Wednesday 13 July 2016

[amdavadis4ever] વાદળ ફાટે એટલે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાદળ ફાટીને જે વિનાશ થાય છે એમાં કુદરત નહીંઆપણે માણસો જ જવાબદાર હોઈએ છીએ. આપણે કુદરતની ગતિને સમજ્યા વિના ગમે ત્યાં દબાણ કરી દેવા ટેવાયેલા છીએ. એના પરિણામે જ ભયાનક જાનહાનિ અને વિનાશ વેઠવાનો થાય છે. વરસાદ વિશે આપણે સહુ જાણીએ છીએ કે,ધરતી અને મહાસાગરની ગરમ ભેજવાળી હવા આકાશમાં ઉપર ચઢે ત્યારે ઠંડી પડતાં એનો ભેજ પાણીના કણ બની જાય છે. એ રીતે વાદળ બંધાય છે. વાદળનું તળિયું સામાન્ય રીતે ધરતીથી અડધો કિલોમીટર ઉપર હોય છે. નીચેથી ગરમ ભેજવાળી હવા વધારે ઉપર આવતી રહે તો વાદળ જાણે ઉપરની બાજુ ફૂલતું હોય એમ વધતું જાય છે. એમાં પાણીના કણ વધતા જાય છે. ચોમાસામાં આ ક્રિયા સતત ચાલતી રહે છે. નીચેથી ગરમ ભેજવાળી હવાઓ ઉપર વહેતી રહે છે. વાદળમાં પાણીના કણ વધતા જાય છે. વાદળનું મથાળું ઊંચું થતું જાય તેમ ઉપર વાતાવરણ વધુ ઠંડું મળે. એ ઠંડી પાણીના કણને એકબીજામાં જોડતી જાય છે. પાણીના કણ મોટા થતાં વજન વધે છે. આ સમયે નીચેથી ઉપર વહેતા પવનો નબળા પડે તો તરત વાદળમાંથી વજનદાર પાણીના ટીપાં વરસી પડે છે. 
હિમાલય ખૂબ ઊંચો પર્વત છે. દક્ષિણથી ઉત્તર-પૂર્વ વહેતા પવનો વાદળને હિમાલય પાસે લઈ જાય છે. અહીં પવનોને આગળ જવા મળતું નથી તેથી એ ઉપરની દિશામાં વહે છે. નીચેની વસતીના કારણે ગરમ થતા પવનો પણ ઉપર આવે છે. આ બેવડાં જોરથી વાદળ પણ ઊંચે ચઢતું જાય છે. વાદળ જેમ ઊંચે જાય તેમ ઠંડી વાતાવરણની વધેવાદળના પાણીના મોટા કણ એકબીજામાં જોડાતા જાય અને વધુ મોટાં થતા જાય છે. નીચેથી ગરમ પવનો રોકાતા નથી એની ઝડપ એટલી હોય છે કેપાણીના મોટા મોટા કણને જોરદાર ધક્કો લાગતો રહે છે. એ નીચે પડી શકતા નથી. ઊંચે ચઢતા જાય છેવધુ ઠંડા પડતા જાય છેએકબીજામાં જોડાઈને મોટાં ને મોટાં થતા જાય છે. આવા એક વાદળનું વજન ૫૦ લાખથી ૧.૫ કરોડ ટન થઈ જાય છે.  
અગાઉ હિમાલયના ખોળે આજ જેટલી વસ્તી નહોતી એટલે નીચેથી ગરમ પવનો આજ જેટલાં જોરદાર નહોતા વહેતા. ત્યારે વાદળ આટલું વજન નહોતાં ખમતાંવહેલા વરસી જતાં હતાં. હવે વસતીયંત્રોવાહનોની ગરમીથી પવનો વહેતા જ રહે છે. દિવસના સમયે તો પવનોનું જોર ઓછું થતું નથીપરંતુ રાતના સમયે સૂર્યની ગરમી ન રહેતાં પવનોનું જોર થોડું-ઘણું ઘટી જાય છે. લાખ્ખો ટનના વાદળને અદ્ધર ઝીલી રાખનાર પવનનું જોર નબળું પડે તો શું થાયવાદળ તો ઓળખવા માટેનો એક શબ્દ છેખરેખર તો ગરમ પવનોએ પાણીના હજારો કરોડ ટીપાઓને અદ્ધર ઝીલી રાખ્યાં હોય છે. આ ટીપાં લાખ્ખો ટન પાણીનાં હોય છેએ બધાં ધોધની જેમ નીચેની તરફ તૂટી પડે છે. એને વાદળ ફાટયું કહેવાય છે. ખરેખર વાદળ ફાટતું નથીપરંતુ વાદળમાંથી ધોધ પડતો હોય એવી રીતે પાણીના ટીપાં તૂટી પડે છે. એટલે સામાન્ય માણસને લાગે છે કે,જાણે વાદળ ફાટી ગયું હોય. એટલે વાદળ ફાટયું એવું લોકબોલીમાં કહેવાય છે. અગાઉના જમાનામાં આ ઘટનાને આભ ફાટયું કહેતા હતા. ત્યારે લોકો એમ માનતા હતા કે આકાશમાં ક્યાંક ચીરો પડી ગયો છે એટલે એમાં ભરાયેલું પાણી ધોધમાર વરસી પડયું છે. 
સામાન્ય રીતે એક કલાકમાં એક ઈંચ વરસાદ પડે તો સારો વરસાદ કહેવાયએક કલાકમાં ચાર ઈંચ વરસાદ પડે તો ભારે વરસાદ કહેવાય. ઉત્તરાખંડમાં એક કલાકના ૩૦ ઈંચના હિસાબે વરસાદ પડી ગયો. ૨૦થી ૮૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું વાદળ દર સેકન્ડે દર ચોરસફૂટ જગ્યામાં ૨૦૦થી વધારે ટીપાં વરસાવી દે તો વાદળ ફાટયું કહેવાય છે. (સામાન્ય વરસાદમાં દર સેક્ન્ડ દર ચોરસ ફૂટ જગ્યામાં ૧૧ ટીપાં પડે છે.) આ વરસાદમાં ઊભા રહો તો પાણીના ટીપાં રીતસર ચામડી પર વાગે છે અને લાંબો સમય ઊભા રહો તો ચામડીને નુકસાન પણ થઈ શકે. વૈજ્ઞાાનિકોએ આવા સાંબેલાધાર વરસાદના પાણીની તાકાત માપવાના પ્રયોગ કર્યા તો એમાં જાણવા મળ્યું છે કેએક એકરમાં પડતા પાણીની તાકાત ૧૦,૦૦૦ હોર્સપાવર જેટલી હોય છે. હિસાબ માંડો તો દરેક ચોરસ ફૂટે ૪.૩૬ હોર્સ પાવરનું જોર પાણીના ટીપાંમાં હોય છે. 
જો વાદળ માત્ર ૧ કિલોમીટર વિસ્તારમાં ફેલાયું હોય તોપણ એમાંથી એક કલાકમાં ૧,૭૨,૯૦,૦૦૦ ટન પાણી વરસી પડે છે. ઉત્તરાખંડમાં વરસેલું પાણી તો ૨૦ ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલા વાદળમાંથી વરસ્યું હતું. તો ગણતરી માંડો કે કેટલા ટન પાણી એક જ કલાકમાં વરસી પડયું હશે! આટલું બધું પાણી જો અચાનકગણતરીની મિનિટોમાં આવી પડે તો સ્વાભાવિક રીતે જ ચારેબાજુ પાણી જ પાણી થઈ જાય. આપણા શહેરમાં આવું પાણી પડે તો શહેરની ઇમારતો એક-બે માળ સુધી પાણીમાં ગરકાવ થઈ જાય. નદીમાં ઘોડાપુર ધસમસી આવ્યા હોય એવી સ્થિતિ સર્જાઈ જાય. જોકેસપાટ ધરતી ધરાવતા શહેરોમાં વાદળ ફાટવાની ઘટનાઓ જવલ્લે જ બને છેકારણ કે પર્વતની આડશ ન હોય તો આડા વહેતા પવનો પણ ઉપરની દિશામાં વહે એવું બનતું નથી. 
આવી ઘટના મોટેભાગે કોઈ ઊંચા પર્વત પાસે જ બને છે. પર્વતની ધરતી સપાટ હોતી નથી. એ વધતા-ઓછા ઢોળાવવાળી જ હોય છે. મોટેભાગે તો ખૂબ જ ઢોળવવાળી હોય છે. એવા ઢોળાવ પર સામાન્ય પાણી પણ વરસે તો પૂરઝડપે નીચેની તરફ વહેવા લાગે. એના પ્રવાહમાં નાના-મોટા પથ્થર અને વસ્તુઓ તણાઈ જાય. ત્યારે જો આભ ફાટે અને ટનબંધ પાણી ખાબકી પડે તો શું થાય એની કલ્પના પણ કરીએ તો ધ્રૂજી જવાય છે. ઉત્તરાખંડના લોકો આ હકીકત જીવી ચૂક્યા છે. અચાનક કલાકના ૪૦-૫૦ કિલોમીટરની ઝડપે આઠ-દસ ફૂટ ઊંચો પાણીનો પ્રવાહ ધસમસતો આવે અને સતત આવ્યા જ કરે તો માણસો અને સામાન તો તણખલાંની જેમ તણાઈ જાય. ઈમાતો પણ ધ્વસ્ત થઈને પાણી સાથે તણાઈ જાય. ગણતરીની મિનીટમાં ઢોળાવના કાળમીંઢ પથ્થરો પણ આસપાસની માટી ધોવાઈ જતાં પાણીના પ્રવાહ સાથે ગબડવા લાગે. જો પર્વત નિર્જન હોય તો આવા પથ્થરો ગમે તેટલું ગબડે પથ્થરોની તૂટ-ફૂટ સિવાય કોઈ નુકસાન ન થાય. પરંતુ હિમાલયના ઢોળાવો પર ઠેર ઠેર માનવ વસ્તી રાફડાની જેમ વધી ગઈ છે. એટલે આવા પથ્થરો મોટો વિનાશ કરે છેમોટી જાનહાનિ કરી દે છે. ઉત્તરાખંડમાં ૨૦૧૩માં વાદળ ફાટયા ત્યારે ભયાનક જાનહાનિ અને માલસામાનનું નુકસાન થયું જ હતું. આ વખતે ફરીથી એવું જ નુકસાન થઈ ગયું છે. ઘણા મકાનો પાણીના સીધા પ્રવાહમાં તણાઈ ગયાં છેઘણાં મકાનોની નીચેથી ધરતી ધોવાઈ જતાં પાણીના પ્રવાહમાં વહી ગયાં છે. સાદા શબ્દોમાં કહીએ તો વાદળ ફાટે ત્યારે ધરતી અને પર્વતને પણ ફાડતું જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment