Friday, 24 June 2016

[amdavadis4ever] સંવાદોના શહેનશાહ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફિલ્મોની દુનિયામાં શ્રદ્ધા-અંધશ્રદ્ધાની કોઈ નવાઈ નથી હોતી. કોઈ કલાકાર કોઈ ફિલ્મમેકર માટે નસીબદાર ગણાય તો વળી કોઈ દિગ્દર્શક પોતાની ફિલ્મમાં અમુક લોકેશનનું ગીત ફિલ્મને હિટ બનાવશે એવાં સમીકરણ બનાવી લેતો હોય છે, તો કોઈ વળી બીજું કંઇક. જોકે, ૧૯૪૦માં બનાવેલી 'ઔરત'ની રિમેક 'મધર ઇન્ડિયા' મેહબૂબ ખાને ૧૭ વર્ષના વહાણા પછી ૧૯૫૭માં બનાવી ત્યારે તેમણે માત્ર ત્રણ જણને જ રિપીટ કર્યા હતા. એક હતા અભિનેતા ક્ધહૈયાલાલ અને બીજા હતા ફિલ્મના સિનેમેટોગ્રાફર ફરેદુન એ ઈરાની અને ત્રીજા હતા લેખક વજાહત મિર્ઝા. વજાહત મિર્ઝાને માત્ર અને માત્ર તેમની કલમની તાકાતના જોરે ફરી લેવામાં આવ્યા હતા. એ વાત જગજાહેર છે કે ફિલ્મને જોરદાર સફળતા અપાવવામાં મિર્ઝા સાહેબનો પણ મૂઠી ઊંચેરો ફાળો હતો.

૧૯૦૮માં લખનઊમાં જન્મેલા વજાહત મિર્ઝાની શરૂઆત તો એક સિનેમેટોગ્રાફર તરીકે થઇ હતી. આ એ દોરની વાત છે જ્યારે લોકો ફિલ્મી દુનિયામાં નસીબ અજમાવવા દોડી આવતા, શરૂઆતમાં તો જે કામ મળે એ સ્વીકારી લેતા અને પછી કોઈ વિશિષ્ટ ક્ષેત્રે તેમની કારકિર્દીનો વિકાસ થતો. એ સમયે કલકત્તાના ન્યુ થિયેટર્સની બોલબાલા હતી. આ કંપનીમાં તેમણે સહાયક કેમેરામેન તરીકે પોતાની સિને કારકિર્દીનો પ્રારંભ તો કરી જ દીધો. પછી જ્યારે ન્યૂ થિયેટર્સની પડતીની શરૂઆત થઇ ત્યારે જે કેટલાંક કસબીઓ નસીબ અજમાવવા મુંબઈ દોડી આવ્યા એમાં મિર્ઝા સાહેબનો પણ સમાવેશ હતો. અહીં પણ પ્રારંભકાળમાં જે કામ મળ્યું એ કરી લીધું. છૂટક અભિનય કર્યો અને દિગ્દર્શનમાં પણ હાથ અજમાવી જોયો. જોકે, એ હાથ બીજું કંઈ કરવા સર્જાયા હતા પોતાની સર્જનાત્મક ભૂખ સંતોષવા તેમણે ઉર્દૂમાં કેટલીક સુંદર કવિતાઓ લખી હતી જે કોઈ કારણસર પ્રકાશિત ન થઇ. ૧૯૩૩માં એ ફિલ્મ આવેલી 'યહૂદી કી લડકી'. આગા હશ્ર કાશ્મીરી નામના એક લેખકના એક નાટક પર આધારિત આ ફિલ્મમાં કુંદનલાલ સાયગલ હીરો હતા અને શ્રી રાયચંદ બોડલ અને પંકજ મલ્લિકનું સંગીત હતું. આ ફિલ્મમાં મિર્ઝાજીને પ્રથમ વાર કલમની કમાલ દેખાડવાની તક મળી હતી. ત્રીસ વર્ષનો એક યુવાન નામે મેહબૂબ ખાન હિન્દી ફિલ્મ જગતમાં કંઇક અનોખું કરવાની ધગશ રાખતો હતો. તેમને એક કલમનવેશની તલાશ હતી અને કોઈકે વજાહત મિર્ઝાનું નામ સૂચવ્યું. જોકે, મેહબૂબ સાહેબે મિર્ઝાને કામ સોંપતા પહેલા 'યહુદી કી લાડકી' જોવાને પ્રાધાન્ય આપ્યું અને ફિલ્મ જોયા પછી તેમને આશા બંધાણી કે આ લેખક તેજસ્વી છે અને એમની સાથે નાતો બાંધવા જેવું છે. આ સાથે લેખક અને દિગ્દર્શક વચ્ચે એક અનોખો સંબંધ બંધાયો અને તેમણે છએક ફિલ્મોમાં સાથે કામ કર્યું. હમ તુમ ઔર વો, 'એક હી રાસ્તા, ઔરત, બહેન અને મધર ઇન્ડિયા તેમની ગાજેલી ફિલ્મો. એમાંય ઔરતમાં મૂળ વાર્તા ભલે બાબુભાઈ મહેતાએ લખી હતી, પણ એની પટકથા તૈયાર કરવામાં મિર્ઝા સાહેબનું મોટું યોગદાન હતું અને હા, એના ચોટદાર સંવાદો મિર્ઝાજીની કલમની જ કમાલ હતી. કથાના બીરજુના પાત્રલેખનમાં એક તાજગી હતી જે લોકોને સ્પર્શી ગઈ. ફિલ્મને પ્રભાવી બનાવવામાં કલમની કમાલનો ખ્યાલ મેહબૂબ ખાનને આવી ગયો હતો અને એટલે જ્યારે દિમાગમાં ઔરતને રિવાઈવ કરીને મધર ઇન્ડિયા બનાવવાનો વિચાર સ્ફૂર્યો ત્યારે તેમણે સૌપ્રથમ સંપર્ક કર્યો વજાહત મિર્ઝાનો. મિર્ઝાની પેન્સિલની ધાર તો એવી અણીદાર નીકળી કે મધર ઇન્ડિયાને ઔરત કરતાં અનેકગણી સફળતા પ્રાપ્ત થઇ.

મધર ઇન્ડિયામાં એ સમયના સામાજિક મૂલ્યોનું પ્રતિબિંબ કરાવતા તેમના સંવાદો :જુઓ: તુમ્હારી છાયા મેં મૈં કડી સે કડી ધૂપ સેહન કર લૂંગી અને મૈં એક ઔરત હૂં, બેટા દે સકતી હું લાજ નહીં દે સકતી. ખાસ નોંધવા જેવી વાત એ છે કે મધર ઇન્ડિયા ઓસ્કર અવોર્ડ માટે નામાંકન મેળવનાર પહેલી હિન્દી ફિલ્મ હતી અને એમાં સંવાદોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પટકથા અને સંવાદ એ બેઉ વિભાગના લેખક તરીકે નામ જમાવનારા અને કાબેલિયત સિદ્ધ કરનારા પ્રારંભિક કાળના લેખકોમાં તેમનું નામ આદર સાથે લેવાય છે. વજાહત સાહેબનું નામ ૧૯૭૦ પહેલાની ફિલ્મોમાં ખૂબ જ પ્રખ્યાત ગણાતી ફિલ્મ મોગલ-એ- આઝમના સહ લેખક તેમ જ સંવાદ લેખક તરીકે પણ સંકળાયેલું છે. કે આસિફની આ ફિલ્મનો એક એક સંવાદ ધારદાર હતો. જાણકારોના મત પ્રમાણે જો શોલેની માફક આ ફિલ્મના સંવાદોની પણ રેકોર્ડ બની હોત તો એનું ધૂમ વેચાણ થયું હોત.

આ ઉપરાંત દિલીપ કુમારની અન્ય ત્રણ યાદગાર ફિલ્મો ગંગા જમુના, યહૂદી અને લીડરમાં પણ વજાહત સાહેબની કલમની જ કમાલ ઊડીને આંખે વળગી હતી. ખાસ ઉલ્લેખ કરવો જોઈએ ફિલ્મ લીડરનો. જાણકારોના માટે આ ફિલ્મ વધારે પડતી લાંબી બની ગઈ હતી અને એની કથા તેમ જ પટકથામાં એકસૂત્રતા નહોતી. જોકે, ફિલ્મને ઉગારવામાં ગીત-સંગીત, દિલીપ કુમાર અને વહિદા રહેમાનની અફલાતૂન અદાકારી તેમ જ વજાહત મિર્ઝાના લાજવાબ સંવાદોનો પ્રેક્ષણીય ફાળો રહ્યો હતો. સોહરાબ મોદી નિર્મિત અને બિમલ રોય દિગ્દર્શિત ફિલ્મ યહૂદીના સંવાદો તો આજેય લોકો યાદ કરે છે. આ ફિલ્મનો 'તુમ્હારા ગમ હૈ ગમ, ઔરોંકા ગમ ખ્વાબ-ઓ-કહાની હૈ? તુમ્હારા ખૂન હૈ ખૂન હમારા ખૂન પાની હૈ?' સંવાદ તો આજે પણ લોકો સોહરાબ મોદીની અદામાં બોલવામાં ગૌરવ અનુભવે છે. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર પટકાઈ ગઈ હતી પણ એના સંવાદો એની યશકલગી બની ગયા હતા.

૧૯૭૦ના દાયકામાં ફિલ્મોના રંગઢંગ બદલાવાને કારણે વજાહત મિર્ઝા જેવા લેખકોનો ખપ ઓછો થઇ ગયો અને એ દાયકામાં ગણીને તેમની માંડ ચારેક ફિલ્મો આવી પણ એમાં અગાઉની ફિલ્મોનું સ્તર નહોતું અને પ્રેક્ષકવર્ગ પણ બદલાઈ ગયો હતો. હા, ૧૯૮૬માં કે. આસિફનું અધૂરું સપનું રહી ગયેલી 'લવ એન્ડ ગોડ' રજૂ થઇ પણ એના વિષે કંઈ કહેવા જેવું નથી. ૧૯૯૦માં મિર્ઝા સાહેબનું અવસાન થયું અને ફિલ્મ જગતના એક અલાયદા પ્રારંભિક અધ્યાયનો અંત આવી ગયો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment