Wednesday 30 December 2015

[amdavadis4ever] ચલો એક બાર ફિ ર સે : છૂટા પડ વાનું આવે ત્ય ારે (લાઉડમાઉથ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચલો એક બાર ફિર સે : છૂટા પડવાનું આવે ત્યારે

ભારતીય સંસ્કૃતિમાં લગ્નની જેમ છૂટાછેડાની ઘટના પણ બે વ્યક્તિઓ વચ્ચે સીમિત ન રહેતાં આખા સમાજની ઘટના બની જતી હોય છે. છૂટાછેડા વખતે એક ઔર પાસું ઉમેરાય છે - લાંબી કાનૂની પ્રક્રિયા. બે વ્યક્તિ પરસ્પરની લાગણીને કારણે લગ્ન કરીને સાથે રહેવા માગતી હોય ત્યારે બહુ ખાસ અવરોધો આવતા નથી. યે શાદી નહીં હો સકતી જેવી હિન્દી ફિલ્મવાળી સિચ્યુએશન્સ આમાં અપવાદ હોવાની, પણ એકંદરે અને મોટાભાગના કિસ્સાઓમાં લગ્નની બાબતમાં કુટુંબ તથા સમાજ તરફથી એટલો વિરોધ નથી થતો જેટલો વિરોધ આ બંને વ્યક્તિઓ પરસ્પરની લાગણીને માન આપીને એકબીજાથી છૂટા પડવાનો નિર્ણય કરે ત્યારે થાય છે. છેવટે છૂટાછેડા એક વ્યક્તિગત કે કૌટુંબિક પ્રશ્ન રહેવાને બદલે કાનૂની દાવપેચની ઘટના બની જાય છે.
છૂટાછેડાના કેસના નિષ્ણાત ગણાતા કેટલાક વકીલો ફેમિલી કોર્ટનો વિરોધ કરે છે. ફેમિલી કોર્ટ એક્ટ, ૧૯૮૪ હેઠળ સ્થપાયેલી અદાલતોમાં વકીલોની મદદ વિના પતિ-પત્ની જાતે જ દલીલો કરી શકે છે. આ કાયદા હેઠળ અદાલતની કાર્યવાહી 'ઇન કેમેરા' અર્થાત્ ખાનગી રહેતી હોય છે. છૂટાં પડતાં યુગલની અનિચ્છા હોવા છતાં વકીલોની સલાહ તથા ચડામણીથી બેઉ પક્ષો એકબીજા પર અદાલતમાં કાદવ ઉછાળતા હોય છે, પરસ્પરના સેક્સસંબંધો તથા ચારિત્ર્ય વિશે આક્ષેપબાજી થતી રહે છે. ફેમિલી કોર્ટમાં આવી બિનજરૂરી આક્ષેપબાજીથી દૂર રહી શકાય છે. વકીલો કહે છે કે ફેમિલી કોર્ટ ભારતીય નાગરિકના બંધારણીય હક્કનો ભંગ કરે છે, કારણ કે દરેક નાગરિકને અદાલતમાં વકીલની મદદ લેવાનો હક્ક છે. આવી દલીલ કરનારાઓ ભૂલી જાય છે કે દરેક નાગરિકને અદાલતમાં વકીલની મદદ નહીં લેવાનો પણ હક્ક છે.
છૂટાછેડાના કેસમાં અદાલતમાં થયેલી કાર્યવાહીના સત્તાવાર રિપોર્ટ વાંચવા જેવા હોય છે. કોઈ સી ગ્રેડ નવલકથાના સંવાદો જેવી સ્ક્રિપ્ટ વાંચવા મળશે. આવી એક અદાલતી કાર્યવાહીનો અંશ વાંચો. પતિઃ "મારી પત્ની મહિને માંડ એક કે વધુમાં વધુ બે વાર મને એની સાથે જાતીય સુખ માણવા દે છે. એ મને નપુંસક કહે છે. એ કહે છે કે હવે હું એને સંતોષી શકતો નથી." પત્નીઃ "ખોટી વાત છે. મારો પતિ રોજ મારી સાથે શય્યાસુખ માણતો હતો. મને પણ એેમાં આનંદ આવતો. મેં એના પૌરુષત્વ વિશે કોઈ કમેન્ટ કરી છે એવું કહેવું ખોટું છે. હું એને મારી સાથે સેક્સ કરવા નથી દેતી એવું કહેવું પણ જુઠાણું જ છે." જજઃ "મારા મત મુજબ પત્ની કરતાં પતિની વાત વધારે સાચી હોય એવું લાગે છે. શક્ય છે કે કોઈક વખત પત્ની કરતાં પતિ વહેલો સંતોષ લઈ લેતો હોય અને એને કારણે પત્ની હતાશ થઈ જતી હોય અને એવી હતાશામાં તીવ્ર પ્રત્યાઘાત આપતી હોય. પત્નીનું આવું વર્તન પતિ માટે ક્રૂરતાભર્યું છે. છૂટાછેડા માટેની પતિની અરજી મંજૂર રાખવામાં આવે છે."
પતિ-પત્ની વચ્ચે લગ્ન સમયે જે પ્રેમ હોય તે વર્ષો પછી ન રહે, બંને એકબીજા સાથે મન મોકળું કરીને વાત ન કરી શકે અને એકબીજાની હાજરીથી પોતાને ગૂંગળામણ થતી હોય એવું લાગે ત્યારે છૂટાછેડા જ એકમાત્ર ઉપાય છે, એવું નથી. ભારતનાં જ નહીં, પશ્ચિમના દેશોમાં પણ લાખો યુગલો આવી પરિસ્થિતિને જીરવીને એમાંથી પણ કોઈક માર્ગ નીકળશે એવી આશાએ લગ્ન ટકાવતાં હોય છે, પણ પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે ત્યારે પતિ-પત્નીએ કે બેમાંથી એકે છૂટાછેડા જેવો અંતિમ માર્ગ અપનવવો પડે. કાનૂની કાગળિયાંઓના આધારે જ સર્વેક્ષણ કરો તો લગ્ન બહારના સંબંધો છૂટાછેડાના એક મહત્ત્વના કારણ તરીકે બહાર આવે, પરંતુ ખરાં કારણો છૂટી બેઉ વ્યક્તિઓના મનમાં જ ધરબાયેલાં રહે છે.
લો કમિશનના ૭૧મા રિપોર્ટમાં સૂચન થતું હતું કે, 'ફરી ક્યારેય જોડી ન શકાય એવાં ભંગાણવાળાં લગ્ન' હોય તો બીજાં કારણોની અવગણના કરીને પણ માત્ર એ જ કારણોસર છૂટાછેડા મળવા જોઈએ. પતિ-પત્ની એકબીજાથી ત્રણ કે પાંચ વર્ષ (કેટલાં એ વિશે હજુ આખરી નિર્ણય નથી લેવાયો) જુદાં રહ્યાં હોય તો એમને સહેલાઈથી ડિવોર્સ મળી જવા જોઈએ. આ સૂચન હિન્દુ મેરેજ એક્ટમાં સામેલ થશે તો છૂટાછેડા લેવાની પ્રક્રિયા ઓછી અટપટી અને ઓછી ગંદકીભરી બની જશે. કમનસીબે લો કમિશનના આ ૭૧મા અહેવાલની નકલો હજુય કમિટીઓ અને સ્ત્રી-સંસ્થાઓની ઓફિસોમાં અટવાયા કરે છે અને એમ કરવામાં આવેલાં સૂચનોને કાનૂનનું સ્વરૂપ આપવાની લીલી ઝંડી મળતી નથી.
છૂટાછેડાની પ્રક્રિયા થોડીક સરળ, થોડીક આસાન બને તે તો સારું જ છેપણ લગ્નમાં પ્રવેશવું અને લગ્નમાંથી બહાર નીકળવું બંને એકસરખું સહેલું કે એકસરખું અઘરું હોવું જોઈએ. લગ્ન કરવાં જેટલાં આસાન છે એટલા જ છૂટાછેડા પણ આસાન બનાવી દેવામાં જોખમ છે. બહેતર એ છે કે છૂટાછેડા લેવા જેટલા અઘરા છે એટલી જ અઘરી લગ્નપ્રવેશની પ્રક્રિયા બનાવવામાં આવે. લગ્ન કરતાં પહેલાં બે, ચાર, છ મહિના સુધી ભાવિ પતિ-પત્નીએ મેરેજ કાઉન્સેલર પાસે જઈને બાર-પંદર સેશન્સ કરી હોવી જોઈએ. લગ્ન એટલે રોમાન્સ નહીંરોમાન્સની પરાકાષ્ઠા પણ નહીં, પરંતુ એથી વિશેષ એવી ઘણી મોટી જવાબદારી છે- એકબીજા માટેનીકુટુંબ માટેનીઆવનારાં સંતાનો માટેની. એ સમજ એમનાં મનમાં બરાબર ઊંડે સુધી ઘૂસી જવી જોઈએ. લગ્નમાંથી બહાર નીકળવું હશે,છૂટા પડવું હશે તો તેની અંગત વેદના કેવી હશે, એનાં આર્િથક પરિણામો કેવાં હશેકૌટુંબિક અને સામાજિક પ્રત્યાઘાતોનો કેવી રીતે સામનો કરવો પડશે અને છૂટાછેડા મળી ગયા પછી કેવી રીતે નવેસરથી જિંદગી શરૂ કરવી પડશે- આ બધી સમજણ લગ્ન કરવા થનગની રહેલાં જોડાંને મળવી જોઈએ. છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનાવવા કરતાં લગ્નની પ્રક્રિયાને અઘરી બનાવવાનો સૌથી મોટો ફાયદો એ હશે કે આ અઘરી પ્રક્રિયામાંથી પસાર થયા પછી જે લોકો લગ્ન કરશે એમના જીવનમાં છૂટાછેડાનું આગમન થવાના ચાન્સીસ ઘણા ઓછા હશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment