Monday 5 December 2016

[amdavadis4ever] મોહનો અર્થ આપણે આપણામ ાં નહીં, પણ બીજા કોઇમા ં જીવી રહ્ યા છીએ જિનદ ર્શન - મહેન ્દ્ર પુનાતર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોહ અને લોભ માણસના બે મોટા શત્રુઓ છે. આ બંને છૂપા રુસ્તમ જેવું કામ કરે છે. રાગ-દ્વેષ, ક્રોધ, માન-માયા તારું મારું આ બધું તેમાંથી ઊભું થાય છે. મોહ કેટલીક વખત બહાર ડોકિયું કરે છે. પણ લોભ બિલકુલ દેખાતો નથી. મોહ માણસની આંખોમાં દેખાય ક્રોધ ચહેરા પર નજરે પડે પણ લોભ બહાર નજરે પડતો નથી. લોભી માણસને પણ તેની ખબર પડતી નથી. તે પોતાને ઉદાર સમજતો હોય છે. લોભના કારણે મોહ ઊભો થાય છે અને માણસ કોઇ ને કોઇ વસ્તુ સાથે બંધાતો રહે છે. મોહનો અર્થ છે આપણે આપણામાં નથી જીવતા, પણ કોઇ બીજી વસ્તુમાં જીવી રહ્યા છીએ. કોઇનો મોહ ધનમાં, કોઇનો સ્ત્રીમાં તો કોઇનો પદ-પ્રતિષ્ઠામાં હોય છે. કોઇ પુત્રમાં, કોઇ પત્નીમાં કે કોઇ પદમાં ખોવાઇ જાય છે. જેના તરફ આપણો જીવ હોય તે આપણા જીવનનું કેન્દ્ર બની જાય છે અને તેના વગર આપણે જીવી શકતા નથી. જેનો મોહ ધનમાં હોય તેને બીજી કોઇ રીતે મારી શકાય નહીં, પરંતુ તેનું ધન લૂંટાઇ જાય કે ચાલ્યું જાય તો તે મરી ગયો સમજો. જેનો મોહ પદ-પ્રતિષ્ઠામાં હશે તેમને આ છીનવાઇ ગયા પછી જીવવા જેવું નહીં લાગે. જે સ્ત્રી પાછળ મોહિત હશે અને એ સ્ત્રીએ તેને દગો દીધો હશે તો તેનું જીવન અકારું થઇ પડશે. કોઇ પુત્રનાં તો કોઇ પત્નીના મોહમાં અંધ બની જાય છે. તેના માટે તેઓ જીવ બાજી પર લગાવી દેશે. મોહ એ બંધન છે અને તેની સાથે આપણે બંધાયેલા હોઇશું તેની ચાલે આપણે ચાલવું પડશે. તેના દુ:ખનો પરિતાપ સહન કરવો પડશે. મોહ એ સંસાર છે જ્યાં આપણે જીવ રાખી દીધો તેના આપણે ગુલામ બની જઇશું. 

મોહ અને આસક્તિ એવી ચીજ છે જેમાં નાની નકામી વસ્તુ સાથે આપણે બંધાઇ જઇએ છીએ અને ત્યાગ કરવાનું મુશ્કેલ બની જાય છે. લોભી ધનથી બંધાયેલો રહે છે. તે રૂપિયા ગણ્યા કરે છે અને વારંવાર તેનું રટણ કર્યા કરે છે. તેવી જ રીતે ત્યાગીઓ પણ મેં બધું છોડી દીધું છે મેં ત્યાગ કર્યો છે એવું વિચાર્યા કરે તો તેઓ ત્યાગથી બંધાઇ જશે. ત્યાગ એમના માટે મોહ બની જશે. આ વળગણ તેમને ચેનથી જીવવા નહીં દે. જે વસ્તુને પકડી રાખીશું તેનાથી બંધાઇ જઇશું. શ્રીમંત માણસ દાન આપીને તેને યાદ કર્યા કરે અને મેં આ કર્યું તે કર્યું, તેના ગુણગાન ગાયા કરે તો એ સાચું દાન નથી. આપીને, છોડીને જે ભૂલી જાય છે તે સાચો દાની અને સાચો ત્યાગી છે. સાચો પરિગ્રહ આ ભાવમાંથી મુક્ત થવાનો છે. સંસાર છોડીને પણ આ પ્રકારનો ભાવ રહે તો ત્યાગી બની શકાય નહીં. ત્યાગ એ ખરા અર્થમાં મુક્તિ છે. જે છૂટી ગયું છે તેને પાછું પકડી રાખીએ તો બંધન છે. ત્યાગીને કશું હોય કે ન હોય કશો ફરક પડતો નથી. તેને કોઇ ચીજ ચલિત કરી શકતી નથી કે કોઇ બંધન તેને રોકી શકતાં નથી. 

જૈન ધર્મમાં ત્યાગનું અનેરું મહત્ત્વ છે. ઇચ્છાના બંધનમાંથી મુક્ત થવાનો આ રાહ છે. પરિગ્રહના પાપમાંથી મુક્તિ છે. નકામું ગુમાવીને સાર્થકને પ્રાપ્ત કરવાનું છે. લોકો એમ સમજે છે કે જેમની પાસે વધુ છે જે લોકો શ્રીમંત છે તેમણે છોડવાનું છે. બાકીનાને છોડવાની જરૂર નથી. માત્ર ધનવાનો જ દાન કરી શકે એ ખ્યાલ ખોટો છે. શક્તિ મુજબ સૌ કોઇ દાન કરી શકે છે. કેટલાક લોકો કહે છે શ્રીમંતો પોતાની વાહવાહ કરવા માટે દાન-ધર્મ કરે છે. આમાં સત્યનો અંશ છે પણ તેનો અર્થ એવો નથી કે આપણે કશું કરવું નહીં. આ તો છટક બારી છે. દરેક માણસ ધારે તો કાંઇક ને કાંઇક વસ્તુનો ત્યાગ કરી શકે છે. આ માટે મન મોટું હોવું જોઇએ. ત્યાગ એટલે માત્ર ધન-દોલત અને ખાન-પાનનો ત્યાગ નહીં. ઇચ્છાઓ, એષણાઓ અને વાસનાનો ત્યાગ આથી વધુ મુશ્કેલ છે. 

સંત કબીરના શિષ્યોમાં મોટાભાગના નિર્ધન અને મધ્યમ વર્ગના લોકો હતા. કબીર એક વખત ત્યાગનો મહિમા સમજાવતા હતા ત્યારે એક શિષ્યે કહ્યું : અમારી પાસે કશું જ નથી શેનો ત્યાગ કરીએ. કબીરે પૂછ્યું, તમારી પાસે શું નથી ? એક જણે કહ્યું : મારી પાસે સારું ઘર નથી. બીજાએ કહ્યું : મારી પાસે દરદાગીના નથી. ત્રીજાએ કહ્યું : મારી પાસે મોટું ખેતર નથી, ઢોરઢાંખર નથી. એક સ્ત્રીએ કહ્યું : મારી પાસે સારાં વસ્ત્રો અને અલંકારો નથી. 

કબીરે કહ્યું : ભલે તમારી પાસે કશું નથી આમ છતાં તમે ત્યાગ કરી શકો છો. લોકો આશ્ર્ચર્યથી જોઇ રહ્યા. એક જણે કહ્યું : તો અમે શું કરીએ ? કબીરે કહ્યું : 'તમારી પાસે કાંઇ નથી એ ભાવનાનો ત્યાગ કરો.' આજ પછી કદી કહેશો નહીં કે તમારી પાસે કશું નથી. ભગવાને તમને ઘણું આપ્યું છે. જીવન એ પ્રભુની સૌથી મોટી કૃપા છે અને તેનો સદુપયોગ થવો જોઇએ. 

વસ્તુઓ ભલે આપણી પાસે ન હોય પણ મનથી તેમાંથી છૂટી જઇએ અને એ માટેની અબળખા ન રાખીએ તો પણ ત્યાગ છે. વસ્તુ આપણને મહેનત કરવા છતાં ન મળે અને પરાણે તેની ઇચ્છાનો ત્યાગ કરવો પડે એટલે "દ્રાક્ષ ખાટી છે એ ન્યાયે તેને છોડી દઇએ એ સાચો ત્યાગ નથી. 

ત્યાગની આ વાતને ઓશોએ કબીર અંગેની એક એક નાની કથા દ્વારા બહુ યથાર્થ રીતે સમજાવી છે. મહાત્માઓ કેટલીક વાતો કરે છે જે લોકોને જલદીથી સમજાતી નથી. કબીર કહેતા કે સોનું માટી છે. તેઓ એમ પણ કહેતા કે કંચન-કામિનીથી બચો. તેના દીકરા કમાલને આ વાત ગળે ઊતરતી નહીં. જો સોનું માટી હોય તો તેનાથી બચવું શા માટે? જો માટી જ છે તો બચવાનું શું? એમ કહો સોનું માટી નથી કીમતી ચીજ છે તો બચવાની જરૂર પડે. 

કાશી નરેશને ખબર પડી કે કમાલ કાંઇક ઊંધી ચત્તી વાતો કરી રહ્યો છે. પોતાના બાપની વિરુદ્ધ વાત કરે છે. તેને થયું ચાલો જોઇએ વાત શું છે? તેઓ કમાલને આપવા માટે એક કીમતી હીરો લાવ્યા. 

કબીર તો ભેટ લેતા નહોતા. કબીર પાસે કોઇ આપવા આવે તો કહેતા 'આ હું સ્વીકારી શકું તેમ નથી. હું પરિગ્રહ કરતો નથી. મારા માટે આ ચીજ કામની નથી. આ માટી છે. મારી સામેથી દૂર લઇ જાવ? કમાલ બાજુની ઝૂંપડીમાં રહેતો હતો. કબીર તેને પોતાની પાસે રહેવા દેતા નહોતા. કબીર જેને નકારે-કોઇ સોનું લાવે, કોઇ ચાંદી લાવે, કોઇ હીરા લાવે. કબીર તેમને પાછા વાળે તેને કમાલ આવકારે. અને ઝૂંપડીની બહાર બેઠોબેઠો કહે 'લાવ્યા છો તો અહીં મારી પાસે મૂકી દો. માટી જ છે તો તેેને પાછી ક્યાં લઇ જાવ છો. અહીં મૂકતા જાવ. ત્યાગ કરવા જ આવ્યા છો તો અહીં છોડતા જાવ. આ બધો મોહ શા માટે'? 

આથી કબીરને દુ:ખ થતું. મેં આ માણસને કાઢ્યો અને કમાલે તેની પાસેથી ભેટ લઇ લીધી લોકો શું વિચારશે? તેમને થશે કે બાપ-બેટાની આ યુક્તિ લાગે છે. તેથી તેમણે કમાલને અલગ કરી દીધો હતો. 

કાશી નરેશ ભેટ આપવા માટે હીરો લાવ્યા. તેઓ પરીક્ષા કરી રહ્યા હતા. કમાલે કહ્યું : ખરેખર તમે ત્યાગ કરવા માગો છો? કાશી નરેશે કહ્યું : બિલકુલ, આ ભેટ હું આપના માટે લાવ્યો છું. કમાલે કહ્યું : તો પછી લાવી લાવીને આ શું લાવ્યા? આ તો પથ્થર છે. ન ખાઇ શકાય, ન તો પી શકાય. ફળ કે મીઠાઇ હોત તો જુદી વાત હતી. આ હીરાનું હું શું કરીશ. આ મારા માટે શા કામનો?

નરેશે વિચાર્યું, લોકો તો કહેતા હતા કે કમાલ બધું સ્વીકારી લે છે અને આ તો તદ્દન, જુદી વાત કરે છે. તેમણે હાથ જોડીને કમાલને કહ્યું : મારી આંખો ખુલી ગઇ છે. મેં તો આપના સંબંધમાં કાંઇક જુદું સાંભળ્યું હતું. કાશી નરેશ ઊભા થયા અને હીરો પાછો લઇને ચાલતા થયા. કમાલે તેમને કહ્યું : ઉભા રહો. હવે લઇ જ આવ્યા છો તો આ માટી પાછી ક્યાં લઇ જાવ છો. મૂકી જાવ અને તેનો મોહ છોડી દો. 

કાશી નરેશને થયું કે આ માણસ તો હદ કરે છે. પહેલાં તો એવું લાગ્યું કે આ માણસ તદ્દન મહાત્મા જેવી વાતો કરે છે. હવે બરાબર યુક્તિ કરી રહ્યો છે. મોટો ચાલાક છે. 

નરેશ તો પરીક્ષા કરવા આવ્યા હતા એટલે એમ પાછા હઠે નહીં. તેમણે પૂછ્યું હીરાને ક્યાં રાખું? કમાલ હસવા લાગ્યો. તો પછી આ હીરાને પાછો લઇ જાવ. તમે પૂછો છો ક્યાં રાખું. તમને હજુ હીરો જ દેખાય છે. આસક્તિ છૂટતી નથી. અરે! પથ્થર માટે કોઇ પૂછતું હશે ક્યાં રાખું. ગમે ત્યાં રાખી દો. તમને મરજી થાય ત્યાં મૂકી દો. 

નરેશ ખૂબ વિમાસણમાં પડી ગયા. હવે શું કરવું? તેમણે ત્યાં જ ઝૂંપડીના છાપરામાં ઘાસનું પડ હતું તેમાં હીરો સાચવીને મૂકી દીધો. નરેશે વિચાર્યું બહાર નીકળીશ એટલે આ ધુતારો હીરો કાઢી લેવાનો છે. 

લગભગ પંદર દિવસ પછી નરેશ જોવા આવ્યા કે પરિસ્થિતિ શું છે? કમાલ તો મસ્ત થઇને બેઠો હતો. એક તારો વાગી રહ્યો હતો અને તે ભજન ગાઇ રહ્યો હતો. નરેશે થોડીવાર આડીઅવળી વાત કરી પછી પૂછ્યું કે હીરાનું શું થયું? કમાલે કહ્યું. કયો હીરો? નરેશે કહ્યું : અરે! હદ કરો છો તમે. ૧૫ દિવસ પહેલાં હું તમને આપી ગયો હતો. શું ભૂલી ગયા? કમાલે કહ્યું હીરો ? તમે એક પથ્થર લાવ્યા હતા અને પૂછતા હતા કે ક્યાં રાખું તેની તો વાત કરતા નથી ને? તો તમે જ્યાં રાખી ગયા હતા ત્યાં જુઓ. બીજા કોઇએ નહીં લીધો હોય તો તે તમે જ્યાં મૂક્યો હતો ત્યાં હશે અને જો કોઇ લઇ ગયું હશે તો મને તેની ખબર નથી. 

નરેશને થયું કે પાકો ચાલબાજ છે. હીરો કાઢી લીધો લાગે છે અને કહે છે કોઇ લઇ ગયું હશે તો હું શું કરી શકું. તેમ છતાં ઊઠીને ઝૂંપડીના ઘાસના પડમાં હાથ નાખીને જોયું તો ચકિત થઇ ગયા. હીરો જ્યાં મૂક્યો હતો ત્યાં જ પડ્યો હતો. તેઓ કમાલનાં ચરણોમાં પડી ગયા અને કહ્યું : મેં તમને સમજવામાં ભૂલ કરી છે. કમાલે કહ્યું : શા માટે પગમાં પડો છો? તમે ક્યારે સમજશો? તમો હજુ હીરાના મોહમાં છો. હીરો તમારી નજરમાંથી ખસ્યો નથી. પગમાં પડવાનું કારણ હીરો પાછો મળી ગયો. જો ત્યાં ન મળત કે કોઇ લઇ ગયું હોત તો તમે જરૂર માની બેસત કે મેં જ હીરો કાઢી લીધો છે. હવે મહારાજ તમે તેને છાતીએ વળગાડી લો. હીરો મળી ગયો તો પગમાં પડ્યા અને હીરો ન મળ્યો હોત તો મારી ગર્દન કાપી નાખત. એટલે જ મેં તમને પૂછ્યું હતું કે આપ ખરેખર ત્યાગ કરવા માગો છો. જેનો મોહ છૂટ્યો નથી તેનો તમે કેવી રીતે ત્યાગ કરી શકો?

મોહ પર વિજય મેળવવો એટલે બંધનમાંથી મુક્ત થવું. જ્યાં સુધી આપણે કોઇ વસ્તુથી બંધાયેલા રહીશું ત્યાં સુધી સ્વતંત્ર બની શકીશું નહીં. મોહ આપણને જકડી રાખે છે. તે આપણા જીવનનો આધાર બની જાય છે. પ્રાપ્તિ અને અભાવ બંનેમાં જે સુખ માણી શકે છે તે આ બંધનમાંથી જલદીથી મુક્ત થઇ શકે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment