Wednesday, 12 October 2016

[amdavadis4ever] આ જિંદગીનો અર્થ શું છે એવો સવાલ થત ો હોય ત્યારે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રશ્ર્નો પુછાયા વિનાની જિંદગીને ક્યારેય જવાબો મળતા નથી. માટે પ્રશ્ર્નો પૂછતાં રહેવું જોઈએ. કોઈને તમે પૂછો કે 'છેવટે શું જોઈએ છે જિંદગીમાં' તો મોટા ભાગે જવાબ મળશે - આનંદ. બસ, આનંદથી રહેવું છે. આ આનંદ ક્યાંથી આવે છે અને આવ્યા પછી કોણ એને હણી જાય છે એની જ ખબર નથી.

આનંદમાં રહેવા માટેના તમામ પ્રયત્નો કર્યા પછી પણ શા માટે દરેક વખતે જીવનમાં કંઈક ને કંઈક ખૂટતું લાગતું હશે? કોઈક અકથિત ભૂખ શા માટે સતત રહ્યા કરતી હશે? જિંદગીના નાનાં મોટાં લક્ષ્યો સિદ્ધ થઈ ગયાં હોય એ પછીનાં વર્ષોમાં શું કરવાનું આ બાકીના જીવનનું?

નાનપણમાં અને કિશોરાવસ્થામાં અભ્યાસ અને વધુ અભ્યાસ એ જ એક માત્ર હેતુ હતો. જુવાનીમાં પગ માંડ્યો પછી કારકિર્દી, પૈસો, લગ્ન, બાળકો - એક પછી એક હેતુ સિદ્ધ થતા ગયા, અત્યાર સુધીનાં વર્ષોમાં બીજાઓના અભિપ્રાયોને પણ માન આપવું પડતું. હવે એક એવા તબક્કે જીવન આવીને ઊભું છે જ્યારે પોતાનો નિર્ણય પોતે કરી શકાય એમ છે. પણ કંઈ બાબતનો નિર્ણય લેવો, શું કરવાનો નિર્ણય લેવો? કે પછી બધું જ જેમ ચાલે છે એમ ચાલવા દેવું? ક્યાં સુધી ચાલવા દેવું?

એક દિવસ અચાનક તમને ખબર પડે છે કે વર્ષોથી તમે જેના પરિચયમાં હતા એ વ્યક્તિ ચાળીસ-પચાસ-સાઠની ઉંમરે મૃત્યુ પામી છે. તમે એના કુટુંબને 

આશ્ર્વાસન આપવા જાઓ છો. થોડા દિવસ પછી ખબર પડે છે કે જ્યાં એ નોકરી કરતા હતા ત્યાં એમના પદ પર નવો માણસ ગોઠવાઈ ગયો છે. એનાં બાળકો ફરીથી સ્કૂલમાં - કૉલેજમાં જતાં થઈ ગયાં છે. પત્ની, મા-બાપ, દરેકની જિંદગી અગાઉના જેવી જ યંત્રવત્ બની ગઈ છે અને તમે ચોંકી ઊઠો છો: મારા ગયા પછી પણ આ દુનિયામાં કોઈ ફેરફાર નહીં થાય? બધું અત્યારે જેમ ચાલે છે એમ મારી ગેરહયાતીમાં પણ ચાલ્યા જ કરવાનું? આનો ક્રૂર પણ સાચો ઉત્તર તમને ખબર છે: હા, મારા ગયા પછી હું પણ થોડાક દિવસોમાં ભુલાઈ જવાનો, ભૂંસાઈ જવાનો.

જો આવું જ થવાનું હોય તો અત્યારની જિંદગીનો શું અર્થ એવો સવાલ થાય. થવો જ જોઈએ. કારણ કે એનો ઉત્તર જ તમને બાકીની જિંદગીનો મતલબ સમજાવશે.

કહેવાય છે કે જંગલમાં એક ઝાડ તૂટી પડે છે અને તે વેળા કોઈ જ સાંભળનાર ના હોત તો ઝાડના તૂટવાનો અવાજ થયો એવું કહેવાય કે નહીં? કોઈ માણસ જીવે અને મરી જાય અને એના મર્યા પછી દુનિયા એની એ જ રીતે ચાલ્યા કરે તો એ જીવ્યો હતો એવું કહેવાય કે નહીં?

ડર મૃત્યુનો નથી હોતો, જિંદગી સમાપ્ત થઈ જશે એવો ભય નથી હોતો. ચિંતા એ વાતે હોય છે કે મૃત્યુ પછી તાળો એવો નીકળશે કે જિવાઈ ગયેલી જિંદગીનો કશો જ અર્થ નહોતો તો? મારા ગયા પછી આ જગતને રતીભાર ફરક પડવાનો ન હોય તો જિંદગી દરમિયાન કરેલી મારી તમામ તનતોડ મહેનત, મારા દિવસરાતના ઉજાગરા, મેં સતત કરેલા ધમપછાડા - બધું જ વ્યર્થ? બધું જ નિરર્થક? બધું જ અર્થ વિનાનું? જીવતી વખતે બધું જ હોય ત્યારે પણ જે કંઈ ખૂટતું હોય એવું લાગે તે આ અર્થ છે.

જિંદગીને એક અર્થ આપવાના પ્રયત્નોમાં અને જિંદગીનો અર્થ શોધવાના પ્રયાસોમાં ખૂબ ભટકી જવાય છે. અત્યાર સુધી જેમને પૂછયું એ બધાએ જે થોડોક હવાઈ, થોડોક ન સમજાય એવી, થોડીક અટપટી પણ આકર્ષક લાગતી અને થોડીક એવી વાતો કરી જેમાં આવતા ભારેખમ શબ્દો ન સમજાતા હોવા છતાં એનાથી પ્રભાવિત થવાનું ગમ્યું.

પણ એ તમામ વાતોમાંથી એક પણ વાત વ્યવહારમાં ઉપયોગી ન બની. બની શકે એવું ગજુ જ નહોતું એ વાતોમાં. જિંદગીને પલાયનવાદી બનાવી દેતી એ વાતોનો નશો ઘડી-બે ઘડી રહેતો અને ઊતરી ગયા પછી જીવન વધુ વિકરાળ વધુ આકરું અને વધુ ખાલીખમ લાગતું.

તો પાયાનો સવાલ. જીવનનો અર્થ શું છે? એને સાર્થક કેવી રીતે બનાવી શકાય?

આ સવાલ પૂછતાં પહેલાં ત્રણ મૂળભૂત બાબતોને લગતી ભૂમિ તૈયાર થઈ છે કે નહિ તે તપાસી લેવું જોઈએ. એ ભૂમિ નક્કર હશે તો જ પાયાનો એ સવાલ એના પર ટકશે.

એ ભૂમિના ત્રણ સ્તર છે.

સૌથી નીચેનું એકદમ નક્કર, જેની આરપાર કશું જ જઈ ન શકે એવું, જેને કશું જ ભેદી ન શકે એવું સ્તર છે: આર્થિક નિશ્ર્ચિંતતા. સો વાતની એક વાત. જીવન વિશેની બડી બડી બાતો કરતાં કે સાંભળતાં પહેલાં પોતાની અને પોતાના પર અવલંબિત વ્યક્તિઓની બે ટંકની દાળરોટી માટે નિશ્ર્ચિંત બની જવું પડે. આર્થિક સપનાંની વાત જુદી છે. એ હોય, ન પણ હોય, અને જો હોય તો એ સિદ્ધ થાય, ન પણ થાય, અહીં એ સપનાંની વાત નથી. રોજબરોજની સાદી જરૂરિયાતો પૂરી થઈ શકે એવી જોગવાઈ કરવાની વાત છે. એ પછી જ આગળ જે કંઈ વિચારવાનું હોય તે વિચારી શકાય. આર્થિક પાસુ ડામાડોળ હોય ત્યારે 'આ જીવનનો શું અર્થ?' કે 'હું તો મોક્ષ પામવા ચાહું છું.' જેવા વિચારો પલાયનવૃત્તિ બની જાય. છેક તળની આ ભૂમિ નક્કર બની ગઈ હોય એ પછી જ એના પર બીજો થર આવે.

બીજું સ્તર પ્રવૃત્તિમાંથી મળતા સંતોષનું આર્થિક નિશ્ર્ચિંતતા સિદ્ધ થઈ ગયા પછી જ વિચારી શકાય કે જે પ્રવૃત્તિમાં મારો મોટા ભાગનો સમય જાય છે તેમાંથી મને સંતોષ મળે છે કે કેમ? એ કરવાની મને મજા આવે છે કે નહીં? મારો મોટાભાગનો સમય રસોઈકામ અને ઘરકામમાં જતો હોય તો તેમાંથી કે પછી ફૅક્ટરીમાં જે પ્રવૃત્તિ હું કરું છું તેમાંથી મને આનંદ મળે છે કેમ? ન મળતો હોય તો એવી કંઈ શક્યતા ખરી કે ભવિષ્યમાં મળશે? પ્રયત્ન કરીએ તો કદાચ મજા આવતી થઈ જાય એવું બનશે એમ લાગે છે?

આર્થિક નિશ્ર્ચિંતતા મેળવવા માટે શક્ય છે કે જેમાંથી પૂરેપૂરો સંતોષ ન મળતો હોય એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું પડતું હોય. શક્ય છે, પણ જરૂરી નથી કે આર્થિક વળતર આપતી પ્રવૃત્તિઓમાંથી સંતોષ શોધી ન શકાય. કોઈ અભિનેતા માટે પોતાની અભિનયશક્તિ માત્ર પૈસા કમાવવાનું સાધન હોઈ શકે જ્યારે કોઈ ફરસાણની દુકાનના માલિક માટે એના ધંધામાંથી પૈસા ઉપરાંત એને મજા પણ મળતી હોય એવું શક્ય છે. આપણી પ્રવૃત્તિને કઈ દૃષ્ટિએ જોઈએ છીએ, કઈ હદ સુધી એમાં એકાગ્ર થઈને ઓતપ્રોત થઈ જઈએ છીએ અને એમાં કેટલા પ્રકારની નવીનતા લાવી શકીએ છીએ એ જોઈ લેવું જોઈએ. 

નેક્સ્ટ.

છેલ્લે સૌથી ઉપરની ભૂમિનું અને સૌથી ફળદ્રુપ સ્તર આવે છે. આ ત્રીજા અને સૌથી ઉપલા સ્તરનું ધોવાણ ના થઈ જાય તે માટે નીચેના બે સ્તર હોવા જરૂરી છે. આ ત્રીજા સ્તરની ફળદ્રુપતાને કારણે જ જીવનમાં જે કંઈ વાવીશું તે ખૂબસૂરત રીતે ઊગી નીકળશે. વર્ષોવર્ષ આવો ફાલ લેતાં રહેવાથી જીવન વધુ ને વધુ સમૃદ્ધ બનતું જાય. આ ત્રીજું સ્તર છે. કોઈ પણ એક આત્મીય સંબંધ દ્વારા સર્જાતી ભૂમિનું સ્તર.

જીવનમાં કોઈ એક એવો અંગત સંબંધ હોવો જોઈએ જેમાં માણસ પોતે હર્યોભર્યો છે એવું મહેસૂસ કરી શકે. દરેક શુષ્કતાને ઓગાળી નાખવાની ક્ષમતા ધરાવતો આવો સંબંધ સહેલાઈથી નથી મળતો. પણ એ મળે તો જ ફળદ્રુપ ભૂમિનું સૌથી ઉપલું સ્તર તૈયાર થાય. એ પછી જ આ સવાલનું બીજ વાવવાનું કે - આ જીવનનો અર્થ શું છે? આ સવાલ પુછાય તે પહેલાં ત્રણેત્રણ સ્તરની ભૂમિ તૈયાર કરવામાં જીવનની તમામ શક્તિ કામે લગાડી દેવી પડે.

આ ત્રણ સ્તર તૈયાર નથી થયા ત્યાં સુધી જીવનનો શું અર્થ છે એવો પ્રશ્ર્ન થાય ત્યારે મનને જવાબ આપી શકાય. વારાફરતી આ ત્રણેય સ્તરની ભૂમિનું સર્જન કરવું. અને આ ત્રણેય સ્તરની ભૂમિના સર્જન પછી જો એવો સવાલ થાય ત્યારે તમને આપોઆપ એનો જવાબ મળી જવાનો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment