારો, નવો સમય સ્પર્શવો જોઈએ અને જૂનાં મૂલ્યો, જૂની નીતિમત્તાઓ તથા જૂની ખાનદાનીની સતત ધાર નીકળતી રહેવી જોઈએ, નહિંતર નજીકનો પરિચય વર્ષો પછી અવજ્ઞામાં, ઉપેક્ષામાં ફેરવાઈ જવાનો ડર છે. દરેક સંબંધના ઉછેરની અને એને તાજગીભર્યા સાતત્યને માર્ગે વાળતા રહેવાની એક માત્ર જવાબદારી તમારા પોતાના શિરે છે. સામેવાળાઓને જે રીતે વર્તવું હોય એ રીતે વર્તે. આપણે કઈ રીતે વર્તવું એનો નિર્ણય આપણા પર છે. 

પરિચિતતામાં એક ધારાપણું પ્રવેશે એ પહેલાં જ સહજતાથી થોડું અંતર વધારી દેવું જોઈએ. આવી ઓટ પછીની ભરતી વધુ નિકટતા લાવે છે. ક્યારેક દરેક પરિચયને વરાફરતી નવી જગ્યાએ ઊભા રહીને, નવા દૃષ્ટિકોણથી જોવા તપાસવાની ટેવ રાખવી જોઈએ. શક્ય છે કે કોઈક એવું અજાણ્યું પાસું ધ્યાનમાં આવે જેને કારણે સંબંધને નવો અર્થ મળે. આમાં જોખમ પણ ખરું. કોઈક એવું પાસું ધ્યાનમાં આવી જાય જે ન ગમતું હોય. છતાં જોખમ લેવાનું. જોખમો લીધા વિનાના સંબંધો અણીના સમયે કાયર બનીને બેસી પડે છે. ક્યારેક સામેની વ્યક્તિના સ્થાને પોતાની જાતને મૂકીને આખાં દૃશ્યો જોવાની આપણી પોતાની મર્યાદાઓને સુધારવાનો અવકાશ ઊભો થાય છે. 

જીવનમાં અનેક વ્યક્તિઓ મળે છે, કેટલીક છૂટી પડે છે, ફરી કેટલીક મળે છે. દરેક વ્યક્તિનું મળવું આપણા અસ્તિત્વમાં કશોક ઉમેરો કરે છે અને એમનું છૂટા પડવું બાદબાકી. 

આટઆટલા ઉમેરાઓ અને બાદબાકીઓ થતાં રહેતાં હોય છતાં સરવાળે જિંદગી જીવવા જેવી લાગે છે. એનું રહસ્ય શું? દુનિયાનાં તમામ રહસ્યોનો તાગ મળી જાય તો આ બધું લખવાની જરૂર જ ન રહે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment