Saturday 31 October 2015

[amdavadis4ever] ભારતનો ઈતિ હાસ, ઈરફાન હબીબ અને સરદાર પટેલ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સરદાર વલ્લભભાઈ પટેલની આજે ૧૪૦મી જન્મજયંતી છે એટલે નહીં પણ આમેય થોડા દિવસથી એ બહુ યાદ આવે છે. ખાસ કરીને કેટલાક સાહિત્યકારોની વાદે ચડીને રોમિલા થાપર, ઈરફાન હબીબ અને બીજા એકાવન ઈતિહાસકારોએ 'દેશમાં ફેલાયેલા વિષમય વાતાવરણ'નો વિરોધ કરવા માટે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું ત્યારે સરદાર પટેલ બહુ યાદ આવ્યા. આ સ્ટેટમેન્ટમાં ઈતિહાસકારોએ પોતે લખેલાં ઈતિહાસનાં પુસ્તકોમાં ફેરફારો કરવામાં આવ્યા છે એવી ફરિયાદ કરી છે. પોતે લખેલી માહિતી ભૂંસીને બીજી હકીકતો ઘુસાડવામાં આવી છે એવી પણ ફરિયાદ કરી છે.

ઈરફાન હબીબ, રોમિલા થાપર અને આવા બીજા ઈતિહાસકારો દાયકાઓ સુધી ઈન્ડિયન હિસ્ટરી કૉન્ગ્રેસ (આઈ.એચ.સી.) પર પોતાની નાગચૂડ જમાવીને પેધા પડી ગયેલા. ૧૯૩૬માં સ્થપાયેલી આ સંસ્થામાં એક જમાનામાં જદુનાથ સરકાર, આર. સી. મજુમદાર, ટી. વી. મહાલિંગમ, ડી. સી. ભંડારકર અને કે. એ. નિલકાન્ત શાસ્ત્રી જેવા મહાન ઈતિહાસકારો સભ્ય હતા. ક્રમશ: આ સંસ્થામાં 'લિબરલ', 'પ્રોગ્રેસિવ' અને 'સેક્યુલર'નાં લેબલો ધરાવતા સામ્યવાદી વિચારસરણીવાળા ઈતિહાસકારો પ્રવેશતા ગયા. આઝાદ ભારતના સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારતના ઈતિહાસમાં શું ભણવું એનો નિર્ણય આ ઈતિહાસકારો સીધી યા આડકતરી રીતે લેતા ગયા - પોતાની જ વિચારસરણીવાળા શિક્ષણકારો સાથે કુલડીમાં ગોળ ભાંગીને. વર્ષો સુધી આ તૂત ચાલ્યું.

૧૯૯૯થી ૨૦૦૪ સુધીની અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાનપદ દરમ્યાનની ભારત સરકારે જે કેટલાંક ઉત્તમ કામ કર્યાં તેમાંનું એક હતું સામ્યવાદી ઈતિહાસકારોએ લાલ રંગે રંગેલા ભારતના ઈતિહાસને સુધારવાનું. આ કામ રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ નામે ઓળખાતી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયની એક સંસ્થાએ કર્યું. ૧૯૬૧માં સ્થપાયેલી નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એન.સી.ઈ.આર.ટી.)ની એક મોટી જવાબદારી ભારતના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ નક્કી કરવાની અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની છે.

અત્યારે સાવ સાઈડલાઈન થઈ ગયેલા મુરલી મનોહર જોશી વાજપેયીજીના શિક્ષણમંત્રી હતા. એન.સી.ઈ.આર.ટી.ના ડિરેક્ટર જે. એસ. રાજપૂતે સામ્યવાદી ઈતિહાસકારો સામે ઝુંબેશ ઉપાડી અને ભારતના વિકૃત ઈતિહાસકારોએ લખેલા વિકૃત ઈતિહાસને ફરીથી લખાવવાનું જંગી કામ પોતાને માથે લીધું. સામ્યવાદી ઈતિહાસકારોએ

આની સામે શું કર્યું? પહેલાં તો મીડિયામાં એવી હવા ફેલાવી કે ભારતના ઈતિહાસનું ભગવાકરણ થઈ રહ્યું છે. 'સેફ્રોનાઈઝેશન' આમેય સેક્યુલરવાદી બદમાશોનો પ્રિય શબ્દ છે. આ સેક્યુલર ગુંડાગીરી કરનારાઓની બીજી પ્રિય પ્રવૃત્તિ હોય છે. આર.એસ.એસ.ને ધીબેડવાની. લકીલી મોદીના આવ્યા પછી આ સેક્યુલર લોકોનું ઝાઝું કંઈ ઉપજતું નથી - નહીં મીડિયામાં, નહીં સરકારમાં અને એમને સપોર્ટ કરતી એન. જી. ઓઝને તો મોદીએ આવતાંવેંત સપાટામાં લઈ લીધી છે. આવી હાલતમાં આ ઉપદ્રવી સ્યુડો બૌદ્ધિકો આ પાછું દઈશ ને પેલું પાછું દઈશની ધમકીઓ, સ્ટેટમેન્ટો આપ્યા કરે છે. બીજું શું કરે તેઓ?

ભારતના ઈતિહાસનું ભગવાકરણ થઈ રહ્યું છે એવી ફરિયાદ આ સેક્યુલરબાજોએ સુપ્રીમ કોર્ટને કરી. સુપ્રીમ કોર્ટે આ ઈશ્યુ બહુ સિરીયસલી લીધો. એન.સી.ઈ.આર.ટી. પાસે જવાબ માગ્યો. જે. એસ. રાજપૂતની ટીમે જવાબ આપ્યો - પૉઈન્ટ ટુ પૉઈન્ટ. ઈરફાન હબીબનું નામ દઈને. આ બધી જ વિગતો એન.સી.ઈ.આર.ટી.એ તે વખતે પ્રગટ કરેલા એક દળદાર પુસ્તકમાં સામેલ છે. આ પુસ્તક મને જે. એસ રાજપૂતે એક મીટિંગમાં ભેટ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે સામ્યવાદી ઈતિહાસકોરની ફરિયાદ બેબુનિયાદ ગણાવી અને એન.સી.ઈ.આર.ટી.એ કરેલા સુધારા વાજબી છે એવો ચુકાદો આપ્યો.

પુસ્તક બહુ એકેડેમિક છે એટલે થોડીક જનરલ વાતો અને થોડાંક જનરલ નિરીક્ષણો કહું તમને. મારી આ માન્યતા કે હકીકતો માટે એન.સી.ઈ.આર.ટી.નું આ પુસ્તક જવાબદાર નથી.

ભારતના ઈતિહાસમાં આપણે શું ભણ્યા? પાંચમા-છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને કે દસમાના વિદ્યાર્થીને આજની તારીખે પણ પૂછો તો એ અંગ્રેજ વાઈસરૉયોનાં નામ કડકડાટ બોલી જશે, એ પહેલાંના બાબરથી માંડીને શાહજહાં સુધીના મોગલ બાદશાહોની સાત પેઢીનાં નામ બોલી જશે. અને મોગલોની પહેલાં મૌર્ય વંશ કે ગુપ્ત વંશની થોડીક વાતો એમની વંશાવલિ તો યાદ પણ નહીં હોય. ટૂંકમાં ભારત સદીઓ સુધી ગુલામ રહ્યું એ જ આપણો ઈતિહાસ બોધ. ભારતના નવ હજાર વર્ષના ઈતિહાસને આ સામ્યવાદી ઈતિહાસકારોએ લાર્જલી ઈગ્નોર જ કર્યો છે. આઝાદી પહેલાંના ઈતિહાસમાં મુસ્લિમ આક્રમણખોરોનો સામનો સ્થાનિક રાજાઓએ કેવી રીતે કર્યો એની કોઈ વાત જ નહીં. આઝાદી પહેલાં શિવાજી મહારાજ, રાણા પ્રતાપ અને આઝાદીની લડત દરમ્યાન વીર સાવરકર, ભગત સિંહ, સુભાષચંદ્ર બોઝ કે સૂર્ય સેનના મામૂલી ઉલ્લેખો માત્ર. અને તે પણ અમુક મહાનુભાવો તો દેશદ્રોહી હતા એવો ઈતિહાસ ભણાવવામાં આવ્યો. શું કામ? કારણ કે આ સામ્યવાદીઓને ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય સંસ્કૃતિની રક્ષા કરતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાઓની એલર્જી હતી. શું કામ એલર્જી હતી? આ સામ્યવાદીઓને ઈન્ડાયરેક્ટલી રશિયન સરકાર અને ડાયરેક્ટલી નહેરુ ગવર્નમેન્ટ પાળતીપોષતી હતી. શું કામ? કારણ કે નહેરુ પોતે સમાજવાદનું મહોરું પહેરેલા સામ્યવાદી હતા. એકચ્યુલી તો સ્યુડો કમ્યુનિસ્ટ કારણ કે ભોગવિલાસ - લકઝરીઝ તો એમણે ક્યારેય છોડ્યાં નહીં. સામ્યવાદીઓની આ જ મોટી મુસીબત છે. વાતો ગરીબીમાં રહેતા સમાજના નીચલા થરની કરવાની અને જે મળે, જ્યાંથી મળે તે બધું જ એકઠું કરવાનું - ઑનરેરિયમના નામે ચિક્કાર પગારો, ભાડાંભથ્થાં અને એલાવન્સના નામે મોટી મોટી સગવડો. માર્ક્સવાદના પ્રણેતા કાર્લ માર્ક્સની વૈભવી લાઈફસ્ટાઈલ વિશે જાણવું હોય તો વિશ્ર્વવિખ્યાત રિસર્ચર પૉલ જહૉન્સનના 'ઈન્ટલેકચ્યુઅલ્સ' નામના પુસ્તકનું એક ચૅપ્ટર વાંચી જજો. અને ત્યાં સુધી ન જવું હોય તો આપણી ઘરદીવડી બ્રિન્દા કરાત (પેલાં મોટા ચાલ્લાવાળાં બહેન, યાદ આવ્યાં)ની લાઈફસ્ટાઈલ જોઈ લેજો. બાય ધ વે, એનડીટીવીના સ્થાપક-માલિક પ્રણય રૉય એમનાં બનેવી થાય. સગ્ગા. પ્રકાશ કરાતનાં તેઓ પત્ની અને પ્રકાશભાઈ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સિસ્ટ)ના દસ વર્ષ સુધી જનરલ સેક્રેટરી (અર્થાત સર્વેસર્વા) રહી ચૂકયા પછી આ વર્ષના એપ્રિલમાં છૂટા થયા.

વાજપેયી કરતાં તો મોદી અનેકગણા શક્તિશાળી છે - બધી રીતે. એમના વડપણ હેઠળ શિક્ષણનું અને ભારતના ઈતિહાસનું 'સેફ્રોનાઈઝેશન' થવાનું અને 'વિદ્યાર્થીઓના કુમળા માનસમાં વિષ પ્રસરાવવાનું' કામ શિક્ષણમંત્રી સ્મૃતિ ઈરાનીએ ઑલરેડી શરૂ કરી દીધું છે એટલે આ સામ્યવાદી ઈતિહાસકારોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. કારણ કે એમનો ગરાસ લૂંટાઈ રહ્યો છે. કારણ કે હવે આ બધી સત્તા, આ બધા ભાડાંભથ્થાં, આ બધાં ઈનામઅકરામો 'ખાખી ચડ્ડીવાળા ઈતિહાસકારો' લઈ જવાના છે.

આજે આ બધું લખવાનાં બે કારણ: ભવિષ્યમાં છાપાઓમાં કે અર્ણબની મચ્છી માર્કેટમાં તમને આ વિષયે જો કોઈ કકળાટ સાંભળવા મળે તો એનું બૅકગ્રાઉન્ડ તમને આપી દીધું.

અને બીજું કારણ એ કે આજે સરદાર જયંતી છે. કૉન્ગ્રેસીઓની બહુમતી એમને વડા પ્રધાન બનાવવા માગતી હતી. મોટા ભાગના નેતાઓ એમના પડખે હતા. તમને ખબર છે ઈતિહાસની એ વિગતો. પણ ગાંધીજીના સૂચનથી છેલ્લી ઘડીએ સરદારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી અને નેહરુને પીએમ બનવા દીધા. ભારતના એ પ્રથમ વડા પ્રધાને શિક્ષણ મંત્રાલય મૌલાના અબુલ કલામ આઝાદને સોંપ્યું. મૌલાના આઝાદમાં રહેલું કોમવાદીપણું એમના અવસાન પછી અનેક દસ્તાવેજોમાં પ્રગટ થયું છે. આ શિક્ષણપ્રધાને ભારતની સંસ્કૃતિનો અનાદર કરનારા સામ્યવાદી શિક્ષણકારો અને ઈતિહાસકારોના હાથમાં ભારતની નવી પેઢીના વિદ્યાર્થીઓનું ભાવિ સોંપી દીધું.

સરદાર વલ્લભભાઈ પટેલ વડા પ્રધાન બન્યા હોત તો નિ:શંક દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન કનૈયાલાલ મુનશી જ હોત. રજવાડાઓના એકીકરણમાં, ખાસ કરીને હૈદરાબાદના મસલામાં અને ભારતનું બંધારણ ઘડવામાં સરદાર અને મુનશીએ એકબીજાની સાથે તાલ મિલાવીને કામ કર્યું હતું. મુનશી શિક્ષણપ્રધાન બન્યા હોત. ૧૯૯૯ થી ૨૦૦૪ના ગાળામાં મુરલી મનોહર જોશીએ અને અત્યારે સ્મૃતિ ઈરાનીએ જે જહેમત ઉઠાવવી પડે છે તેની જરૂર જ ન હોત.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment