Tuesday, 11 October 2016

[amdavadis4ever] ધ્યેય સાધવા ધંધા ને કર્યું રામ રામ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નિવૃત્તિની વય શી? નક્કી કર્યું છે તમે? ઘણું બધું કમાઇને શાંતિથી આપણો જીવનનિર્વાહ નીકળી જાય એ નિવૃત્તિ કે પછી સરકારે નક્કી કરેલી ૬૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થઇને પેન્શનના પૈસાથી ઘર ચાલતું રહે એ. પણ જો મુંબઈમાં રહેતી કોઇ વ્યક્તિએ પોતાના ધીકતા ધંધામાંથી હવે મુક્ત થઇને બાકીની જિંદગીમાં કંઇક જુદું જ કરવું છે એવું વિચારીને તેમાં ઝંપલાવે અને એ પણ પૂરેપૂરી સેવા કરવાની ભાવના સાથે તો. માની શકો તમે. નહીંને, તો આવો મળીએ એવા જ એક વેપારીને કે જેણે પોતાના કામને અલગ દિશા આપીને દાખલો બેસાડ્યો.

૫૦ વર્ષની ઉંમરે સુનીત સાળવીએ નક્કી કરી લીધું હતું કે ધંધો ઘણો કરી લીધો હવે કંઇક જુદું જ કરવું છે. સુનીતને અંતરથી ખેતી કરવાની જે ઇચ્છા ધરબાયેલી હતી તેની રાહ કેવી રીતે પકડવી તેવાં વિચારનાં વમળમાં ત્રણેક વર્ષ તો નીકળી ગયાં. યોગાનુયોગ કહો કે જે માનો એ, પણ સુનીતની દીકરીને એક પ્રોજેક્ટ અર્થે મુરબાડની એક કૉલેજમાં ભણવા જવાનું થયું. મુરબાડની જે કૉલેજમાં સુનીતની દીકરી ભણવા ગઇ હતી તે જ સમયે સુનીતને પણ મુરબાડમાં જ ખેતીલાયક જમીન ખરીદવા માટે મુરબાડ જવાનું થયું હતું.

ઉત્તર મુંબઈમાં આવેલા દહાણુ તાલુકો એટલે મુરબાડ. આદિવાસી વસતિ અને ચાર મહિના ડાંગરનો પાક થાય એટલી ખેતી કર્યા બાદ આ વિસ્તારના ખેડૂતો નાની-મોટી નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવે. ખેતી ખેડવા માટે જમીન ખરીદવા અર્થે મુરબાડ ગયેલા સુનીતને કયા પ્રકારની જમીન ખેતી ખેડવા લાયક છે તેની બહુ ઝાઝી ખબર નહોતી. અહીંની આદિવાસી કોમ ચાર મહિના ડાંગરનો પાકની લલણી કર્યા બાદ વર્ષના બાકીના આઠ મહિના કોઇ શહેરમાં જઇને ઘરનોકર કે પછી મજૂરીનું કામ કરતા હતા એવી તેને જાણ થઇ.

મુરબાડમાં જ પરિવાર સાથે રહેતા અને વ્યવસાયે આર્કિટેક્ટ પ્રતીક ધાનમેર સાથે સુનીતની નિર્ભેળ મુલાકાત થઇ. દીકરી જે કૉલેજમાં પ્રોજેક્ટનું ભણવા માટે ગઇ હતી તેમાં પ્રતીક આમંત્રિત પ્રોફેસર હતા. મજાની વાત તો એ હતી કે સુનીતની દીકરીને એ વાતનું માલૂમ થયું કે તેમના પ્રોફેસર પ્રતીકને પણ ખેતપેદાશો વિશે સંશોધન કરવાનો અને જમીન ખરીદીને તેમાં સહજ રીતે થતા શાકભાજી ઉગાડવાનો શોખ હતો. સુનીત અને પ્રતીકની મુલાકાત થઇ ત્યારે તેનો અને પ્રતીકનો ગોલ એક જ હતો એ જાણ્યું ત્યારે સુનીતે મનોમન થયું કે ચલો અપની તો નીકલ પડી યાર...

પેટની હોજરી જેને કારણે તૃપ્ત થાય છે એ અન્ન કે પછી શાકભાજી કેવી રીતે ઊગે છે તેની જાણકારી મેળવવાની ઘેલછાએ જ પોતાના ફૂલ્યાફાલ્યા ધંધાને તિલાંજલિ આપીને ખેતી ક્ષેત્રે સુનીત વધુ આકર્ષાયો હતો. સુનીતનું માનવું છે કે ભારતભરના તમામ નાગરિકે જાણવું જોઇએ કે પેટમાં જે ખોરાક જાય છે એ કેટલો કેમિકલયુક્ત છે. પરિવારના મોટા ભાગના સભ્યો શિક્ષિત ડૉક્ટર કે પછી વકીલ બન્યા હોય અને સરસ રીતે ચાલી રહેલા ધંધાને બાજુએ મૂકીને સુનીત માટે ખૂબ આકરું કામ હતું, પણ કહે છેને કે જેણે મન બાંધી લીધું એક વાર તેને કોણ રોકી શકે.

આદિવાસી વસતિ ધરાવતા મુરબાડમાં તમારી નજર પણ પહોંચી ન શકે એવી એકરોની એકર જમીનમાં ફળદ્રુપ ન હોવાને કારણે ખેતી નહોતી થતી. માત્ર ચારેક મહિના ડાંગરનો પાક લણ્યા પછી અહીંની વેરાન જમીન એમ ને એમ જ રહેતી, ખેતી કર્યા વિનાની. ખેડૂતો ખેતી કરીને નફો રળી શકે અને બારે મહિના કામ કરી શકે એવો આશય સુનીતનો હતો. આ ઉપરાંત આ ગામના જુવાન લોકો મોટાં શહેરમાં જઇને આવક રળવા નહોતા માગતા એટલે તેઓને પણ કોઇ કામ મળી રહે તેવું આયોજન કરવા દરેક મોસમમાં પાક ઉગાડવાનું નક્કી કરવામાં આવ્યું.

પ્રતીકે વિચાર્યું હતું કે શું કામ આપણે અહીંના ખેડૂતોના અનુભવને કામે લગાડીએ. ખેડૂતો સાથે સંવાદિતા સાધીને તેઓ જે રીતે ખેતી કરે છે તે અનુભવ પ્રમાણે તેઓ કર્યે રાખે. ખેડૂતોને વેરાન જમીનમાં ખેતી કરશે અને પાક નહીં થાય તો પૈસા ડૂબશે અને જો પાક ઊગે તો પણ તેને વેચવાની મુશ્કેલી જેવા ભયને દૂર કરવાનો હતો. સુનીતે પણ એ જ વિચાર્યું હતું કે જમીન ખરીદીને ખેતી કરવાની મથામણમાં પડવું એના કરતાં તો આ વિચાર સારો છે. બંનેના ધ્યેય તો પહેલાં જ મળી ગયા હતા અને હવે કામ કરવાની રીતનો તાલ પણ મળ્યો.

સતત આઠ મહિના સુધીની સમજાવટ પછી 'ખેતી કરો, માલ વેચવાની જવાબદારી અને ભંડોળ રોકવાની જવાબદારી અમે ઉપાડીએ છીએ,' એવું બંનેને ખેડૂતોનો ભરોસો જીતવામાં સફળતા મળી. જે વેરાન જમીન પર માત્ર ડાંગરનો પાક અમુક મહિના માટે થતો તે જમીન પર આખું વર્ષ ખેતી થાય એવી વિચારધારા સાથે સુનીત અને પ્રતીક આગળ વધ્યા. કેમિકલ નાખીને ઉગાવવામાં આવતાં પાકને કારણે માત્ર શરીરને જ નહીં, પણ જમીન અને ખેતરની આસપાસ ખોદી રાખવામાં આવેલા તળાવમાંથી પાણી જમીનમાં નીચે ઊતરતાં ન હોવાને કારણે અનેક અવળી અસર ઊભી થતી હોવાથી એ પદ્ધતિથી નહીં, પણ ખરેખર તો કોઇ પણ પ્રકારનાં રાસાયણિક ખાતરનો વપરાશ કર્યા વિના પાક ઉગાડવાનું હતું એટલે મુશ્કેલ તો હતું.

સુનીત એવું સાંભળ્યું હતું કે ઘણા લોકો ફળ-શાકભાજી કે પછી ધાન્ય ઉગાવવા માટે કેમિકલનો બહોળા પ્રમાણમાં વપરાશ કરે છે. રોજેરોજ જો તમે રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરો તો તમારી જમીનની ગુણવત્તા ધીરે ધીરે ખલાશ થતી જાય છે. પેટાળમાં પહોંચતાં પાણી પણ સુકાવા લાગે છે. સુનીત કહે છે, 'અમે ખેડૂતોના મગજમાં એક વાત તો ઉતારી દીધી હતી કે ખેતી કરવા માટે જંતુનાશક દવાની કોઇ જરૂર રહેતી નથી. સૌપ્રથમ તો અમારી ટીમે ખેતરમાંના તળાવમાં ૫૦ લાખ લિટર પાણી જમા થતું હતું તેની ક્ષમતાને ૮૫ લાખ લિટરની કરી. પાણીનો સંગ્રહ કરીને તેનો ખેતરમાં કેવી રીતે વપરાશ કરી શકાય તે માટે અમે વનસ્પતિના નિષ્ણાતની પણ આ પ્રોજેક્ટમાં મદદ લીધી.'

મુરબાડની અનેક એકર જમીનનો વર્ષોથી જ્યાં ગાદલાં બનાવી શકાય તે માટે વપરાશ થતો હતો એ જમીનમાં નીચેના ભાગમાં મૂળો, પાલક, કોબી, મેથી અને તરબૂચની વાવણી કરી. જમીનની ઉપર મરચાં, ટમેટા, ગુવાર અને કાકડીનાં પાક ઉગાવ્યાં. મુંબઈ જેવા શહેરમાં જમાવટ થયેલા ધંધાને રામ રામ કરીને ખેતી કરવાનો સુનીતને કીડો સળવળ્યો અને સરખો ધ્યેય ધરાવનારા પ્રતીકનો સાથ મળ્યો, પછી જોઇતું હતું શું.

નેચરલ રીતે થતી ખેતી માટે સુનીતે ઘણો ભોગ આપ્યો છે અને ખેડૂતો અને તેના પરિવારજનો માટે કંઇક કરી છૂટવા માટેની ભાવના સાથે તેઓ હજી તેમની બાકીની જિંદગી વિતાવવા માગે છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment