Saturday, 3 December 2016

[amdavadis4ever] કચ્છ-સૌર ાષ્ટ્રની પાણીની અ છતના કાયમ ી નિરાકર ણનો સૂર્ય ોદય....-તંત્રીલેખ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાણીની અછત એ કચ્છ અને સૌરાષ્ટ્રની આગવી ઓળખ હવે ભૂતકાળ બની જાય તેવું છે. નર્મદાના નીર ૧૧૫ જેટલા મોટા જળાશયોમાં ઠાલવવા સમગ્ર નેટવર્ક તૈયાર થઈ ગયું છે અને એક પછી એક તમામ જળાશય ભરી દેવામાં આવનાર છે. તેમાં રાજકોટને પાણી પૂરું પાડતાં આજી-૧ જળાશયની કામગીરીનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાયું છે.

સરદાર સરોવરની ઉંચાઈ ૧૩૮ મીટર સુધીનું કાર્ય પૂરું થતાં જ યુદ્ધના ધોરણે હવે તેનું પાણી છેક કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા કામગીરી ચાલી રહી છે. અગાઉ ઑગસ્ટ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રયોગાત્મક ધોરણે પાંચ જળાશયોમાં નર્મદાના નીર વહાવાયા હતા. હવે તે તમામ જળાશયોને પાણીથી ભરી દેવાની કામગીરી શરૂ થશે અને પાણીની અછત નાબૂદ થાય તે દિવસો દૂર નથી.

પાણીની અછત અને તેના આર્થિક- સામાજિક પ્રત્યાઘાત ઘણા વર્ષો સુધી ચર્ચામાં રહ્યા હતા. કચ્છ અને સૌરાષ્ટ્ર એ ભૌગોલિક રીતે આર્ય પ્રદેશના કિનારાના વિસ્તાર ભાગલા પછી થઈ ગયા હતા. તેમ જ આર્થિક રીતે ઉપેક્ષિત રહ્યા. પરિણામે ત્યાંથી ખમતીધર વર્ગ બહાર નીકળી ગયો. કારણ કે રોજી-રોટી માટે ત્યાંથી બહાર જવા સિવાય કોઈ જ ઉપાય નહોતો.

ખેતીવાડી નબળી પડે એટલે તેના પર આધાર રાખનાર વર્ગ જેમ કે વેપારી- માલસામાન અન્યત્ર મોકલનાર મીડલમેન તેમ જ અન્ય પણ કમજોર બને. આ પ્રક્રિયા ઘણા દાયકા સુધી ચાલી હતી. વરસાદની અનિયમિતતા ઘણી હતી. તેવી જ રીતે સારા વર્ષમાં પુષ્કળ પાણી પડે પરંતુ સંગ્રહ થઈ શકે નહિ. કારણ કે જમીન અગ્નિકૃત ખડકોની બનેલી હતી. 

કચ્છ અને સૌરાષ્ટ્રની જમીન પાણી-ભેજનો સંગ્રહ કરવામાં નબળી પૂરવાર થાય છે. આથી ઘાસચારો ઉગાડવામાં પણ મુશ્કેલી પડે છે. અનાજ, કઠોળ, શેરડી, તેલિબિયા જેવા પાક થાય છે પરંતુ જ્યારે વરસાદ નિયમિત અને જોઈએ તેટલા પ્રમાણમાં પડે છે તેવે વખતે જ સઘળું બરોબર હોય છે. વળી વરસાદનું પ્રમાણ ૧૦ ઈંચથી ૨૫ ઈંચ બહુ ગણાય છે.

અલબત્ત છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં વરસાદનું પ્રમાણ અવશ્ય વધ્યું છે, પરંતુ પાણીના સંગ્રહ માટે જે કાર્ય થવું જોઈએ તેનો અભાવ છે. એક પણ યોજના કાયમી ઉકેલ લાવનારી બની નથી. પાણીની આવશ્યકતા ખેતીવાડી અને વપરાશી બાબત એમ બંને મુદ્દે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન માટે પણ તેટલા જ પ્રમાણમાં પાણીની જરૂરત રહે છે, પરંતુ વરસાદી પાણીના સંગ્રહ માટે જે કાર્ય થવું જોઈએ તેના માત્ર ૧૦ ટકા કાર્ય થાય છે.

શહેરી અને કસ્બાઓની જનસંખ્યા છેલ્લા ૧૦ વર્ષમાં બમણી થઈ ગઈ છે. રાજકોટની જનસંખ્યા આજુબાજુ સહિત ૨૦ લાખ સુધી પહોંચી છે. જ્યારે જળાશયો તો તેટલાજ પ્રમાણમાં છે. તેની સંખ્યા બમણી થઈ નથી. પાણીનો વપરાશ વધ્યો- વપરાશની વૈવિધ્યતા વધી છે. તેની સાથે પાણીનો બગાડ પણ વ્યાપક રીતે થઈ રહ્યો છે. આ તમામ સમસ્યા છે જેના માટે વ્યાપક જાગૃતિ જરૂરી છે.

ગુજરાતના ભૌગોલિક રીતે ચાર વિભાગ છે અને ચારેય તદ્દન અલગ- અલગ ભૂગોળ, હવામાન, જમીન, ખેતીવાડીની વૈૈવિધ્યતા તેમ જ આર્થિક, સામાજિક પરિસ્થિતિ ધરાવે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ચાર ભાગની જરૂરત પણ અલગ છે. કચ્છનો સંબંધ સિંધ પ્રાંત સાથે વધુ છે. જ્યારે સિંધનો મહત્ત્વનો હિસ્સો ભાગલા પછી પાકિસ્તાન સાથે છે.

કચ્છને સિંધુ નદીના પાણી બાબતે જે મહત્ત્વ મળવું જોઈએ તે મળતું નથી. સિંધુ નદીનું પાણી કચ્છને મળે તે માટે નવેસરથી પ્રયાસ થવા જોઈએ કારણ કે કચ્છને અન્ય કયાંયથી પાણી મળે તેવું નથી. નર્મદાનું પાણી મેળવતા ઘણા વર્ષ લાગ્યા છે અને ખાસ્સી તપશ્ર્ચર્યા પણ કરવી પડી છે. આ તમામ બાબત ઘણો ઈતિહાસ ધરાવે છે.

પ્રતિ વર્ષ વરસાદને કારણે નર્મદા સરદાર સરોવર ડેમ છલકાઈ જાય છે. કેટલીકવાર તો ત્રણથી સાત વખત છલકતો હોવાની ઘટના છે. આવે વખતે વધારાનું પાણી ગ્રેવિટીથી સૂકા વિસ્તારોમાં આવેલા જળાશયોમાં ઠલવાય તો તે પાણી ખેતીવાડી ઉપરાંત પીવાના પાણીમાં ઉપયોગમાં લઈ શકાય. હવે વધારાનું તમામ પાણી ઉપયોગમાં લેવાશે તે વિશે કોઈ જ શંકા નથી.

પ્રાચીન ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં ચોમાસા દરમ્યાન જ આખા વર્ષના પાણીના સંગ્રહની વ્યવસ્થા થઈ જતી હતી. કૂવા, વાવ, તળાવ, નદીઓ પાણીથી છલોછલ રહેતા હતા. દરેક ગામમાં ત્રણ તળાવ રહેતા હતા. તેમાં એક પીવાના પાણી માટે બીજું વપરાશી પાણી-ત્રીજું પશુઓને માટે પીવાનું પાણી સંગ્રહ થાય તેવું તળાવ રહેતું હતું. આ તળાવોની સમયાંતરે સાફસફાઈ ગ્રામજનો દ્વારા થતી હતી. તેમાં કોઈ ટેન્ડર પદ્ધતિ નહોતી.

પાણીને આજે વ્યાપારી જણસ બનાવી દેવામાં આવી છે. આથી અનેક પ્રશ્ર્ન ઊભા થયા છે. શહેરો વિશાળ બન્યા છે, પાણી વગર ચાલે નહિ તેવું જનજીવન બની ગયું છે. કોઈની પાસે સમય રહ્યો નથી. દેશભરમાં એક પણ મ્યુનિસિપાલિટી નથી કે જે ૨૪ કલાક પાણી પુરવઠો પૂરો પાડે. પાણીના બિલ હજારો રૂપિયામાં થવા જાય છે. આ બધી સમસ્યા કયાંય ચર્ચામાં આવતી નથી.

કચ્છ અને સૌરાષ્ટ્રના જળાશયોને પાણીથી ભરી દેવા નદીઓ અને તળાવોને લિન્ક તરીકે ઉપયોગ કરવા ઉપરાંત પાઈપ લાઈન પણ નાખવામાં આવી છે. જમીન સંપાદન, ઢોળાવ, ખેતરો, રસ્તા, અડચણ, આડશ આ તમામ અવરોધને પાર કરીને પાણી પહોંચાડવાની કામગીરી થઈ છે. આ બાબત એક સિદ્ધિ ગણાવી શકાય. પાણી પહોંચતા લોકોને પણ શાંતિ, સંતોષનો અહેસાસ થશે.

ગુજરાતે અને ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રે તો દુષ્કાળના કારણે ઘણી બરબાદી જોઈ અને તેના કારણે સામાજિક અસંતોષ અને રાજકીય આંદોલન પણ જોયા છે. હવે આવી બાબતોને સ્થાને પાણીથી ખેતીથી સમૃદ્ધિ વધે, પશુપાલન કે જે કચ્છ અને સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે તે ફરીથી ધમધમે તેવી અપેક્ષા છે. બાજરો અને દૂધ અથવા તો રોટલો અને દહીં સવારે એ પ્રજાને માટે એક ચાલકબળ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment