Friday 30 October 2015

[amdavadis4ever] પરિવારનું બ ે ટંકનું ભોજ ન પરીકથા બન વાની દિશામાં

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




દેશભરમાં ખેડૂતોના આપઘાત હજી અટક્યા નથી એ એમની સ્થિતિમાં ખાસ સુધારો નથી જ થયો એમ દર્શાવે છે.

દિવાળી તો માથે આવી છે એટલે ચોમાસું લગભગ પૂરું થવામાં છે. દેશમાં આ ચોમાસે કયા રાજ્યમાં વરસાદની કેટલી ઘટ રહી છે એના સત્તાવાર આંકડાની હજી રાહ જોવાઈ રહી છે, પરંતુ ચિત્ર કાળાં વાદળ વિનાનું કોરું ધાકોર છે એમાં ખાસ શંકા રાખવા જેવું નથી. આઝાદીના ૬૮ વર્ષ પછી પણ આપણે ખેતીની કેટલા ટકા ધરતીને સિંચાઈનું પાણી પહોંચાડી શકીએ છીએ એ આંકડા આંખે વધુ અંધારા લાવે છે.

થોડા સમય પહેલા અચાનક જ તુવેરની દાળના ભાવનું ભૂત ધૂણવા લાગ્યું. વિવિધ રાજ્યોના અને દેશના નાણાં પ્રધાનોને કંઈ સમજાય, ટોચના સત્તાધીશો એ અંગે કંઈ વિચારે એ પહેલા તો એના ભાવ કિલોએ રૂ. ૨૦૦ને આંબી ગયા. મગની દાળ, અડદની દાળને એનો કરંટ લાગ્યો અને એના ભાવ પણ રોકેટ ગતિએ ઊંચકાઈ ગયા. અધૂરામાં પૂરું કર્યું કઠોળના સંગ્રહખોર વેપારીઓએ. બજારમાંથી બધું 'અદૃશ્ય' થઈ ગયું- એટલે કે એના ભાવ એટલા ઉપર થઈ ગયા.

સરકારે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. અહીંથી આટલા હજાર ટન દાળ અને ત્યાંથી તેટલા હજાર ટન કઠોળ સંગ્રાહાયેલું જપ્ત કરી લીધું. દાળ- કઠોળની સંગ્રહખોરી પર પ્રતિબંધ લદાઈ ગયો. થોડા હજાર ટન તુવેર દાળની આયાતનો નિર્ણય લેવાઈ ગયો. કેટલાક પ્રધાને તો સંગ્રહખોરો સામે કડક પગલાં લેવાશે એવી ચીમકી પણ આપી દીધી, બોલો! પ્રજાજનોની દારૂણ મુસીબતોની એમને કેટલી ચિંતા છે એનો આથી વધુ મજબૂત પુરાવો આપણને કયો જોઈએ?

બટાકા હોય, કાંદા હોય, દાળ-કઠોળ- અનાજ હોય, ફળફળાદિ હોય, ભાવસપાટી જાળવી રાખી લોકોનાં મોંમાં કોળિયા પહોંચે એની તજવીજ તો શાસકો નથી જ કરી શકતા, અરે એ કારણે તૂટી પડતી પોતાની સરકાર બચાવવા જેટલો સાદો અને પાયાનો સ્વાર્થ પણ શાસકો નથી સાચવી શકતા.

બિહાર વિધાનસભાની ચાલી રહેલી ચૂંટણીની પ્રચારસભાઓમાં અને દેશમાં અન્યત્ર વિવિધ પક્ષો પોતાની સિદ્ધિઓ, પ્રતિસ્પર્ધીની મર્યાદાઓ અને અમર્યાદ વચનોનાં ગાણાં ગાતા થાકતા નથી ત્યારે આપણે એમને એમ પૂછી ન શકીએ કે ભારતીય નાગરિકના ભોજનની થાળીની એક મહત્ત્વની વાનગી એવી તુવેરની દાળના ભાવ અંકુશમાં કેમ નથી લઈ શકાતા? બીજા પક્ષો તો હાથ ખેંખેરી નાખે, પણ શાસક ભાજપ એવું કોઈ કાળે ન કરી શકે.

મુંબઈમાં તાજેતરમાં થયેલા સર્વેક્ષણનાં પરિણામો ધ્રાસકો ન પાડે તો જ નવાઈ. મધ્યમ વર્ગનાં કુટુંબોને એમની ભોજન પદ્ધતિ, રંધાતી વાનગીઓ અને એના પ્રમાણમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે. રોજ દાળ-ભાત, શાક-રોટલી એવા 'મેનુ'માંથી દાળને અઠવાડિયામાં બે-ત્રણ વાર ગુમ કરી દીધી છે. રસાવાળા શાકથી ચલાવી લેવાય છે. અથાણું, પાપડ, કચુંબર, ચટણી, મુરબ્બો જેવી લકઝરી તો તેઓ લગભગ ભૂલવા આવ્યા છે.

સતત વધતી મોંઘવારીના પ્રમાણમાં પગારમાં કોઈ વધારો થતો જ ન હોય ત્યારે બે છેડા કેવી રીતે મેળવવા, ક્યાં- કેટલો- કેવી રીતે કાપ મૂકવો, સંતાનોની અને પોતાની ભૂખ રોજ કેવી રીતે- શેનાથી સંતોષવી એની કોઈ ગતાગમ આમઆદમીને રહી નથી. કુટુંબના સૌ સભ્યો આજે બે ટંક પેટ ભરીને જમી શકે એની જોગવાઈ જ અશક્ય બની ચૂકી છે ત્યારે ઘડપણ- નિવૃત્તિ માટેની વ્યવસ્થા શી અને કેવી રીતે કરવી એવો કાળમુખો પ્રશ્ર્ન પણ એની સામે મોં ફાડીને ઊભો જ છે.

વીજળી, પાણી, ફોનનાં બિલ, સંતાનોનું શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને દવાઓ વગેરે જીવવા માટેના તમામ ખર્ચમાં કમરતોડ વધારો સતત થતો જ રહે (અને એના પ્રમાણમાં પ્રામાણિક આવકમાં વધારો અત્યંત અલ્પ હોય) તો મધ્યમ વર્ગના કે ગરીબ વર્ગના માણસે શું કરવાનું? જરૂરિયાતો તો ઘટાડતા જવાની એને ફરજ પડે જ છે એટલે ઍરકન્ડિશન ઓફિસમાં બેઠેલા રાજનેતાઓ કે અર્થશાસ્ત્રીઓ એને એ સલાહ આપે એનો કોઈ અર્થ નથી.

માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, રાતોરાત દેશમાં રામરાજ્ય આવી જાય એવી કોઈ જાદુઈ છડી તમારી પાસે નથી એની અમને બરાબર જાણ છે, પરંતુ જે 'અચ્છે દિન'નાં સપનાં તમે લોકસભાની ચૂંટણી વખતે ખોબલે ખોબલે વહેંચેલાં એની સંપૂર્ણ વિરુદ્ધનું આર્થિક, રાજકીય, સામાજિક, બૌદ્ધિક વાતાવરણ રચાતું- વિકસતું જાય છે એથી અમે રોજરોજ રહેંસાતા જઈએ છીએ એ તમારા ધ્યાન બહાર તો નહીં જ હોય. તો હવે એ વાતાવરણ ઊલટાવવાનો આરંભ તમે સાવ છેવાડાનો ભારતીય પોતાના પરિવારનું બે ટંક પેટ પોતાની જે આવક હોય એનાથી ભરી શકે એવી નક્કર- જડબેસલાક વ્યવસ્થા દ્વારા કરી શકો છો. કરશો ને?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment