Sunday, 7 August 2016

[amdavadis4ever] અસ્પૃશ્યતા હિંદુ સમાજ નું ઘોર કલં ક છે, પણ...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અસ્પૃશ્યતા હિંદુ સમાજનું ઘોર કલંક છે, પણ...

ઉઘાડી બારી - ડૉ. દિનકર જોશી

 

સાવ કંગાળ કહી શકાય એવા ઝૂંપડાથી માંડીને ભવ્યાતિભવ્ય મહેલ સુધીના અસ્તિત્ત્વ માટે એક ખિલ્લી કે ચૂંકથી માંડીને ઈંટ, ચૂનો, રેતી આ બધું જ એકસરખું અનિવાર્ય હોય છે. મહેલ ભવ્ય બનાવ્યો હોય પણ પ્રવેશદ્વારના સ્ક્રૂ જો સાવ ઢીલા હોય તો એ મહેલ સુરક્ષિત ન કહેવાય. મકાનની દીવાલો મજબૂત હોય પણ છાપરાં ઉપરનાં નળિયાં સરખાં ગોઠવાયાં ન હોય તો એ છાપરાં નીચે રાતવાસો જોખમી કહેવાય.

સમાજનું પણ આવું જ છે. સમાજમાં અનેક નાનાંમોટાં કામ હોય છે. દરેક કામ એક એકથી બહેતર અને ઉપયોગી હોય છે. ઘર સોનેમઢ્યું હોય પણ બે દિવસ બાથરૂમમાં પાણી ન આવે તો હાહાકાર મચી જાય. સમાજની સુરક્ષા એના કર્મનિયોજન ઉપર છે. આ નિયોજન સમાજમાં રહેનારાઓ જેટલું શિથિલ કરશે એટલો સમાજ વિકૃત થશે.

અસ્પૃશ્યતા હિંદુ સમાજનું ઘોર કલંક છે એનો કોઈ ઈનકાર કરી શકે નહિ. માણસે માણસ ઉપર કરેલો આ મોટો જુલમ છે, પણ માણસજાતના ઈતિહાસમાં દુનિયાના કોઈ પણ છેડે અને કોઈ પણ સમયે માણસે માણસ ઉપર જુલમ ન કર્યો હોય એવું બન્યું જ નથી. હજુ સવાસો કે દોઢસો વરસ પહેલાં જ ગોરી પ્રજાએ કાળા આફ્રિકનો કે અમેરિકન હબસીઓનો ગુલામો તરીકે જે વેપાર કર્યો છે એ વાંચીએ ત્યારે રુંવાડાં ઊભાં થઈ જાય છે. હવે એ રદબાતલ થયું છે પણ હજુ આજેય ગોરાઓના મનમાં કાળાઓ પ્રત્યે અણગમો તો છે જ.

હિંદુ સમાજમાં અસ્પૃશ્યતાની પ્રથા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ એનો ટકોરાબંધ ઈતિહાસ મેળવવો મુશ્કેલ છે. વેદકાલીન યુગમાં અસ્પૃશ્યતા અવશ્ય નથી પણ એ સાથે જ અસ્પૃશ્યો માટે વપરાતો પારિભાષિક શબ્દ ચાંડાળ અવશ્ય છે. આ ચાંડાળ કર્મ આરોપિત શબ્દ છે, જાતિ આરોપિત નહિ. આ એક ગાળ છે. અધમ, નીચ, દુષ્ટકર્મા, પતિત આવાં કર્મો કરનારો માણસ ચાંડાળ કહેવાતો. આગળ જતાં આ ચાંડાળ શબ્દ અસ્પૃશ્યોની એક જાતિ તરીકે વપરાયો હોય એવું લાગે છે. સ્મશાનમાં રહીને મૃતદેહો સાથે પનારો પાડનારા, મરી ગયેલાં ઢોરઢાંખરને ગામથી દૂર લઈ જઈને એનું ચામડું ઉતારનારાઓ આ બધા અસ્વચ્છ કે અપવિત્ર કામમાં જોડાયેલા ગણાયા હોય એ શક્ય છે. આ કામો હલકાં નથી પણ અસ્વચ્છ અને અપવિત્ર જરૂર છે. આને કારણે સરેરાશ સુગાળવા માણસોએ પોતાનું નાકનું ટીચકું ચડાવ્યું હોય એ તાર્કિક વલણ લાગે છે.

કૂતરાં, બિલાડાં, ગાય, ભેંસ, બકરા કે અશ્ર્વો આ બધાંને પોતાના રોજિંદા જીવનમાં સ્થાન આપીને વહાલ કરનારી પ્રજા, પોતાના રોજિંદા જીવનના જ એક અંગ જેવાં કર્મો કરનારાને અસ્પૃશ્ય કે અછૂત માને એનો કોઈ બચાવ થઈ શકે નહિ અને આમ છતાં આ બન્યું છે. સેંકડો વરસો સુધી આપણે આ બનવા દીધું છે. ગયા સૈકામાં ગાંધીજી અને અન્ય સમાજચિંતકોએ આ દોષ પારખ્યો અને એના માટે સામાજિક તથા શાસકીય સ્તરે કરવા જેવા અને ક્યારેક તો ન કરવા જેવા સુધારાઓ પણ થયા છે.

સૌરાષ્ટ્રના ઉના ગામે એક અઘટિત વાત બની. અસ્પૃશ્યોને હવે આપણે દલિત કહીએ છીએ. ગાંધીજીએ હરિજન શબ્દ પણ વાપર્યો હતો. દલિતનો અર્થ તો રંક કે ગરીબ, પીડિત કે કચડાયેલા એવો થાય છે. આપણા સમાજમાં માત્ર અસ્પૃશ્યો જ દલિત નથી. સવર્ણો કહેવાતા વર્ગમાં પણ દલિતોની સંખ્યા મોટી છે. જેમને દલિતો કહીએ છીએ એ પૈકી પણ એક વર્ગ એવો છે કે જે ઊંચા આસને બિરાજે છે. એમને કોઈ ગરીબી નથી, કોઈ પીડા નથી. ગામમાં જ્યારે કોઈ ઢોર-ઢાંખરનું મૃત્યુ થાય ત્યારે આ દલિત કહેવાતા વર્ગના માણસો વ્યાવસાયિક રીતે જ ઢોરના મુડદાને સંભાળે છે, ચામડું ઊતરડી લે છે, આ ચામડાનો વેપાર થાય છે, બાકીના દેહનો નિકાલ કરવામાં આવે છે.

ઉનામાં ચાર દલિતોએ વ્યાવસાયિક ધોરણે જ એમનું આ કામ કર્યું હતું. એમાં કશું ખોટું નહોતું. એમના આ કામમાં વિઘ્ન નાખીને એમની મારઝૂડ કરનારાઓ વ્યાવસાયિક અપરાધીઓ ભલે ન હોય પણ એમણે ગુનો આચર્યો છે, કાયદો હાથમાં લીધો છે, અકારણ જુલમ કર્યો છે. એમને તત્કાળ વર્તમાન કાયદા હેઠળ જે પણ સખત સજા કરવી જોઈએ એ થવી જ જોઈએ.

સ્વાતંત્ર્યોત્તર કાળમાં કાયદાઓ સુધાર્યા પછી પણ દલિતોને સામાજિક સ્તર એકંદરે સુધારી શકાયો નથી. કહેવાતા સવર્ણોની માનસિકતા પણ ઝાઝી બદલાવી શકાઈ નથી. આ બધા વચ્ચે સમાધાનના માર્ગે કશુંક મેળવવાને બદલે વર્ગવિગ્રહના માર્ગે લોકોને દોરી જનારાઓ પેલા ઉના ગામના ચાર સવર્ણો અપરાધીઓ કરતા પણ મોટા અપરાધીઓ છે. ઉનામાં દલિતોને મારવામાં આવ્યા એ વાત સાચી અને શરમજનક પણ. આમ છતાં એ જ વાત વારંવાર કહેનારાઓ આ જ અરસામાં મહારાષ્ટ્રના એક ગામમાં બનેલી બળાત્કાર અને હત્યાની વાત કેમ નથી કરતા? અહીં એક સવર્ણ ક્ધયા ઉપર ત્રણ દલિતોએ બળાત્કાર કર્યો અને એની હત્યા પણ કરી નાખી. આ સમાચાર આપતી વખતે પ્રચારમાધ્યમોમાં સવર્ણ કે દલિતનો કોઈ ઉલ્લેખ થયો નથી. આ ઘટનાને બળાત્કાર અને હત્યા જેવો જઘન્ય અપરાધ હોવા છતાં ઉનાની મારઝૂડની ઘટનાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં ન્યાય કે સમાજ સંતુલનની નિર્ભેળ બૌદ્ધિક વાત નથી. અહીં અપરાધને બીજે રસ્તે વાળીને મોટા અપરાધનો માર્ગ ખુલ્લો કરવામાં આવે છે.

અમદાવાદના ઉનાના અત્યારના પ્રશ્ર્ને દલિતોની મહારેલી યોજાઈ ગઈ. વિરોધ પ્રદર્શિત કરવાની આ રીતમાં કશું ખોટું નથી, પણ દલિતોની આ મહારેલીમાં મુસલમાનોને પણ જ્યારે ભેળવવામાં આવે ત્યારે આ રેલી વિશુદ્ધ ન્યાય માટે નથી પણ કશુંક ગંદુ, ભેદી અને ધમકીભર્યું પગલું ભરાઈ રહ્યું છે એવું લાગે. આ રેલીમાં દલિત મુસલમાન ભાઈ ભાઈ એવા સૂત્રોચ્ચારો પણ થયા. આનો સીધો અર્થ એ થયો કે મુસલમાનો હજુ આજે પણ દેશના મુખ્ય પ્રવાહમાં નથી પણ હિંદુઓના વિરોધમાં જ છે. આવા માહોલ વચ્ચે આપણે કોમવાદ વિરુદ્ધ કે અસ્પૃશ્યતા વિરુદ્ધ જે જનમાનસ કેળવવું છે એ શી રીતે કેળવાય?

રાજકારણીઓ ટૂંકા ગાળાના લાભ જુએ છે. એમની નજર ચૂંટણીલક્ષી હોય છે. સરેરાશ ટોળાંને ભાવનાગત રીતે ઉશ્કેરીને એ ઉશ્કેરાટનો તત્કાલીન લાભ લેવો એ જ એમનો ઉદ્દેશ હોય છે. કેન્દ્રમાં નવી સરકાર આવ્યા પછી પ્રસારમાધ્યમોનાં કેટલાંક હિતો જોખમાયાં છે એ આપણે સહુ જાણીએ છીએ. રાજકારણીઓ અને પ્રસારમાધ્યમો સાથે મળીને દેશ અને સમાજના હિતમાં લાંબા ગાળાની દૃષ્ટિ રાખવાને બદલે જો આ જ રીતે લોંટાઝોંટાને પ્રાધાન્ય આપશે તો પ્રશ્ર્નો હલ કરવા મુશ્કેલ બનશે બલકે વધારે પેચીદા થશે.

અહીં એક વાતની નોંધ લેવી જોઈએ કે અસ્પૃશ્યતા જેમ હિંદુ સમાજનું કલંક છે એમ આ જ અસ્પૃશ્યતા દલિત સમાજે પણ છોડી નથી, સ્વીકારી છે. અસ્પૃશ્યોમાં પણ અંદરોઅંદર કેટલીક આભડછેટ છે જ. આ આભડછેટની માનસિકતાથી તેઓ દૂર થાય એ મુદ્દે સમાજ સુધારકોએ કામ કરવાની જરૂર છે.

અન્યાયનો ભોગ બનેલો વર્ગ કોઈપણ હોય, એને ન્યાય મળવો જોઈએ પણ આ ન્યાય માટે બીજા અન્યાયો ઊભા કરી બેસીએ તો સમાજની સમતુલા જળવાતી નથી. જેમને અન્યાય થયો છે એમને ન્યાય મેળવી આપવામાં જો બીજાઓને અન્યાય થાય તો અન્યાય એમને એમ જ રહે છે. માત્ર એનું સ્થાનફેર થાય છે. આ દિશામાંથી પેલી દિશામાં એ ધક્કેલાઈ જાય છે.

ગોહત્યા જેવી બાબત પણ આ મુદ્દા સાથે જ વિચારી લેવા જેવી છે. આર્યો ગોહત્યા કરતા કે ગોમાંસ ખાતા એ વિશે વેદોમાંથી બંને પક્ષે ખપપૂરતાં ઉદ્ધરણો મેળવી શકાય છે. એ સાથે જ શ્રુતિ સાહિત્યમાંથી અન્યત્ર એનાથી વિરોધી વલણો પણ મળે છે. પ્રાચીન યુગની વાત છોડી દઈએ પણ વર્તમાનમાં આ દેશની ૮૦ ટકા વસતિ જો ગોમાંસ કે ગોહત્યાની લાગણી વિશે આળી હોય તો એને ઉવેખી શકાય નહિ. 

ગાયના માંસ વિષે જે રીતે હિન્દુઓ ધાર્મિક લાગણી ધરાવે છે એ જ રીતે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ડુક્કરના માંસ વિષે નથી ધરાવતા? 'કુરાન' અને 'બાઈબલ' બન્ને ધર્મગ્રંથો એમના અનુયાયીઓને ડુક્કરના માંસથી દૂર રહેવાનું જ કહે છે. આમાં કોઈ વિજ્ઞાન નથી - ધર્મનો ભાવનાગત આદેશ છે. જો ડુક્કરના માંસના આ આદેશ વિષે આપણને વાંધો ન હોય તો ગોમાંસને પણ આ જ વર્ગમાં સમાવીને સમાધાન કેમ ન થાય? ગોમાંસનો આ આગ્રહ શા માટે?

ડુક્કરનું માંસ ઈસ્લામી રાષ્ટ્રોમાં મેળવી શકાતું નથી. એ મઝહબી ફરમાન છે. ફ્રાન્સમાં ખ્રિસ્તી બહુમતી છે અને આ બહુમતી મુસ્લિમ સ્ત્રીઓને બુરખો પહેરવાની મનાઈ કરે છે. આ બધા વિશે વિવાદ થઈ શકે. આ બધું શાશ્ર્વત સત્ય છે એવું કોઈ ન કહે પણ સામાન્ય સમાજ વ્યવહાર અને કાયદાપોથીઓએ તત્પૂરતી લોકલાગણીને ધ્યાનમાં રાખવી પડે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment